
આજના સમયમાં લગભગ દરેક ઘરમાં રેફ્રિજરેટરનો ઉપયોગ ખાદ્ય પદાર્થોને લાંબા સમય સુધી તાજા રાખવા માટે કરવામાં આવે છે. યોગ્ય તાપમાને ખોરાક સંગ્રહિત કરવાથી તેની ગુણવત્તા જળવાઈ રહે છે અને તે ઝડપથી બગડતો નથી. પરંતુ ઘણી વખત લોકો એવી ભૂલ કરે છે કે દરેક વસ્તુને ફ્રિજમાં રાખવી જોઈએ. હકીકતમાં, કેટલીક ખાદ્ય વસ્તુઓ એવી છે જેને રેફ્રિજરેટરમાં રાખવાથી તેનો સ્વાદ, ગુણવત્તા અને પોષક તત્વો પર નકારાત્મક અસર થઈ શકે છે.
ખોરાકને યોગ્ય રીતે સંગ્રહિત કરવાથી તેની તાજગી લાંબા સમય સુધી જળવાઈ રહે છે અને સ્વાસ્થ્ય માટે પણ તે વધુ સુરક્ષિત બને છે. ચાલો જાણીએ એવી પાંચ વસ્તુઓ વિશે, જેને ફ્રિજમાં રાખવાનું ટાળવું જોઈએ.
બટાકાને રેફ્રિજરેટરમાં રાખવાથી તેમાં રહેલો સ્ટાર્ચ ઝડપથી ખાંડમાં પરિવર્તિત થવા લાગે છે. જેના કારણે તેનો સ્વાદ અને ટેક્સ્ચર બદલાઈ જાય છે. ઉપરાંત, આવા બટાકાને વધુ તાપમાને રાંધવામાં આવે ત્યારે હાનિકારક રસાયણો બનવાનું જોખમ પણ વધી શકે છે. બટાકાને હંમેશા ઠંડી, સૂકી અને અંધારી જગ્યાએ જ રાખવા જોઈએ.
આખી ડુંગળીને ફ્રિજમાં રાખવાથી તેમાં ભેજ વધે છે, જેના કારણે તે નરમ પડી શકે છે અને તેમાં ફૂગ લાગવાની શક્યતા વધી જાય છે. ડુંગળીને હવા આવતી-જતી રહે તેવી સૂકી જગ્યાએ રાખવી વધુ યોગ્ય છે. જો કે સમારેલી ડુંગળીને થોડા સમય માટે હવાચુસ્ત ડબ્બામાં રાખીને રેફ્રિજરેટરમાં સંગ્રહિત કરી શકાય છે.
લસણને રેફ્રિજરેટરમાં રાખવાથી તેમાં ભેજ વધે છે, જેના કારણે તે અંકુરિત થઈ શકે છે અથવા ફૂગ લાગી શકે છે. આ તેની ગુણવત્તા અને સ્વાદ બંનેને અસર કરે છે. આખા લસણને હંમેશા સૂકી અને હવાની અવરજવરવાળી જગ્યાએ જ રાખવું જોઈએ.
કેળાને ફ્રિજમાં રાખવાથી તેની છાલ ઝડપથી કાળી પડી જાય છે અને તેની કુદરતી પાકવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે. જો કેળા હજુ સંપૂર્ણપણે પાક્યા ન હોય તો તેને ઓરડાના સામાન્ય તાપમાને જ રાખવા જોઈએ. માત્ર ખૂબ પાકેલા કેળાને થોડા સમય માટે જ રેફ્રિજરેટરમાં રાખી શકાય.
બ્રેડને રેફ્રિજરેટરમાં રાખવાથી તે ઝડપથી સુકાઈ જાય છે અને સખત બની જાય છે. પરિણામે તેનો સ્વાદ અને નરમાઈ બંને ઘટી જાય છે. જો બ્રેડનો ઉપયોગ બે-ત્રણ દિવસમાં કરવાનો હોય તો તેને સીલબંધ ડબ્બામાં સામાન્ય તાપમાને રાખવી વધુ યોગ્ય છે. લાંબા સમય સુધી સંગ્રહ કરવો હોય તો ફ્રીઝરનો ઉપયોગ કરી શકાય.
દૂધ, દહીં, ચીઝ, માખણ, ઈંડા, રાંધેલો ખોરાક, સમારેલા શાકભાજી અને ફળો, માંસ, માછલી સહિત અન્ય નાશવંત ખાદ્ય પદાર્થોને રેફ્રિજરેટરમાં રાખવું જરૂરી છે. યોગ્ય તાપમાને આ વસ્તુઓ સંગ્રહિત કરવાથી બેક્ટેરિયાની વૃદ્ધિ ધીમી પડે છે અને ખોરાક લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે.
બચેલો ખોરાક હંમેશા હવાચુસ્ત ડબ્બામાં રાખવો જોઈએ અને શક્ય તેટલો વહેલો તેનો ઉપયોગ કરી લેવો જોઈએ. સાથે જ રેફ્રિજરેટરનું તાપમાન પણ યોગ્ય રીતે જાળવવું જરૂરી છે.
વાહન ટોઇંગ કરવા આવેલી ગાડીનો જ વીમો નતો કરાવ્યો, જુઓ Video