
યુનાઇટેડ આરબ અમીરાત (UAE) હોર્મુઝ સ્ટ્રેટ પરની નિર્ભરતા ઘટાડવા માટે નવી પશ્ચિમ-પૂર્વ તેલ પાઇપલાઇનનું ઝડપી ગતિએ નિર્માણ કરી રહ્યું છે. સંભવિત પ્રાદેશિક તણાવ અને ઇરાન તરફથી ઉભા થઈ શકતા જોખમોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી આ મહત્વાકાંક્ષી યોજના હવે લગભગ 50 ટકા પૂર્ણ થઈ ગઈ હોવાનું ADNOCએ જણાવ્યું છે. કંપનીનું લક્ષ્ય 2027 સુધીમાં આ પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે કાર્યરત કરવાનો છે.
UAEના ઉદ્યોગ અને અદ્યતન ટેકનોલોજી મંત્રી તેમજ ADNOCના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ CEO ડૉ. સુલતાન અહેમદ અલ જાબેરે એટલાન્ટિક કાઉન્સિલ દ્વારા આયોજિત લાઇવ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે પાઇપલાઇનનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, “પ્રોજેક્ટ હાલમાં લગભગ 50 ટકા પૂર્ણ થઈ ગયો છે અને અમે 2027 સુધીમાં તેને પૂર્ણ કરવા માટે ઝડપી ગતિએ કામ કરી રહ્યા છીએ.”
આ પાઇપલાઇન UAEની લાંબા ગાળાની ઊર્જા વ્યૂહરચનાનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. વિશ્વના સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ તેલ પરિવહન માર્ગોમાં ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ પરનો આધાર ઘટાડવા માટે UAE છેલ્લા ઘણા વર્ષોથી વૈકલ્પિક નિકાસ માર્ગો વિકસાવી રહ્યું છે.
ડૉ. અલ જાબેરે જણાવ્યું હતું કે વિશ્વની મોટા ભાગની ઊર્જા સપ્લાય આજે પણ થોડાક મહત્વપૂર્ણ “ચોક પોઇન્ટ્સ” પરથી પસાર થાય છે. આ જ કારણસર UAEએ એક દાયકા કરતાં વધુ સમય પહેલા એવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો હતો, જે હોર્મુઝ સ્ટ્રેટને બાયપાસ કરી શકે. UAEએ ઓમાનના અખાત કિનારે આવેલા ફુજૈરાહ વિસ્તારમાં નિકાસ સુવિધાઓ વિકસાવવામાં મોટું રોકાણ કર્યું છે. તેના કારણે હવે ક્રૂડ ઓઇલના જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની આવશ્યકતા ઘટી રહી છે.
તાજેતરમાં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને અબુ ધાબી એક્ઝિક્યુટિવ કાઉન્સિલના અધ્યક્ષ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને ADNOCને પશ્ચિમ-પૂર્વ પાઇપલાઇન પ્રોજેક્ટનું કામ વધુ ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. ત્યારબાદ આ પ્રોજેક્ટ ફરી ચર્ચામાં આવ્યો છે.
2027માં આ નવી પાઇપલાઇન કાર્યરત બન્યા પછી ફુજૈરાહ મારફતે ADNOCની તેલ નિકાસ ક્ષમતા બમણી થવાની શક્યતા છે. હાલમાં કાર્યરત હબ્શાન-ફુજૈરાહ પાઇપલાઇન દરરોજ આશરે 1.8 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલનું પરિવહન કરે છે.
મધ્ય પૂર્વમાં વધી રહેલા પ્રાદેશિક તણાવ વચ્ચે આ પાઇપલાઇનનું વ્યૂહાત્મક મહત્વ વધુ વધી ગયું છે. નિષ્ણાતો માને છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં કોઈપણ વિક્ષેપ વૈશ્વિક તેલ બજારને સીધી અસર કરી શકે છે. જોકે, સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે સંઘર્ષની સ્થિતિમાં આવી મહત્વપૂર્ણ પાઇપલાઇન પણ જોખમ હેઠળ આવી શકે છે.
ઈરાન યુદ્ધ અટકાવવા માટે US કોંગ્રેસે ઠરાવ પસાર કર્યો