
આજની ભાગદોડભરી જિંદગીમાં થાક લાગવો એ અત્યંત સામાન્ય બાબત બની ગઈ છે. લોકો તેને કામનું ભારણ કે અપૂરતી ઊંઘ માનીને અવગણે છે. પરંતુ મેડિકલ એક્સપર્ટ્સ એક ગંભીર ચેતવણી આપી રહ્યા છે. જો તમને સતત થાક લાગે છે, શરીરમાં કોઈપણ કારણ વગર ઈજાના નિશાન (ચાંઠા) દેખાય છે કે વારંવાર ઈન્ફેક્શન થાય છે, તો સાવધાન થઈ જવાની જરૂર છે. આ લક્ષણો બ્લડ કેન્સર એટલે કે લોહીના કેન્સરની શરૂઆત હોઈ શકે છે.
ગ્લોબોકેન 2022 ના રિપોર્ટ મુજબ, ભારતમાં દર વર્ષે બ્લડ કેન્સરના 1.2 લાખથી વધુ નવા કેસો સામે આવે છે અને અંદાજે 70,000 લોકો જીવ ગુમાવે છે. આંકડા દર્શાવે છે કે ભારતમાં દર પાંચ મિનિટે એક વ્યક્તિ આ ગંભીર બીમારીનો શિકાર બને છે. વિશ્વસ્તરે બ્લડ કેન્સરના સૌથી વધુ કેસો ધરાવતા દેશોમાં ભારત મોખરે છે, જે ચિંતાનો વિષય છે.
નિષ્ણાતોના મતે, સામાન્ય થાક ઊંઘ કે આરામ કરવાથી દૂર થઈ જાય છે. પરંતુ બ્લડ કેન્સર સાથે જોડાયેલો થાક અત્યંત ગંભીર હોય છે. લોહીનું કેન્સર હાડકાની મજ્જા (Bone Marrow) માં શરૂ થાય છે, જે લાલ રક્તકણોનું ઉત્પાદન ઘટાડે છે. જેના કારણે શરીરમાં એનીમિયા અને ઓક્સિજનની ઉણપ સર્જાય છે, પરિણામે વ્યક્તિ સામાન્ય કામ કરવામાં પણ હાંફી જાય છે.
આ બીમારીની ઓળખ એક સામાન્ય બ્લડ ટેસ્ટ (CBC) દ્વારા થઈ શકે છે. જો લોહીના કણોમાં કોઈ અસાધારણતા જણાય, તો ડોક્ટર બોન મેરો બાયોપ્સીની સલાહ આપે છે. રાહતની વાત એ છે કે ભારતમાં હવે આધુનિક સારવાર ઉપલબ્ધ છે. કીમોથેરાપી, રેડિયેશન, ઈમ્યુનોથેરાપી અને સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ જેવી પદ્ધતિઓથી બ્લડ કેન્સરને મટાડવાની શક્યતા વહેલા નિદાન દ્વારા ઘણી વધી જાય છે.
યાદ રાખો, દરેક વખતે થાક એટલે માત્ર નબળાઈ નથી હોતી. જો શરીર આવા સંકેતો આપે, તો વિલંબ કર્યા વગર ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.