જો બાઈડને વ્લાદિમીર પુતિનને ‘ક્રૂર’ કહ્યા, રશિયા પર વધુ કડક પ્રતિબંધો લગાવવાની આપી ધમકી

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને આજે કહ્યું છે કે પુતિનને 'યુદ્ધ ગુનેગાર' કહેવા માટે મારી ટીકા થઈ હતી, પરંતુ તે 'યુદ્ધ ગુનેગાર' છે. અમારે યુક્રેનને જરૂરી શસ્ત્રો પૂરા પાડવાનું ચાલુ રાખવું પડશે. બધી માહિતી એકઠી કરવી પડશે જેથી કરીને યુદ્ધ ગુનાઓ પર કાર્યવાહી થઈ શકે.

જો બાઈડને વ્લાદિમીર પુતિનને ક્રૂર કહ્યા, રશિયા પર વધુ કડક પ્રતિબંધો લગાવવાની આપી ધમકી
| Edited By: | Updated on: Apr 04, 2022 | 11:35 PM

Russia – Ukraine War : રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને આજે 40 દિવસ થઈ ગયા છે. આ 40 દિવસોમાં રશિયાએ (Russia) યુક્રેનના (Ukraine) ઘણા શહેરોને તબાહ કરી નાખ્યા છે. યુક્રેનની રાષ્ટ્રીય રાજધાની કિવથી નજીક આવેલા બૂચા (Bucha) શહેર વિશે જે સમાચાર બહાર આવી રહ્યા છે તે વધુ હ્રદયસ્પર્શી છે. આજરોજ (04/03/2022) અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને કથિત બૂચા હત્યાકાંડ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને ‘યુદ્ધ ગુનેગાર’ કહેવા માટે અમેરિકાની જે તે સમયે ખૂબ ટીકા કરવામાં આવી હતી. આજે અમેરિકાના રાષ્ટ્રપતિએ વ્લાદિમીર પુટીન સામે ખૂબ જ આક્રમક રીતે ટીકા કરી છે.

જો બાઈડને વધુમાં કહ્યું કે, ”રશિયના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ક્રૂર છે અને બુચામાં જે થઈ રહ્યું છે તે અત્યાચારી છે અને દરેક વ્યક્તિ આજે તેને જોઈ રહ્યા છે. આ યુદ્ધ અપરાધ છે. હું વધુ પ્રતિબંધોની માગ કરી રહ્યો છું, તેમને જવાબદાર ઠેરવવા જોઈએ.”

‘રશિયન સૈનિકો કસાઈ અને લૂંટારા છે’  

બીજી તરફ યુક્રેને રશિયન સેના પર સનસનીખેજ આરોપ લગાવ્યો હતો કે, રશિયાના સૈનિકોએ બુચામાં નરસંહાર કર્યો હતો. યુક્રેનના વિદેશ મંત્રીએ કહ્યું કે રશિયન સેના ISIS કરતા પણ ખરાબ છે. હવે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પોતાનું નિવેદન આપ્યું છે. તેઓ બુચામાં રશિયન સૈનિકો દ્વારા કરવામાં આવેલા મૃતદેહોના ઢગલા પર કહ્યું કે, રશિયન સૈનિકો કસાઈ અને લૂંટારા સમાન છે.

ઝેલેન્સકીએ આગળ કહ્યું કે, બુચામાં નાગરિકોની જાણીજોઈને હત્યા કરવામાં આવી છે. રશિયના રાષ્ટ્રપતિ પુતિન પર પ્રહાર કરતા યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે યુદ્ધ અપરાધ કરનારા જ મૃત્યુને લાયક છે. વિશ્વને રશિયા સામેની તપાસ અને સજાને સમર્થન આપવા દો.

બીજી તરફ, રશિયાએ બુચા નરસંહારના આરોપોથી પોતાને બાજુ પર રાખ્યું છે. રશિયાએ દાવો કર્યો હતો કે જ્યાં સુધી અમારી સેના છે ત્યાં સુધી એક પણ મૃત્યુ થયું નથી. બુચાના વાયરલ વિડીયો દેખાડવા એ યુક્રેનનું નાટક છે. આ સાથે જ બુચાની તબાહી જોઈને નાટો દેશો નારાજ થઈ ગયા છે. નાટો સંગઠન અત્યારે રશિયાને પાઠ ભણાવવાની તૈયારી કરી રહયુ છે. બીજી તરફ પોલેન્ડે યુક્રેન માટે ઘાતક હથિયારની માંગણી કરી છે.

410 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા

યુક્રેનની રાજધાની કિવમાંથી રશિયન સૈનિકોની હકાલપટ્ટી બાદ શહેરની બહાર રસ્તાઓ પર લોકોના મૃતદેહો પડેલા જોવા મળે છે, જેમાંથી કેટલાકના હાથ બંધાયેલા છે જ્યારે અન્યને નજીકથી ગોળી મારીને નિર્દોષ લોકો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. યુરોપિયન નેતાઓએ આવા હિંસાના અતિરેકની નિંદા કરી છે.

બુચામાં મૃતદેહોના ફોટોગ્રાફ્સ સામે આવ્યા પછી મોસ્કો સામે સખત પ્રતિબંધો માટે હાકલ કરી છે. યુક્રેનના પ્રોસીક્યુટર જનરલ ઈરિના વેનેડિક્ટોવાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં રશિયના કબજામાંથી કબજે કરાયેલા કિવ પ્રદેશના શહેરોમાંથી 410 નાગરિકોના મૃતદેહ કાઢવામાં આવ્યા છે.

આ પણ વાંચો – Russia Ukraine War: ઝેલેન્સકી રશિયન સૈનિકોના અત્યાચારની કરાવશે તપાસ, આંતરરાષ્ટ્રીય નેતાઓ સાથે કરશે વાતચીત

 

Follow Us