
મુસ્લિમ દેશ પાકિસ્તાને, FATFના આકરા વલણથી બચવા માટે દેખાડો કર્યો છે. ઘરમાં જ સંતાયેલો અને પાકીસ્તાન સરકાર આશ્રીત આતંકવાદી મસૂદ અઝહર પરનું ઈનામ વધારીને 70 લાખનું કરી દેવામાં આવ્યું છે. જો કે, દુનિયાને ઊંધા ચશ્મા પહેરાવવા માટે પાકિસ્તાને મસૂદ અઝહરને ભાગેડુ જાહેર કર્યો છે. પાકિસ્તાને વૈશ્વિક ગુનેગારો અંગે જાહેર કરેલ રેડ બુક’માં સૂદ અઝહરની સાથોસાથ 26/11ના મુંબઈ હુમલામાં સામેલ આતંકવાદીઓનો પણ સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પગલું માત્ર FATFના દબાણથી બચવા માટેનું એક નાટક છે.
પાકિસ્તાને ફરી એકવાર, વિશ્વને ગેરમાર્ગે દોરવા માટે આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવાનું નાટક કર્યું છે. પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA) એ, મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની નવી ‘રેડ બુક’ બહાર પાડી છે. જેમાં જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે. એટલુ જ નહીં મસૂદ અઝહર પરનું ઈનામ વધારીને 70 લાખ પાકિસ્તાની રૂપિયા કરવામાં આવ્યું છે. અગાઉ, મસૂદ અઝહર પર 50 લાખ પાકિસ્તાની રૂપિયાનું ઈનામ હતું. જાહેર કરવામાં આવ્યું હતું. હવે તેમાં 20 લાખ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનનો દાવો છે કે, મસૂદ અઝહર તેમના દેશમાં નથી. તે અફઘાનિસ્તાનમાં છુપાયેલો છે. જો કે પાકિસ્તાન આ દાવો 2021થી સતત કરતું આવ્યું છે.
જોકે, ભારતીય ગુપ્તચર સૂત્રોનું કહેવું છે કે, મસૂદ અઝહર વાસ્તવમાં પાકિસ્તાનમાં જ હાજર છે અને સિંધ પ્રાંતના નવાબશાહ શહેરમાં છુપાયેલો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા છ મહિનામાં કરવામાં આવેલી ટેકનિકલ દેખરેખ તેની પાકિસ્તાનમાં હાજરી તરફ ઈશારો કરે છે. ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન મસૂદ અઝહર સંચાલિત આતંકી સંસ્થાઓને પણ નિશાને લીધી હતી.
FIAની નવી રેડ બુકમાં 26/11ના મુંબઈ આતંકવાદી હુમલા સાથે સંકળાયેલા 19 આતંકવાદીઓના નામ પણ સામેલ છે. આ વ્યક્તિઓએ દરિયાઈ માર્ગે આતંકવાદીઓને મુંબઈ પહોંચાડવામાં મદદ કરી હતી, ભંડોળ પૂરું પાડ્યું હતું અને સમગ્ર ઓપરેશનનું સંચાલન કર્યું હતું.
જોકે, યાદીમાં સામેલ બે નામો અંગે પાકિસ્તાનની કાર્યવાહીએ સવાલો ઊભા કર્યા છે. રેડ બુકમાં મુહમ્મદ ખાન અને અબ્દુલ રહેમાનના નામ તો છે, પરંતુ તેમના ફોટોગ્રાફ્સ, લશ્કર-એ-તૈયબા સાથેના તેમના સંબંધોની વિગતો અને તેમની ભૂમિકાઓનું વર્ણન હટાવી દેવામાં આવ્યું છે. આ માહિતી 2021ની FIA યાદીમાં સામેલ હતી. 11 આતંકવાદીઓએ દરિયાઈ માર્ગે મુસાફરીમાં મદદ કરી હતી.
FIAની યાદીમાં લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા 11 આતંકવાદીઓના નામ સામેલ છે, જેમણે ‘અલ-હુસૈની’ અને ‘અલ-ફૌજ’ બોટનો ઉપયોગ કરીને 26/11ના હુમલાખોરોને દરિયાઈ માર્ગે મુંબઈ પહોંચાડવામાં મદદ કરી હતી. આ વ્યક્તિઓમાં મુહમ્મદ અમજદ ખાન, શાહિદ ગફૂર, મોહમ્મદ ઉસ્માન, અતિક-ઉર-રહેમાન, રિયાઝ અહેમદ, મુહમ્મદ મુશ્તાક, મુહમ્મદ નઈમ, અબ્દુલ શકૂર, મુહમ્મદ સાબિર સલ્ફી, મુહમ્મદ ઉસ્માન અને શકીલ અહેમદનો સમાવેશ થાય છે.
‘રેડ બુક’માં એવા છ આતંકવાદીઓના નામ પણ છે, જેમણે મુંબઈ હુમલા માટે આર્થિક સહાય પૂરી પાડી હતી. તેમાં મુહમ્મદ ઈફ્તિખાર અલીએ હુમલાખોરો અને તેમના સંચાલકો વચ્ચે વાતચીતની સુવિધા માટે VoIP કનેક્શન સ્થાપિત કરવા પાછળ 70,000 પાકિસ્તાની રૂપિયા ખર્ચ્યા હતા.
આ ઉપરાંત, મોહમ્મદ ઝિયાએ 80,000, મોહમ્મદ અબ્બાસ નાસિરે 2.53 લાખ, જાવેદ ઈકબાલે 1.86 લાખ, મુખ્તાર અહેમદે 2.98 લાખ અને અહેમદ સઈદે હુમલા માટે 21 લાખ પાકિસ્તાની રૂપિયાનું યોગદાન આપ્યું હતું.
ભારતીય સૂત્રોનો દાવો છે કે પાકિસ્તાનનું આ પગલું ઓક્ટોબરમાં નિર્ધારિત FATFની પૂર્ણ સત્ર બેઠક (પ્લેનરી મીટિંગ) પહેલાં લેવામાં આવ્યું છે. પરિણામે, પાકિસ્તાનની ‘રેડ બુક’ને આંતરરાષ્ટ્રીય તપાસ કે દેખરેખથી બચવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.
FIA (ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) અનુસાર, 26/11ના હુમલા સાથે સંકળાયેલા 17 આતંકવાદીઓ છેલ્લા 18 વર્ષથી ફરાર છે. જોકે, ભારતીય ગુપ્તચર સૂત્રોનો દાવો છે કે આ તમામ આતંકવાદીઓ પાકિસ્તાનમાં જ હાજર છે. સૂત્રોનું માનવું છે કે તેમને ‘મોસ્ટ વોન્ટેડ’ જાહેર કરવા અને ‘રેડ બુક’માં સામેલ કરવા એ માત્ર એક દેખાડો છે.
પાકિસ્તાનની FIA ‘રેડ બુક’માં ‘મોસ્ટ વોન્ટેડ’ આતંકવાદીઓની સંખ્યામાં પણ ભારે વધારો થયો છે. વર્ષ 2021માં આ યાદીમાં 1,330 આતંકવાદીઓ હતા. જ્યારે નવી યાદીમાં આ આંકડો વધીને 1,804 થઈ ગયો છે. એટલે કે, તેમાં લગભગ 35 ટકાનો વધારો થયો છે. આનાથી એ પ્રશ્ન ઊભો થાય છે કે, જો પાકિસ્તાન ખરેખર આતંકવાદીઓ સામે કાર્યવાહી કરી રહ્યું છે, તો પછી 26/11 જેવા મોટા આતંકવાદી હુમલા સાથે સંકળાયેલા આરોપીઓ આટલા વર્ષો પછી પણ પાકિસ્તાનની પહોંચથી દૂર કેવી રીતે છે?