આધાર કાર્ડ અને પાનકાર્ડ આ બંને દસ્તાવેજ હવે રોજીંદી જીંદગીમાં અનેક કામકાજ માટે ખુબ જ મહત્વપૂર્ણ બની ગયા છે. સરકારી યોજનાઓનો લાભ લેવો હોય કે રીટર્ન ફાઈલ કરવું હોય કે પછી કોઈ બેંકીગ સુવિધાનો લાભ લેવો હોય. આ બંને દસ્તાવેજ જરૂરી તો છે પણ હવે એકબીજા સાથે લિંક હોવા પણ ફરજીયાત છે. આપને જણાવી દઈએ કે આવકવેરાના નિયમો મુજબ હવે પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે. આ માટે અંતિમ તારીખ 31 માર્ચ છે. આ કિસ્સામાં જો કોઈ વ્યક્તિએ તેના PANને AADHAAR સાથે લિંક કર્યું નથી તો તેનું PAN કાર્ડ અમાન્ય ગણાશે.
આ પણ વાંચો: Aadhaar-Pan Linking : એક ક્લિકમાં જાણો પાન કાર્ડ-આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં, આ છે સૌથી સરળ પ્રક્રિયા
PAN અને Aadhaarને લિંક કરવામાં અમુક લોકોને ડેટા મિસમેચની સમસ્યા આવી રહી છે. એટલે કે, PAN અને આધારને લિંક કરવા માટેના બંને દસ્તાવેજોમાં નામ, લિંગ અને જન્મ તારીખ જેવી વસ્તી વિષયક વિગતોમાં કોઈ તફાવત હોવો જોઈએ નહીં. જો કોઈ તફાવત હોય, તો લિંકિંગ રદ થઈ શકે છે. જો તમારા PAN અને આધાર કાર્ડની વિગતોમાં તફાવત છે, તો તેના માટે કેટલાક ઉકેલો છે. આના દ્વારા, ડેટા મિસમેચની સમસ્યાનો ઉકેલ આવશે અને પછી તમે PAN-આધાર લિંક કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી શકશો.
જો તમારી પાન-આધાર લિંકિંગ પ્રક્રિયા પણ ડેટા મેચ ન થવાના કારણે રિજેક્ટ કરવામાં આવી છે, તો તમારી પાસે બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશનનો વિકલ્પ છે. આ માટે તમારે NSDL ના પોર્ટલ પરથી આધાર સીડિંગ રિક્વેસ્ટ ડાઉનલોડ કરવી પડશે. આ પછી, તમારે તમારા નજીકના PAN કેન્દ્ર પર જવું પડશે અને બાયોમેટ્રિક આધાર પ્રમાણીકરણ પ્રક્રિયા ઑફલાઇન પૂર્ણ કરવી પડશે. તમે NSDL અથવા UTITSL વેબસાઇટની મદદથી તમારા નજીકના પાન સેન્ટર વિશે માહિતી મેળવી શકો છો.
આ એક ખૂબ જ સરળ 1 પેજનું ફોર્મ છે, જેમાં તમારે તમારો PAN નંબર, આધાર નંબર અને બંને દસ્તાવેજોમાં આપેલું નામ ભરવાનું રહેશે. આ સિવાય તમારી પાસે બીજો વિકલ્પ છે, જેની મદદથી તમારું કામ થઈ શકે છે. આધાર-PAN લિંક કરવાની પ્રક્રિયા પહેલા તમારે એક દસ્તાવેજમાં જરૂરી માહિતી અપડેટ કરવી પડશે. જેમ અગાઉ જણાવ્યું તેમ કોઈ પણ એક ડોક્યુમેન્ટ પ્રમાણે વિગત હોવી. આ પૂર્ણ થયા પછી, તમે જાતે PAN-આધારને ઑનલાઇન લિંક કરી શકો છો.
એવા હજારો કરદાતાઓ છે જેમના નામ, જન્મ તારીખ, લિંગ સહિતની મહત્વપૂર્ણ માહિતી પાન કાર્ડ અને આધાર કાર્ડમાં મેળ ખાતી નથી. આના ઘણા કારણો હોઈ શકે છે. આધાર અને PANને લિંક કરવાની પ્રક્રિયામાં, આવકવેરા વિભાગ UIDAIના ડેટા સાથે મેળ ખાય છે. જો બંને દસ્તાવેજોમાં આપેલી માહિતી મેળ ખાતી નથી, તો લિંક કરવાની વિનંતી નકારી કાઢવામાં આવે છે.
આપને જણાવી દઈએ કે ખોટી ઓળખ અથવા અન્ય કોઈ ગડબડનો સામનો કરવા માટે, UIDAI એ ડિસેમ્બર 2017 માં જ આવશ્યક માહિતીની આંશિક મેચિંગ પ્રક્રિયા બંધ કરી દીધી હતી.
PAN અને Aadhaarને લિંક કરવા માટે તમે એક હજારનું ચલાણ ભરી દીધુ છે અને ત્યાર બાદ ડેટા મિસમેચના કારણે તમારૂ પાન આધાર સાથે લિંક થયુ નથી તો તમારે હાલની સ્થિતિ મુજબ ફરી ચલાણ ભરવુ નહી પડે. તમે આ સ્થિતિમાં તમારૂ નામ, જન્મ તારીખ અથવા લિંગની વિગતને આધાર પ્રમાણે પાનકાર્ડમાં અથવા પાનકાર્ડ પ્રમાણે આધારકાર્ડમાં એક સરખી કરાવો. ત્યાર બાદ માત્ર પાન સાથે આધાર લિંકની જ પ્રોસેસ કરવાની રહેશે.
ઘણા લોકો ઉતાવળમાં એક ભૂલ કરી રહ્યા છે જેમાં તેઓ પહેલા ચેક નથી કરતા કે તેમનુ આધાર પાનકાર્ડ સાથે લિંક છે નહી તેઓ સીધા સાયબર કાફે અથવા જાતે એક હજારનું ચલાણ ભરી દે છે. જોકે તેમનુ પાનકાર્ડ પહેલાથી જ આધારકાર્ડ સાથે લિંક હોય છે. તો આ સ્થિતિમાં તમે પહેલા વેબસાઈટ પર જઈ પાન આધાર સ્ટેટસ ચેક કરો જો તમને ત્યાં લિંક ન બતાવે તો તમે એક હજારનું ચલાણ ભરી લિંક કરાવો. એક જરૂરી બાબત આપને જણાવી દઈએ હાલ ઘણા લોકોને બેંકના નામે અથવા પાન આધારને ફ્રીમાં લિંક કરવા માટેના મેસેજમાં લિંકો મોકલવામાં આવી રહી છે તો તેનાથી સાવધાન રહો આ પ્રકારની કોઈ લિંક પર ક્લિક ન કરશો. માત્ર ઓફિશિયલ વેબસાઈટ પર જ તમારી પાનકાર્ડની વિગત શેર કરો.
PAN-Aadhaar લિંક કરતા પહેલા, PAN અથવા આધાર, જે પણ વિગતો ખોટી હોય તેને સુધારીને લિંક કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે. જો આધાર કાર્ડની વિગતોમાં કોઈ ભૂલ હોય તો તેને અપડેટ કરાવો. UIDAIએ નાગરિકોને ઘરે બેસીને આધારમાં વસ્તી વિષયક વિગતો અપડેટ કરવાની સુવિધા આપી છે. આધાર કાર્ડ ધારકો UIDAI ની વેબસાઈટ દ્વારા ઓનલાઈન આધારમાં તેમનું નામ, જન્મ તારીખ, લિંગ અને સરનામું અપડેટ કરી શકે છે. ગમે તે વિગત ખોટી હોય, તમે https://uidai.gov.in ની મુલાકાત લઈને તેને અપડેટ કરી શકો છો.
UIDAIની વેબસાઈટ અનુસાર, જો આધાર પર કરદાતાનું નામ વાસ્તવિક ડેટાથી થોડું અલગ હશે, તો OTP આધાર કાર્ડધારકના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર લિંક કરતી વખતે મોકલવામાં આવશે. પરંતુ કરદાતાએ એ સુનિશ્ચિત કરવું પડશે કે આધાર અને PAN માં જન્મતારીખ અને લિંગમાં કોઈ તફાવત નથી. બીજી તરફ, જો PAN અને આધારમાં નામ સંપૂર્ણપણે અલગ હોય, તો લિંકિંગ નિષ્ફળ જશે અને કરદાતાએ ભૂલભરેલા દસ્તાવેજમાં વિગતો સુધારવી પડશે.
પરમેનન્ટ એકાઉન્ટ નંબર એટલે કે PAN ને આધાર નંબર સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31 માર્ચ, 2023 છે. જો તમે હજી સુધી તમારા PAN ને આધાર સાથે લિંક નથી કરાવ્યું, તો તેને જલદીથી લિંક કરાવો, કારણ કે 31 માર્ચ પછી, જેમના PAN ને આધાર સાથે લિંક કરવામાં આવશે નહીં, તેમનો PAN 1 એપ્રિલ, 2023 થી નિષ્ક્રિય થઈ જશે. આ પછી, તમારે ફરીથી PAN સક્રિય કરવા માટે ભારે દંડ ચૂકવવો પડશે. હવે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવા માટે PAN સાથે આધાર નંબર આપવો જરૂરી છે.
Published On - 1:44 pm, Fri, 24 March 23