
આશરે ત્રણ વર્ષ પહેલાં કેનેડાના તત્કાલીન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંલિપ્તતા (Involvement) નો આક્ષેપ કર્યો હતો.
એવામાં હવે કેનેડાની પોલીસનું કહેવું છે કે, અમારી તપાસમાં નિજ્જરની હત્યામાં ભારત સરકારના અધિકારીઓની સંલિપ્તતાના કોઈ પુરાવા મળ્યા નથી. આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે અમેરિકાએ નિજ્જર હત્યાકાંડમાં ભારતીય મૂળના ગેંગસ્ટર્સ સામે આરોપો નક્કી કર્યા છે.
કેનેડિયન પોલીસનું આ નિવેદન ટ્રુડો સરકારના એ જૂના વલણથી બિલકુલ અલગ છે, જેણે ભારત અને કેનેડા વચ્ચે દાયકાઓનું સૌથી ગંભીર રાજદ્વારી સંકટ ઊભું કરી દીધું હતું. ટ્રુડોના આક્ષેપોને ભારતે શરૂઆતથી જ વાહિયાત અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા હતા. આ આક્ષેપો બાદ બંને દેશોએ એકબીજાના રાજદ્વારોને હાંકી કાઢ્યા હતા, દ્વિપક્ષીય વાર્તાલાપ ઠપ થઈ ગયો હતો અને સંબંધોમાં ભારે કડવાશ આવી ગઈ હતી.
The Royal Canadian Mounted Police (RCMP) has said investigators have found no evidence linking Indian government officials to the 2023 killing of Khalistani separatist Hardeep Singh Nijjar.
The statement came after US authorities charged jailed gangster Lawrence Bishnoi and…
— JioNews (@JioNews) July 8, 2026
રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) નો આ ખુલાસો અમેરિકન અધિકારીઓ દ્વારા એક આરોપનામું જાહેર કરાયાના થોડા કલાકો બાદ આવ્યો છે. આ આરોપનામામાં જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના સહયોગી ગોલ્ડી બ્રાર પર વર્ષ 2023માં કેનેડામાં હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો નિર્દેશ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જો કે, અહેવાલ અનુસાર અમેરિકન આરોપનામામાં પણ ભારતીય સરકારની કોઈ ભૂમિકાનો આક્ષેપ કરવામાં આવ્યો નથી.
જણાવી દઈએ કે, કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જરને ભારતે વર્ષ 2020માં આતંકવાદી જાહેર કર્યો હતો. તે પ્રતિબંધિત સંગઠન ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF) નો વડો હતો. જૂન 2023માં કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરે શહેરમાં એક ગુરુદ્વારાના પાર્કિંગમાં બે નકાબપોશ હુમલાખોરોએ તેની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
જસ્ટિન ટ્રુડોના પદ છોડ્યા બાદ અને માર્ક કાર્ની વડાપ્રધાન બન્યા પછી ભારત અને કેનેડાએ વર્ષોની કડવાશ બાદ પોતાના સંબંધોને ફરીથી સામાન્ય બનાવવાની દિશામાં પગલાં ભર્યાં છે. બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય સંપર્ક અને રાજદ્વારી સંવાદ ફરી શરૂ થયા છે.
RCMPના ડેપ્યુટી કમિશનર લિસા મોરલેન્ડે સ્પષ્ટ કર્યું કે, આ મામલે તપાસ હજુ પણ ચાલુ છે. તેમણે કહ્યું કે સંગઠિત ગુનાખોરી સિન્ડિકેટની આ તપાસ અને અત્યાર સુધી લગાવવામાં આવેલા આરોપોના આધારે એવા કોઈ પુરાવા નથી, જેનાથી એમ કહી શકાય કે ભારતીય સરકારના અધિકારીઓ આ મામલામાં જોડાયેલ હતા અથવા તેમની સામે આરોપો મૂકવામાં આવશે. અત્યાર સુધી એવી કોઈ માહિતી સામે આવી નથી, જે ભારતીય સરકારને આ મામલા સાથે જોડતી હોય.
તેમણે કહ્યું કે, ધરપકડો અને જપ્તીની કાર્યવાહીના આધારે તપાસ આગળ વધી રહી છે. મોરલેન્ડે કહ્યું કે, ભારતીય સરકાર આ તપાસમાં સહયોગ કરી રહી હતી. RCMPનું આ નિવેદન એટલા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે તે સપ્ટેમ્બર 2023માં કેનેડિયન સંસદમાં ટ્રુડો દ્વારા કરવામાં આવેલા દાવાઓથી અલગ છે. તે સમયે ટ્રુડોએ કહ્યું હતું કે, કેનેડિયન સુરક્ષા એજન્સીઓ નિજ્જરની હત્યા અને ભારતીય એજન્ટો વચ્ચેના સંભવિત સંબંધના વિશ્વસનીય આક્ષેપોની તપાસ કરી રહી છે.
No evidence links Indian officials in US probe into Nijjar killing: Canada
· A senior Canadian law enforcement official has said that investigators have found no evidence linking Indian government officials to the US investigation that charged gangster Lawrence Bishnoi and… pic.twitter.com/SKA4xCQoV1
— IANS (@ians_india) July 8, 2026
ભારતે સતત આ આક્ષેપોને ફગાવી દેતા કહ્યું હતું કે, કેનેડાએ પોતાના દાવાઓના સમર્થનમાં કોઈ નક્કર કે વિશ્વસનીય પુરાવા શેર કર્યા નથી. બીજી તરફ, કેનેડા પોલીસનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે અમેરિકી ન્યાય વિભાગે ‘ઓપરેશન હાર્ડ બોલ’ હેઠળ કેટલાય આરોપનામા જાહેર કર્યા છે.
આરોપનામામાં બિશ્નોઈને નિજ્જરની હત્યા માટે જવાબદાર ગણાવવામાં આવ્યો છે. બિશ્નોઈ ઓગસ્ટ 2023થી ગુજરાતની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે. ન્યાય વિભાગના જણાવ્યા અનુસાર, ઓપરેશન હાર્ડ બોલનો ઉદ્દેશ્ય એવા ભારતીય સંગઠિત ગુનાખોરી સિન્ડિકેટો પર કાર્યવાહી કરવાનો હતો, જે આંતરરાષ્ટ્રીય સરહદો પાર ખંડણી, ટાર્ગેટેડ કિલિંગ, ગોળીબાર, મોટા પાયે નશીલા પદાર્થોની તસ્કરી અને અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા રહ્યા છે.
લોરેન્સ બિશ્નોઈ સામેનું આરોપનામું આ સમગ્ર મામલાને સંગઠિત ગુનાના દાયરામાં રાખે છે, જ્યારે RCMPનું તાજું નિવેદન ભારતીય સરકારની સંલિપ્તતાવાળા જૂના રાજકીય દાવાને નબળો પાડે છે. આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે, જ્યારે ઓટ્ટાવા અને નવી દિલ્હી ટ્રુડો કાળના રાજદ્વારી ગતિરોધથી આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે.
માર્ક કાર્ની વડાપ્રધાન બન્યા બાદ બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય સંપર્ક ફરી શરૂ થયા છે અને સંબંધોમાં ધીમે-ધીમે સુધારો જોવા મળ્યો છે. મે 2026ના પ્રથમ સપ્તાહમાં કેનેડિયન સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ (CSIS) ના વર્ષ 2025ના અહેવાલમાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવવામાં આવ્યા હતા.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, એક નાનું પરંતુ સક્રિય નેટવર્ક કેનેડાની ધરતીનો ઉપયોગ હિંસક પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્ર કરવા અને સમર્થન આપવાના આધાર તરીકે કરી રહ્યું છે. આમાં ફંડિંગ, ઇન્ફ્લુઅન્સ નેટવર્ક અને ભારત સાથે જોડાયેલા ઉગ્રવાદી સંગઠનો સાથેના સંબંધો પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.