દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ હવે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી (Vice President Election) થવાની છે. 6 ઓગસ્ટ એટલે કે શનિવારે દેશના નવા ઉપરાષ્ટ્રપતિ માટે ચૂંટણી યોજાવાની છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડ છે, જેઓ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ રહી ચૂક્યા છે. વિપક્ષ તરફથી માર્ગારેટ આલ્વાને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. હવે આ ચૂંટણીને લઈને પણ રાજકારણ ચાલી રહ્યું છે. વાસ્તવમાં આપે માર્ગારેટ આલ્વાને તો બીએસપીએ જગદીપ ધનખડને સમર્થન આપવાની જાહેરાત કરી છે. હવે જોવાનું એ રહેશે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કયા ઉમેદવારને વધુ સમર્થન મળે છે. આ દરમિયાન લોકોના મનમાં એવો પણ સવાલ છે કે દેશના ઉપરાષ્ટ્રપતિની પસંદગી કેવી રીતે થાય છે અને આ પદ માટેના ઉમેદવારની પસંદગી કેવી રીતે થાય છે. આવી પરિસ્થિતિમાં જાણો કે ઉપરાષ્ટ્રપતિની (Vice President) ચૂંટણીમાં વોટિંગ કેવી રીતે થાય છે, મતોની ગણતરી કેવી રીતે થાય છે અને તેનો ફોર્મ્યુલા શું છે.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે ઉમેદવાર ભારતનો નાગરિક હોવો આવશ્યક છે. તેની ઉંમર 35 થી વધુ હોવી જોઈએ. આ સિવાય તેમની પાસે રાજ્યસભાના સાંસદ બનવા માટે જરૂરી તમામ યોગ્યતાઓ હોવી જોઈએ. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે ઉમેદવારે જામીનગીરી તરીકે ચોક્કસ રકમ પણ જમા કરાવવાની હોય છે અને જો તેને 1 થી 6 મત ન મળે તો આ રકમ જપ્ત કરવામાં આવે છે. સામાન્ય જનપ્રતિનિધિઓની ચૂંટણીમાં પણ આવું જ થાય છે.
જે રીતે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના સાંસદો વોટિંગમાં ભાગ લે છે, તેવી જ રીતે સાંસદો પણ તેમાં ભાગ લે છે. પરંતુ ઉપરાષ્ટ્ર્પતિની ચૂંટણીમાં ધારાસભ્યો ભાગ લેતા નથી. માત્ર સાંસદો જ વોટિંગ કરે છે. જેમાં લોકસભાના 543 અને રાજ્યસભાના 243 સભ્યો મતદાન કરે છે.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સાંસદોના વોટની સંખ્યા અડધાથી વધુ હોય તો જીત નક્કી થાય છે. આ પ્રોસેસમાં અડધાથી વધુ આંકડો પાર કરવો પડે છે. ઉદાહરણ તરીકે, ધારોકે 360 સાંસદોએ મતદાન કર્યું છે, તો તેમાંથી અડધાથી વધુ એટલે કે 181 વોટની જરૂર જીતવા માટે જોઈએ.