ફરી અફઘાનિસ્તાનની મદદે ભારત આવ્યુ આગળ, નવા વર્ષે 5 લાખ કોરોના વેક્સિનના ડોઝ મોકલવામાં આવ્યા

નવા વર્ષ નિમિત્તે અફઘાનિસ્તાનને માનવતાવાદી સહાય પૂરી પાડતા ભારતે શનિવારે કોરોના રસીના પાંચ લાખ ડોઝ સોંપ્યા છે.

ફરી અફઘાનિસ્તાનની મદદે ભારત આવ્યુ આગળ, નવા વર્ષે 5 લાખ કોરોના વેક્સિનના ડોઝ મોકલવામાં આવ્યા
| Edited By: | Updated on: Jan 01, 2022 | 6:58 PM

કોરોનાનું નવુ વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron Variant) આખી દુનિયામાં ખળભળાટ મચાવી રહ્યું છે. આ કારણે ઘણા દેશોમાં કોરોનાની નવી લહેર આવી છે અને તેને રોકવા માટે ઘણા દેશોએ ફરી એકવાર કડક નિયંત્રણો લાદી દીધા છે. જો કે, વિશ્વભરના નિષ્ણાંતો કોરોના ચેપને રોકવા માટે કોરોના રસીને જરૂરી માની રહ્યા છે. નિષ્ણાંતો કહે છે કે જેમને કોરોનાની રસી (Corona Vaccine) મળી છે, તેમના પર વાયરસ ઓછો અસર કરી રહ્યો છે.

વિશ્વભરમાં કોરોનાની આ નવી લહેર વચ્ચે ભારતે ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયેલા અફઘાનિસ્તાનની (Afghanistan) મદદ કરી છે. ભારતે શનિવારે નવા વર્ષ નિમિત્તે અફઘાનિસ્તાનને માનવતાવાદી સહાય પૂરી પાડતા કોરોના રસી (COVAXIN) ના 5,00,000 ડોઝ સોંપ્યા. ભારત સરકારના જણાવ્યા અનુસાર, કાબુલની ઈન્દિરા ગાંધી હોસ્પિટલમાં કોરોના રસીનું આ કન્સાઈનમેન્ટ અફઘાનિસ્તાનને સોંપવામાં આવ્યું છે.

ભારત સરકારે કહ્યું કે તે અફઘાનિસ્તાનને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. નવા વર્ષ નિમિત્તે અફઘાનિસ્તાનને રસીના પાંચ લાખ ડોઝ આપ્યા બાદ ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે માનવતાવાદી સહાય હેઠળ અફઘાનિસ્તાનને કોરોના રસીના 10 લાખ ડોઝ આપવાના છે. શનિવારે રસીના સપ્લાય પછી, રસીના બાકીના પાંચ લાખ ડોઝ પણ આગામી અઠવાડિયામાં અફઘાનિસ્તાનને સપ્લાય કરવામાં આવશે.

ભારત સરકારે કહ્યું કે ટૂંક સમયમાં અફઘાનિસ્તાનના લોકોને મદદ કરવા માટે અનાજનો પુરવઠો પણ સુનિશ્ચિત કરવામાં આવશે. ભારત સરકારના એક અધિકારીના જણાવ્યા અનુસાર, ભારત અફઘાન લોકોને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે જેમાં અનાજ, કોવિડ રસીના 10 લાખ ડોઝ અને જીવનરક્ષક દવાઓનો સમાવેશ થાય છે.

તેમણે કહ્યું કે ગયા મહિનાની શરૂઆતમાં ભારતે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા અફઘાનિસ્તાનને 1.6 ટન તબીબી સહાય પૂરી પાડી હતી. તેમણે કહ્યું કે ભારત સરકાર આગામી સપ્તાહોમાં અફઘાનિસ્તાનને ઘઉં અને બાકીની તબીબી સહાયની સપ્લાય સુનિશ્ચિત કરશે. તેમણે કહ્યું કે ભારત સરકાર આ સંદર્ભે પરિવહનની પદ્ધતિને અંતિમ સ્વરૂપ આપવા માટે સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓ અને અન્યો સાથે સંપર્કમાં છે.

અફઘાનિસ્તાન પાછલા વર્ષમાં ફરી એકવાર રાજકીય રીતે અસ્થિર બન્યું છે. વાસ્તવમાં તાલિબાને ઓગસ્ટ મહિનામાં કાબુલ પર કબજો કરી લીધો હતો. આ પહેલા રાષ્ટ્રપતિ દેશ છોડી ગયા હતા. જો કે એક મહિના પછી, તાલિબાને દેશમાં વચગાળાની સરકારની રચના કરી હતી, પરંતુ હજુ સુધી તાલિબાનની કામચલાઉ સરકારને કોઈ દેશ દ્વારા માન્યતા આપવામાં આવી નથી. જેના કારણે વચગાળાની સરકાર પાસે ભંડોળની અછત છે અને અફઘાનિસ્તાન ફરી એકવાર અનેક પ્રકારના સંકટનો સામનો કરી રહ્યું છે.

 

આ પણ વાંચો –

પ્રોફેસર કક્કરને KBEથી સન્માનિત કરયા, અન્ય 50 બ્રિટિશ ભારતીયોના નામ પણ નવા વર્ષની સન્માન યાદીમાં સામેલ

આ પણ વાંચો –

North Korea: શું સરમુખત્યાર કિમ જોંગ ઉન બદલાય ગયા, નવા વર્ષમાં પરમાણુ હથિયારોને બદલે આર્થિક વિકાસ પર આપશે ધ્યાન

Follow Us