
ઈરાનની સ્થિતિને જોતા ભારત સરકારે પોતાના નાગરિકોને દેશ છોડવાની સલાહ આપી છે. આ સાથે જ જણાવ્યું છે કે, સુરક્ષાની દ્રષ્ટિએ બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખે અને કોમર્શિયલ ફ્લાઈટ્સ તેમજ પરિવહનના તમામ ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરીને દેશ છોડી દે.
નોંધનીય છે કે, તેહરાનમાં ફરી એકવાર નવા છેડેથી થઈ રહેલા વિરોધ પ્રદર્શનો અને ઈરાન પર અમેરિકી સૈન્ય હુમલાની વધી રહેલી આશંકાઓને જોતા ઈરાન સ્થિત ભારતીય દૂતાવાસે ભારતના લોકો માટે નવી એડવાઈઝરી જાહેર કરી છે. ઈરાનની ઘણી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓએ સરકાર વિરુદ્ધ પ્રદર્શનો કર્યા હતા, જે ગયા મહિને પ્રદર્શનકારીઓ પર કરવામાં આવેલી ક્રૂર કાર્યવાહી બાદ આ પ્રકારનું પહેલું આંદોલન હતું.
— India in Iran (@India_in_Iran) February 23, 2026
જાન્યુઆરીમાં સત્તાવાર અંદાજ મુજબ, વિદ્યાર્થીઓ સહિત 10,000 થી વધુ ‘ભારતીયો’ ઈરાનમાં રહી રહ્યા હતા. દૂતાવાસે જણાવ્યું હતું કે, “ઈરાનમાં હાજર ભારતીય નાગરિકો (વિદ્યાર્થીઓ, શ્રદ્ધાળુઓ, વેપારીઓ અને પ્રવાસીઓ) ને સલાહ આપવામાં આવે છે કે, તેઓ કોમર્શિયલ ફ્લાઈટ્સ સહિત ઉપલબ્ધ પરિવહન સાધનો દ્વારા ઈરાન છોડી દે.”
આ સાથે જ દૂતાવાસે એ પણ કહ્યું કે, તમામ ભારતીય નાગરિકો અને ભારતીય મૂળની વ્યક્તિઓએ (PIO) પૂરતી સાવચેતી રાખવી જોઈએ. આ ઉપરાંત, વિરોધ પ્રદર્શનો કે રેલીઓ વાળા વિસ્તારોથી બચવું જોઈએ અને ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવું જોઈએ.
એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, “ઈરાનમાં હાજર તમામ ભારતીય નાગરિકોને વિનંતી છે કે, તેઓ પોતાના પાસપોર્ટ અને ઓળખ પત્ર સહિતના મુસાફરી તેમજ ઈમિગ્રેશન સંબંધિત દસ્તાવેજો પોતાની પાસે રાખે.” આમાં વધુમાં જણાવાયું છે કે, “તેમને વિનંતી કરવામાં આવે છે કે, આ બાબતે કોઈપણ સહાય માટે ભારતીય દૂતાવાસનો સંપર્ક કરે.”