
પાકિસ્તાને (Pakistan News) એક જ દિવસમાં 3,248 અફઘાન શરણાર્થીઓને દેશમાંથી હાંકી કાઢ્યા છે અને તે બધા અફઘાનિસ્તાન પરત ફર્યા છે. પાકિસ્તાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, દસ્તાવેજ વગર જ રહેતા અફઘાન શરણાર્થીઓને (Afghan Refugees) બહાર કરવાની છેલ્લી તારીખ જાહેર કરવામાં આવી ત્યારબાદથી 51,000 થી વધુ અફઘાન નાગરિકોને દેશ નિકાલ કરવામાં આવ્યા છે.
બલૂચિસ્તાન પ્રાંતના માહિતી પ્રધાન જાન અચકઝાઈએ ગેરકાયદેસર ઈમિગ્રેશન સામે લડવાના પાકિસ્તાનના પ્રયાસોની નોંધ લીધી હતી. તેમણે કહ્યું કે, આ કાર્યવાહી અફઘાન શરણાર્થીઓથી પણ આગળ વધશે. 1 નવેમ્બર સુધીમાં તેઓને પરત ફરવાની ચેતવણી આપવામાં આવી છે, તેથી સમય મર્યાદા તમામ બિનદસ્તાવેજીકૃત ઇમિગ્રન્ટ્સને લાગુ પડે છે. એક વિશેષ શાખા સમગ્ર બલૂચિસ્તાનમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોની ઓળખ કરવા માટે અને તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવાનું કામ સોંપવામાં આવ્યું છે.
આ દરમિયાન અમેરિકાએ પાકિસ્તાનને એવા અફઘાન શરણાર્થીઓને આશ્રય આપવા કહ્યુ જેઓ પાકિસ્તાનમાં રહેવા માંગે છે. અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ અપીલ આંતરરાષ્ટ્રીય સુરક્ષા માગતા અફઘાનોના પ્રવેશને સરળ બનાવવા માટે કરી છે. પ્રવક્તાએ કહ્યું કે, અમે પાકિસ્તાન સહિત અફઘાનિસ્તાનના પડોશી દેશોને અપીલ કરીએ છીએ કે તેઓ આંતરરાષ્ટ્રીય સુરક્ષા ઇચ્છતા અફઘાનિસ્તાનોને પ્રવેશની મંજૂરી આપે અને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી સંગઠનો સાથે સંકલન કરે.
આ પહેલા કરાચીમાં હિજરા કોલોની અને અફઘાન બસ્તીમાં રહેતા ઘણા બધા અફઘાન પુરૂષો, મહિલાઓ અને બાળકો માટે પાકિસ્તાન સરકારની સૂચના આપ્યા બાદથી જીવન જીવવું મુશ્કેલ બન્યું છે. આ વિસ્તારોમાં રહેતા અફઘાન શરણાર્થીઓનું કહેવું છે કે, પોલીસે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે. પાકિસ્તાન સરકારે કોઈ ડોક્યુમેન્ટ વગર ગેરકાયદે રહેતા અફઘાનિસ્તાનો માટે સ્વેચ્છાએ દેશ છોડવા માટે 1 નવેમ્બરની તારીખ નક્કી કરી છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો