શાહબાઝ શરીફ સંભાળી શકે છે પાકિસ્તાનનું સુકાન, સોમવારે લઈ શકે છે પીએમ પદના શપથ

Pakistan New PM: શાહબાઝ શરીફે જ ઈમરાન ખાન અને તેમની સરકાર સામે મોરચો ખોલ્યો હતો અને તેમના નેતૃત્વમાં સંયુક્ત વિપક્ષે એક થઈને અવિશ્વાસની દરખાસ્ત લાવી હતી. વિપક્ષ તરફથી શાહબાઝ શરીફને વડાપ્રધાન પદના એકમાત્ર દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા હતા.

શાહબાઝ શરીફ સંભાળી શકે છે પાકિસ્તાનનું સુકાન, સોમવારે લઈ શકે છે પીએમ પદના શપથ
| Edited By: | Updated on: Apr 10, 2022 | 6:07 AM
ઈમરાન ખાનને (Imran Khan)  વડાપ્રધાન પદ પરથી હટાવ્યા બાદ હવે શાહબાઝ શરીફ (Shehbaz Sharif)  સોમવારે પાકિસ્તાનના નવા પીએમ તરીકે શપથ લઈ શકે છે. શાહબાઝ શરીફ પીએમ બનશે તો પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ ઈદ પછી પાકિસ્તાન પરત ફરી શકે છે. શાહબાઝ શરીફે જ ઈમરાન ખાન અને તેમની સરકાર સામે મોરચો ખોલ્યો હતો અને તેમના નેતૃત્વમાં સંયુક્ત વિપક્ષે એક થઈને અવિશ્વાસની દરખાસ્ત લાવી હતી. વિપક્ષ તરફથી શાહબાઝ શરીફને વડાપ્રધાન પદના એકમાત્ર દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા હતા.

ત્રણ વખત રહી ચૂક્યા પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સીએમ

પાકિસ્તાનના સૌથી વધુ વસ્તી ધરાવતા પંજાબ પ્રાંતના મુખ્ય પ્રધાન તરીકે, શાહબાઝ શરીફે લાહોરમાં પાકિસ્તાનની પ્રથમ આધુનિક માસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ સહિત અનેક મોટા પ્રોજેક્ટ અમલમાં મૂક્યા છે. શાહબાઝ શરીફના પાકિસ્તાન આર્મી સાથે સારા સંબંધો રહ્યા છે. એવું માનવામાં આવે છે કે તે ભારત તરફ પણ ઝુકાવ ધરાવે છે.

ઉતાર ચઢાવવાળી રહી છે રાજકીય કારકીર્દી

શાહબાઝ શરીફનો જન્મ લાહોરના એક ધનાઢ્ય વેપારી પરિવારમાં થયો. તેમણે લાહોરમાંથી અભ્યાસ પણ પૂરો કર્યો. તે જ સમયે, તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, શાહબાઝ તેમના પારિવારિક વ્યવસાયમાં જોડાઈ ગયા અને તેઓ એક પાકિસ્તાની સ્ટીલ કંપનીના માલિક પણ છે. શાહબાઝે પોતાના રાજકારણની શરૂઆત પંજાબ પ્રાંતથી કરી હતી. 
શાહબાઝ શરીફ 1988માં પંજાબ વિધાનસભામાં અને 1990માં નેશનલ એસેમ્બલી માટે ચૂંટાયા હતા. ત્રણ વર્ષ પછી, શાહબાઝ ફરીથી પંજાબ વિધાનસભામાં ચૂંટાયા અને વિપક્ષના નેતા બન્યા. વર્ષ 1999માં લશ્કરી બળવા પછી શાહબાઝ શરીફ પરિવાર સાથે સાઉદી અરેબિયા ચાલ્યા ગયા હતા. વર્ષ 2007માં શાહબાઝ શરીફ પાકિસ્તાન પરત ફર્યા અને ફરીથી પાકિસ્તાનની રાજનીતિની શરૂઆત કરી.
પ્રાંતીય રાજકારણ કરનારા શાહબાઝ શરીફે 2017માં રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. વાસ્તવમાં, આ વર્ષે નવાઝ શરીફ પનામા પેપર્સ કેસમાં દોષી સાબિત થયા હતા. આ પછી શાહબાઝને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) પાર્ટીના વડા બનાવવામાં આવ્યા. બંને ભાઈઓ પર ભ્રષ્ટાચારના ઘણા આરોપો છે, પરંતુ શાહબાઝને અત્યાર સુધી કોઈ પણ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા નથી.

Follow Us