પાકિસ્તાનમાં હિન્દુ મંદિર તોડી પાડવા પર ભારતે દાખવી કડકાઈ, દિલ્હી સ્થિત પાકિસ્તાનના ટોચના રાજદૂતને બોલાવ્યા

કટ્ટરપંથીઓનુ ટોળુ મંદિરમાં તોડફડ કરી રહ્યું હતુ તે દરમિયાન પોલીસ મુક પ્રેક્ષક બની ગઈ હતી. પોલીસે તોડફોડ કરનારા તત્વોને રોકવાનો પ્રયાસ પણ કર્યો નહતો.

પાકિસ્તાનમાં હિન્દુ મંદિર તોડી પાડવા પર ભારતે દાખવી કડકાઈ, દિલ્હી સ્થિત પાકિસ્તાનના ટોચના રાજદૂતને બોલાવ્યા
demolition of Hindu temple in Pakistan
| Edited By: | Updated on: Aug 05, 2021 | 10:16 PM

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બુધવારે મોડી રાત્રે એક ટોળાએ હિન્દુ મંદિર પર હુમલો કર્યો હતો. કટ્ટરપંથીઓના ટોળાએ મંદિરમાં દેવી -દેવતાઓની મૂર્તિઓને પણ વ્યાપકપણે નુકસાન પહોંચાડ્યું છે. આ ઘટનાને લઈને ભારતે ગુરુવારે દિલ્હીમાં પાકિસ્તાનના ટોચના રાજદ્વારીને બોલાવ્યા અને પાકિસ્તાનમાં હિન્દુ મંદિર તોડી પાડવા બાબતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાનમાં ઘણાબધા હિન્દુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે. પાકિસ્તાનનું વહીવટીતંત્ર આ તમામ બાબતો પ્રત્યે બેદરકાર રહ્યુ છે.

પંજાબ પ્રાંતમાં એક ટોળાએ મંદિર પર હુમલો કર્યો હતો અને મોટા ભાગમાં આગ પણ લગાવી હતી. આ સિવાય મંદિરમાં સ્થાપિત મૂર્તિઓની પણ તોડફોડ કરવામાં આવી હતી. કટ્ટરપંથીઓનુ ટોળુ મંદિરમાં તોડફડ કરી રહ્યું હતુ તે દરમિયાન પોલીસ મુક પ્રેક્ષક બની ગઈ હતી. પોલીસે તોડફોડ કરનારા તત્વોને રોકવાનો પ્રયાસ પણ કર્યો નહતો. પરિસ્થિતિને એટલી બધી કાબુ બહાર ગઈ હતી કે, તેને નિયંત્રણમાં લાવવા માટે પાકિસ્તાની સેનાને બોલાવવી પડી હતી.

વડા પ્રધાન ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ) ના સાંસદ ડો.રમેશ કુમાર વાંકવાણીએ બુધવારે પોતાની ટ્વિટર વોલ પર આ ઘટનાનો વીડિયો શેર કર્યો હતો. તેમણે કાયદાઓનો અમલ કરનારી વિવિધ એજન્સીઓને સ્થળ પર પહોંચી મંદિરને તોડફોડથી બચાવવા માટે અગ્રહભરી અપીલ કરી હતી. રમેશ વાંકવાણીએ આ મુદ્દે કરેલા અનેક ટ્વીટમાં તેમણે કહ્યું કે, ‘પંજાબના રહીમ યાર ખાન જિલ્લાના ભોંગ શહેરમાં હિન્દુ મંદિર પર હુમલો થયો છે. ગઈકાલથી સ્થિતિ તંગ બની છે. સ્થાનિક પોલીસની બેદરકારી ખૂબ જ શરમજનક છે. મુખ્ય ન્યાયમૂર્તિએ આગળ વધીને કાર્યવાહી કરવી જોઈએ. ધાર્મિક સંવાદિતા જાળવવી એ વર્તમાન સમયની જરૂરિયાત છે.

પાકિસ્તાનમાં હિન્દુ મંદિરો સળગાવનારા 350 લોકોના ગુના માફ કરવામાં આવ્યા હતા
ગયા મહિને જ પાકિસ્તાનની સરકારે પાકિસ્તાનમાં હિન્દુ મંદિરોને સળગાવી મૂકનારા 350 આરોપીઓને માફ કરવાનો નિર્ણય લીધો છે. ખૈબર પખ્તુનખ્વા સરકારે કહ્યું હતું કે આ તમામ સામે નોંધાયેલા કેસ પાછા ખેંચી લેવામાં આવશે. ગયા વર્ષે આ વિસ્તારમાં એક મંદિર સળગાવવામાં આવ્યું હતું. સરકારનો દાવો છે કે લઘુમતી હિન્દુ સમુદાયે તેમને માફ કરી દીધા છે. તેથી તેમની સામેના કેસ પાછા લઈને તમામને માફી આપવામાં આવી છે.

ગૃહ વિભાગના સૂત્રોનું કહેવું છે કે હિન્દુ સમુદાયના સભ્યોએ કેસને સમાપ્ત કરવા માટે સરકાર દ્વારા રચવામાં આવેલી જિરગામાં આરોપીઓને માફ કરવાનો નિર્ણય કર્યો છે. જિરગા એક રીતે પંચાયતનું સ્વરૂપ છે, જેમાં વડીલો પરસ્પર સંમતિથી નિર્ણયો લે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સરકારે એક જિરગાની રચના કરી હતી, જેણે આ મુદ્દાને સર્વાનુમતે ઉકેલ્યો હતો. આ કારણે આ વિસ્તારના મુસ્લિમ અને હિન્દુ સમુદાયો વચ્ચે તણાવ ઉભો થયો હતો.

આ પણ વાંચોઃ નાસાએ 13 અબજ વર્ષ જૂના ગેલેક્સી ડેટાનો વીડિયો કર્યો શેર, જાણો તે આટલો ખાસ કેમ છે?

આ પણ વાંચોઃ કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચે ફરી ઓછો થઈ શકે છે સમયગાળો, 45 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે લેવાઈ શકે છે નિર્ણય

Published On - 9:57 pm, Thu, 5 August 21