તાલિબાન સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં જોરદાર વિસ્ફોટ થયો. આ વિસ્ફોટ અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રી બિસ્મિલ્લાહ મોહમ્મદીના ઘર પાસે થયો હતો. મીડિયા અહેવાલો અનુસાર, આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા છે. TV9 ભારતવર્ષના સંવાદદાતા સુમિત ચૌધરીએ કાબુલથી જણાવ્યું હતું કે બ્લાસ્ટ બાદ લાંબા સમય સુધી ફાયરિંગ ચાલતું રહ્યું અને અજાણ્યા લોકોએ સંરક્ષણ મંત્રીના ઘર તરફ જવાનો પ્રયાસ કર્યો.
અહેવાલ અનુસાર જે વિસ્તારમાં બ્લાસ્ટ થયો તે ગ્રીન ઝોનમાં આવે છે, તે ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે કેટલા લોકો બ્લાસ્ટમાં અથવા ફાયરિંગમાં ઘાયલ થયા છે. અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે વિસ્ફોટ ગ્રીન ઝોનમાં આવતા પોશ વિસ્તાર શેરપુરમાં થયો હતો. ત્યાં ઘણા વરિષ્ઠ સરકારી અધિકારીઓનું ઘર છે. અત્યાર સુધી કોઈ પણ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.
કાર્યકારી સંરક્ષણ મંત્રી જનરલ બિસ્મિલ્લાહ મોહમ્મદીએ કહ્યું કે કાબુલ બ્લાસ્ટ બાદ તેઓ અને તેમનો પરિવાર સુરક્ષિત છે. તેમણે કહ્યું કે તેમના કેટલાક સુરક્ષા દળોને ઈજા થઈ છે. ખાનગી સમાચાર સંસ્થાએ પણ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે કેટલાક બંદૂકધારીઓ સંરક્ષણ મંત્રીના ઘરમાં ઘૂસ્યા હતા.
છેલ્લા કેટલાક મહિનાઓથી અફઘાનિસ્તાન યુદ્ધનું મેદાન બની ગયું છે. અમેરિકન સૈનિકોને પાછા ખેંચવાનની શરૂઆતથી તાલિબાન અફઘાનિસ્તાનના વિસ્તારો પર સતત હુમલા કરી રહ્યું છે. તાલિબાને ધીમે ધીમે પ્રાંતીય રાજધાનીઓ તરફ આગળ વધવાનું શરૂ કર્યું છે. બીજી બાજુ, યુએસ અને નાટોના 95 ટકા સૈનિકો પાછા જતા રહ્યા છે અને બાકીના સૈનિકો 31 ઓગસ્ટ સુધીમાં અફઘાનિસ્તાનથી પરત આવે તેવી સંભાવના છે.
તાલિબાન શાંતિમાં માનતું નથી: અફઘાન રાષ્ટ્રપતિ
અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ સોમવારે દેશમાં કથળી રહેલી સુરક્ષા પરિસ્થિતિ માટે યુએસ અને નાટો સૈનિકોની ઉતાવળમાં ઉપાડને જવાબદાર ઠેરવી હતી. સંસદને સંબોધતા ગનીએ કહ્યું, “તાલિબાન સાથે શાંતિ પ્રક્રિયાની વાતચીતથી કોઈ ફાયદો થયો નથી, પરંતુ આનાથી અફઘાનિસ્તાનના લોકોમાં શંકા અને ડરની સ્થિતિ ઉભી થઇ છે. તાલિબાન શાંતિમાં માનતા નથી. આગામી છ મહિનામાં અભૂતપૂર્વ ફેરફારો થશે અને તાલિબાનને પાછળ ધકેલી દેવામાં આવશે.”
રાષ્ટ્રપતિના સંબોધનના કલાકો બાદ તાલિબાને હેલમંડ પ્રાંતની રાજધાની લશ્કર ગાહમાં પ્રાંતીય સરકારના રેડિયો અને ટીવી બિલ્ડિંગ પર કબજો કર્યો હતો. અહેવાલ અનુસાર, હેલમંડ પ્રાંતની રાજધાનીના 10 માંથી નવ જિલ્લા કબજે કરવામાં આવ્યા હતા. અમેરિકાની મદદથી લશ્કર ગાહ શહેરને બચાવવા માટે અફઘાન દળોએ હવાઈ હુમલા કર્યા હતો.
આ પણ વાંચો: હવે મુકેશ અંબાણી ટાટાના આ ક્ષેત્રમાં સ્પર્ધક બનશે, જાણો વિગતવાર
આ પણ વાંચો: શરદ પવારે ટ્વીટ કરીને જણાવ્યું અમિત શાહ સાથેની બેઠકનું કારણ, દિલ્હીમાં મુલાકાત, મહારાષ્ટ્રમાં ખળભળાટ