કતારમાં અટકાયેત કરાયેલા નૌકાદળના 8 પૂર્વ અધિકારીઓને લઈને મોટો દાવો, જાસૂસીનો લગાવાયો આરોપ

કતારના (Qatar) સત્તાવાળાઓએ હજુ સુધી આઠ ભારતીય નાગરિકોની અટકાયતના કારણ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓ છેલ્લા 70 દિવસથી વધુ સમયથી કસ્ટડીમાં છે.

કતારમાં અટકાયેત કરાયેલા નૌકાદળના 8 પૂર્વ અધિકારીઓને લઈને મોટો દાવો, જાસૂસીનો લગાવાયો આરોપ
8 Ex-Navy Officers Detained in Qatar
| Edited By: | Updated on: Nov 10, 2022 | 8:19 AM

કતારમાં અટકાયતમાં લેવાયેલા 8 ભારતીય નાગરિકોને લઈને સામે આવેલા કેટલાક દાવાઓએ ભારતની ચિંતા વધારી છે. આ દાવાઓમાં એવું કહેવામાં આવ્યું છે કે આઠ ભારતીય નાગરિકોની અટકાયત કરવામાં આવી છે કારણ કે તેમના પર જાસૂસીનો આરોપ છે. જ્યારથી ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને કતારમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, ત્યારથી સોશિયલ મીડિયા પર દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે ભૂતપૂર્વ અધિકારીઓને જાસૂસીના આરોપમાં નજરકેદ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર કેટલાક પાકિસ્તાની યુઝર્સે કહ્યું છે કે પૂર્વ અધિકારી ત્યાં જાસૂસીના હેતુથી ગયા હતા. જો કે, યુઝર્સના આ દાવાઓને મામલાથી જાણકાર હોય તેવા લોકોએ ફગાવી દીધા હતા અને તેને માત્ર એક ટીખળ ગણાવી હતી.

પાકિસ્તાની યુઝર્સે તેમના દાવામાં તો ત્યાં સુધી કહ્યું છે કે પાકિસ્તાન તરફથી ગુપ્ત માહિતી મળ્યા બાદ ભારતીયોને પકડવામાં આવ્યા છે. ભારતીય નાગરિકો વિશે આવા દાવા મોટાભાગે પાકિસ્તાની વપરાશકર્તાઓ દ્વારા કરવામાં આવ્યા હતા. પાકિસ્તાન અને ભારત વચ્ચે વિવિધ મુદ્દાઓ પર તકરાર થાય છે, તેથી સમયાંતરે પાકિસ્તાની નાગરિકો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આવી ખોટી વાતો ઉછાળીને ભારતને અપમાનિત કરવાનો પ્રયાસ કરે છે. મળતી માહિતી મુજબ, કતારના સત્તાવાળાઓએ હજુ સુધી આઠ ભારતીય નાગરિકોને કેમ અટકાયતમાં લેવામાં આવ્યા છે તે અંગે કોઈ માહિતી આપી નથી. ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓ 70 દિવસથી વધુ સમયથી કસ્ટડીમાં છે.

ભારતીય દૂતાવાસ સંપર્કમાં છે

કતારમાં ભારતીય દૂતાવાસ ત્યાંના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. આ તમામ નાગરિકો કતારની એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા. આઠ ભૂતપૂર્વ સૈનિકો ઓમાન એરફોર્સના અધિકારીની માલિકીની ખાનગી પેઢી, દહરા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસિસ માટે કામ કરતા હોવાનું કહેવાય છે. આ પેઢી કતારના સશસ્ત્ર દળો અને સુરક્ષા એજન્સીઓને તાલીમ અને અન્ય જરૂરી સેવાઓ આપવાનું કામ કરે છે. અગાઉ, એક નિવેદનમાં, ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે કતારમાં ભારતીય દૂતાવાસ અટકાયતમાં લેવાયેલા નાગરિકોની વહેલી મુક્તિ અને સ્વદેશ પરત લાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે.

ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા

જ્યારે પૂર્વ નેવી અધિકારીઓની અટકાયત વિશે પૂછવામાં આવ્યું ત્યારે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, “અમે આઠ ભારતીય નાગરિકોની અટકાયત અંગે વાકેફ છીએ, જે અમને જાણવા મળ્યું છે કે તેઓ કતારમાં ખાનગી કંપનીમાં કામ કરે છે.” અટકાયતમાં લેવાયેલા લોકોએ કેટલાક પ્રસંગોએ તેમના પરિવારના સભ્યો સાથે પણ વાત કરી છે. અમને આ ભારતીય નાગરિકો સુધી કોન્સ્યુલર એક્સેસ મળ્યો છે. કોન્સ્યુલર એક્સેસના બીજા રાઉન્ડ માટે અપીલ કરવામાં આવી છે. અમે આ મામલે કતારના અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છીએ.