ગુરુવારે ઉત્તર કોરિયાએ પ્રથમ કોવિડ-19 કેસની (Covid-19 in North Korea) જાણકારી આપી હતી. સાથે જ દેશના સરકારી મીડિયાએ તેને ‘ગંભીર રાષ્ટ્રીય કટોકટીની ઘટના’ ગણાવી હતી. ઉત્તર કોરિયામાં (Coronavirus in North Korea) કોરોના વાયરસ વિશ્વમાં સામે આવ્યાને બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજી સુધી ઉત્તર કોરિયાએ તેની જગ્યાએ કોરોનાના કેસોની ઘટના વિશે કોઈ માહિતી આપી ન હતી. સત્તાવાર KCNA ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે કોવિડના નવા નોંધાયેલા કેસો કોરોના વાયરસના ખતરનાક ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant)સાથે જોડાયેલા છે.
KCNA એ અહેવાલ આપ્યો કે ગુરુવારે, રાજધાની પ્યોંગયાંગમાં ઘણા લોકોને ઓમિક્રોન વેરિઅન્ટ્સથી ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ હતી. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને દેશમાં કોવિડ નિવારક પગલાંને કડક બનાવવા પર ભાર મૂક્યો છે. કિમે શાસક કોરિયન વર્કર્સ પાર્ટીના પોલિટબ્યુરોની બેઠક બોલાવી, જ્યાં સભ્યોએ વાયરસ વિરોધી પગલાં લેવાનું જણાવ્યુ હતુ. આ બેઠક દરમિયાન, કિમે અધિકારીઓને કોવિડના ફેલાવાને સ્થિર કરવા અને વધુ સંક્રમણ કઈ રીતે અટકી શકે તે માટેના પગલા લેવા ટકોર કરી હતી.ડેઇલી મિરરના અહેવાલ મુજબ, હાલ લોકોને ઘરની અંદર રહેવા માટે કહેવામાં આવ્યું છે અને અધિકારીઓ દ્વારા દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
સરકારી મીડિયાએ જણાવ્યું કે, ‘તાજેતરમાં દેશમાં સૌથી મોટી ઈમરજન્સી આવી છે. ફેબ્રુઆરી 2020 થી છેલ્લા બે વર્ષ અને ત્રણ મહિનામાં દેશને સુરક્ષિત રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે કોરોનાની ઘૂસણખોરી થઈ છે. તમને જણાવી દઈએ કે, હજુ સુધી KCNA એ માહિતી આપી નથી કે કોવિડ-19ને કારણે કેટલા લોકો સંક્રમિત થયા છે. ઉત્તર કોરિયામાં રોગચાળાની શરૂઆતથી, દેશમાં કોરોનાના ફેલાવાને રોકવા માટે કડક કોવિડ નીતિ લાગુ કરવામાં આવી હતી. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કિમ જોંગ દેશમાં મર્યાદિત સ્વાસ્થ્ય સુવિધાઓ અને વૈશ્વિક સ્તરે એકલતાના કારણે વધારે ચિંતિત છે.ઉલ્લેખનીય છે કે, આ પહેલા ઉત્તર કોરિયામાં લોકોને રોગચાળો શરૂ થયા પછી ઇમરજન્સી ક્વોરેન્ટાઇન સિસ્ટમમાંથી પસાર થવું પડ્યું હતું.
Published On - 8:23 am, Thu, 12 May 22