CAP-26 ક્લાઈમેટ સમિટ દરમિયાન મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા દેશોના નેતાઓને પણ મળ્યા હતા. પીએમ મોદીએ ઈઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટ સાથે તેમની પ્રથમ ઔપચારિક મુલાકાત કરી હતી. બંને દેશો વચ્ચે ઉચ્ચ ટેક્નોલોજી અને નવીનતાના ક્ષેત્રમાં સહયોગને વધુ વધારવા પર સહમતિ સધાઈ હતી. બંને નેતાઓએ તેમની વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોની સમીક્ષા કરી. પીએમ મોદીએ બેનેટને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું.
બંને નેતાઓની મુલાકાત બાદ વિદેશ મંત્રાલયે ટ્વીટ કર્યું, “અમારા વ્યૂહાત્મક ભાગીદાર સાથે સંબંધોને આગળ વધારતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગ્લાસગોમાં તેમના ઈઝરાયલી સમકક્ષને મળ્યા. તેમની આવી પ્રથમ બેઠકમાં બંને નેતાઓએ અમારા દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે બંને નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને ખાસ કરીને ઉચ્ચ ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રમાં પરસ્પર સંબંધોને વધુ વધારવા માટે સંમત થયા હતા.
PM મોદી અને બેનેટે સોમવારે અનૌપચારિક રીતે ટૂંકી મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, પીએમ નફતાલી બેનેટને ફરી એકવાર મળીને આનંદ થયો. અમે સંશોધન, ઈનોવેશન અને ભાવિ ટેક્નોલોજીના ક્ષેત્રોમાં ભારત-ઈઝરાયેલ મિત્રતાને મજબૂત બનાવવા વિશે વાત કરી. આ ક્ષેત્રો આપણા યુવાનોને સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ છે.
આવતા વર્ષે ભારત અને ઇઝરાયલ વચ્ચેના રાજદ્વારી સંબંધોના 30 વર્ષ પૂરા થશે તે યાદ કરતાં પીએમ મોદીએ બેનેટને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. ભારત અને ઈઝરાયલ વચ્ચેના ગાઢ સંબંધો અંગે બેનેટે કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો કોઈ સ્વાર્થથી નહીં પણ હૃદયથી છે. તેમણે વડાપ્રધાન મોદીને દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે સાથે મળીને કામ કરવા વિનંતી કરી. બેનેટે પીએમ મોદી અને ભારતીયોને દિવાળીની શુભેચ્છાઓ પણ આપી હતી. બેનેટ આ વર્ષે જૂનમાં ઈઝરાયેલના વડાપ્રધાન બન્યા હતા. ઈઝરાયેલના મીડિયા અનુસાર નફતાલી બેનેટ આવતા વર્ષે ભારત આવી શકે છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ