
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના ચીફ ઈમરાન ખાનની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. ઈમરાન વિરુદ્ધ આર્મી એક્ટ હેઠળ બે કેસ નોંધાયેલા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ઈમરાન ખાનને બે કેસમાં નામાંકિત કરવામાં આવ્યા છે. આ બંને કિસ્સા 9મી મેના રોજ થયેલી ભીષણ હિંસા પર આધારિત છે. ઈમરાન ખાને લાહોર હાઈકોર્ટમાં તમામ કેસમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. આ અંગે હાઈકોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે..
સૂત્રો દ્વારા સમાચાર મળી રહ્યા છે કે જિન્નાહ હાઉસ અને ગુલબર્ગ અસ્કરી ટાવર કેસની તપાસ આર્મી એક્ટ હેઠળ કરવામાં આવશે. ઈમરાન ખાન ઉપરાંત પીટીઆઈ નેતા એજાઝ ચૌધરી, હમ્મદ અઝહર ઉમર સરફરાઝ ચીમા, શાહ મેહમૂદ કુરેશી, મુરાદ સઈદ, અસદ ઉમર, ડો. યાસ્મીન રાશિદ, મિયાં મેહમૂદ ઉર રશીદ અને 50થી વધુને નોમિનેટ કરવામાં આવ્યા છે.
આ બંને કેસમાં આતંકવાદ સહિત 19 વધુ કલમો લગાવવામાં આવી છે. જેમાં દેશદ્રોહ અને પાકિસ્તાની સેના વિરુદ્ધ નારા લગાવવાની કલમો પણ સામેલ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બંને કેસમાં આરોપીઓની ધરપકડ કર્યા બાદ પોલીસ તેમને પાકિસ્તાન આર્મીને પણ સોંપી શકે છે.
ઈમરાન ખાનને પાકિસ્તાની રેન્જર્સે 9મી મેના રોજ ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી ધરપકડ કરી હતી. ઈમરાન તેની સામે ચાલી રહેલા બે કેસમાં હાજર થવા માટે ત્યાં ગયો હતો. ઈમરાન ખાનની ધરપકડ બાદ સમગ્ર પાકિસ્તાનમાં અનેક જગ્યાએ હિંસક રમખાણો ફાટી નીકળ્યા હતા. જેના કારણે પીટીઆઈએ દાવો કર્યો હતો કે વિરોધ પ્રદર્શન દરમિયાન 47 લોકોના મોત થયા છે, જ્યારે 1100થી વધુ લોકો ઘાયલ થયા હતા.
જણાવી દઈએ કે ધરપકડના સમયે ઈમરાન ખાને લાહોર હાઈકોર્ટમાં તેમની વિરુદ્ધ ચાલી રહેલા તમામ કેસોમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. લાહોર હાઈકોર્ટે મંગળવારે આ અંગે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. જો કે આ અંગે કોર્ટે હજુ સુધી પોતાનો ચુકાદો આપ્યો નથી.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો