આ ઝોમ્બી વાયરસની વધારે તપાસમાં અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. વૈજ્ઞાનિકોનો દાવો છેકે બરફની નીચે થીજેલી હાલતમાં અનેક વાયરસ શોધવામાં આવ્યા છે. આ તમામ વાયરસમાં એક ઝોમ્બી વાયરસ સૌથી જુનો હોવાનું વૈજ્ઞાનિકો જણાવે છે. ઝોમ્બી વાયરસ આશરે 48,500 વર્ષ પહેલા બરફની નીચે દટાયેલો હોવાનું વૈજ્ઞાનિકો કહે છે. આ ઝોમ્બી વાયરસ સ્થિર-બર્ફિલા તળાવની નીચેથી મળી આવ્યો છે. આ સિવાય વૈજ્ઞાનિકોએ લગભગ 24 વધુ વાયરસ શોધી કાઢ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ક્લાઈમેટ ચેન્જના કારણે જૂના વાયરસો માનવજીવન માટે ખતરો બની રહેવાની સંભાવના છે. આ વાયરસને કારણે હાલ તો વૈજ્ઞાનિકોમાં ચિંતાનો માહોલ છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
યુરોપીયન સંશોધનકારો રશિયાના સાઇબિરીયામાં પરમાફ્રોસ્ટના જૂના નમૂનાની તપાસ કરી રહ્યા હતા. જેમાંથી 13 નવા પેથોજેન્સને પુનર્જીવિત કરવામાં આવ્યા અને તેમને ઝોમ્બી વાયરસ તરીકે વર્ગીકરણ કરવામાં આવ્યું. વૈજ્ઞાનિકોનું તારણ છેકે આ બધા જૂના વાયરસ હજુ પણ ચેપી છે, ભલે તેઓ ઘણી સદીઓથી બરફની નીચે દટાયેલા હતા.
ગ્લોબલ વોર્મિંગને કારણે ખતરો
ગ્લોબલ વોર્મિંગને કારણે દટાયેલા મિથેન જેવા ગ્રીનહાઉસ વાયુઓ વાતાવરણમાં છોડવામાં આવી શકે છે. આ મનુષ્યો માટે જોખમ ઊભું કરી શકે છે. રશિયા, જર્મની અને ફ્રાન્સના સંશોધકોએ આ વાયરસને વિશ્વ માટે ખતરો ગણાવ્યો છે. તેઓ કહે છે કે વાયરસના પુનરુત્થાનને કારણે, તેઓ પ્રાણીઓ અને મનુષ્યોને સંક્રમિત કરી શકે છે. કેવી રીતે અને કેટલી હદ સુધી તે મનુષ્યો અને પ્રાણીઓને સંક્રમિત કરી શકે છે, તેનો હજુ અંદાજ લગાવવામાં આવ્યો નથી.
સંશોધનને જોખમ તરીકે જોવું જોઈએ
આ વાયરસ પર સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેમની તપાસના પરિણામો અને તેમના કામને જોખમ તરીકે જોવું જોઈએ. તેમનું કહેવું છે કે આ વાયરસથી કેવી રીતે બચી શકાય તેના પર કામ કરવું જોઈએ. કારણ કે બે વર્ષ પહેલા વિશ્વમાં કોરોના વાયરસના રૂપમાં મોટો ખતરો ઉભો થયો હતો. તે હજુ પણ સંપૂર્ણ રીતે સમાપ્ત થયું નથી. ચીન જેવા દેશો હજુ પણ આનો સામનો કરી રહ્યા છે. કોરોના વાયરસના કારણે ફેલાયેલી કોવિડ-19 મહામારીને કારણે વિશ્વમાં અત્યાર સુધીમાં લાખો લોકોના મોત થયા છે. આવી સ્થિતિમાં, શોધાયેલ આ નવા વાયરસ વિશ્વ માટે ખતરો બની શકે છે.