Valsad : રોજ અપડાઉન કરનારા પ્રવાસીઓ માટે ગુજરાત ક્વીન ટ્રેનનાં સમયે રાત્રી બસ સેવા ફરી શરૂ કરવા માગ

વિભાગીય નિયામક તાકીદે ગુજરાત (Gujarat ) ક્વિન બસ સેવા શરૂ કરે તો મુંબઇ જનારા લોકોને પણ ફાયદો થશે. બસ નહી હોવાથી અન્ય વિકલ્પે કામ ચલાવવું પડે છે જે ખર્ચાળ જોખમી બને છે.

Valsad : રોજ અપડાઉન કરનારા પ્રવાસીઓ માટે ગુજરાત ક્વીન ટ્રેનનાં સમયે રાત્રી બસ સેવા ફરી શરૂ કરવા માગ
Bus Depot (File Image )
| Edited By: | Updated on: Jun 20, 2022 | 9:35 AM

વલસાડ (Valsad ) રેલવે સ્ટેશને મધરાતે 12.20 કલાકે આવતી અને મળસ્કે 04.05 કલાકે ઉપડતી ગુજરાત(Gujarat ) ક્વીન માટે વલસાડ ડેપો બસ(Bus ) સેવા પૂરી પાડતું હતું. જેમાં વલસાડ તાલુકાના અનેક ગામોના મુસાફરો સહિત નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના ગામોના પ્રતિદિન સફર કરતા મુસાફરોને સુવિધા મળતી હતી. પરંતુ કોરોનાના કારણે સવા બે વર્ષથી આ બસ સેવા બંધ કરી દેવામાં આવી છે.

ગુજરાત ક્વીન ટ્રેન ચાલુ થયા ને છ મહિના ઉપર થઇ ગયા છે. તેને સંલગ્ન છ વિવિધ જગ્યાઓ માટે એસટી બસ સેવા મળતી હતી. જેમાંથી કેટલીક બસો હાલ દોડે છે. પરંતુ કોરોના પહેલા જે લાભ લેવાતો હતો તે મુસાફરોને હવે પરિવહન સેવા જ નહીં મળતા તેઓ અંગત વાહનો વસાવીને આત્મનિર્ભર બની ગયા છે. રાત્રે 11 વાગ્યે કંપનીમાંથી છૂટીને દોઢ કલાક બસની રાહ જોઇને ઘર ભેગા થનારા હવે 11.30 સુધીમાં ઇકો કે અંગત વાહનો દ્વારા ઘરભેગા થઇ જાય છે. એટલે કે એસટીએ બસની સેવા બંધ પાડી ને ભારે નુકસાન વ્હોર્યુ છે.

ખેરગામથી આશા પટેલ કે જેઓ માધ્યમિક શિક્ષિકા છે તેમની સાથે બીજા એવા ઘણા દૈનિક પ્રવાસીઓ છે જેમણે નામ મોબાઇલ નંબર સાથે વિભાગીય નિયામક વલસાડ, પૂર્ણેશ મોદી વાહન વ્યવહાર મંત્રી, નરેશ પટેલ કેબિનેટ મંત્રી ને લેખિત રજૂઆતો કરી ગુજરાત ક્વીન ટ્રેન જોડાણની રુમલા ખેરગામ વલસાડ બસ સેવા ફરી શરૂ કરવા માંગ કરી છે. આ બસ સેવા બંધ હોવાથી વલસાડના પીઠા, સેગવા, કલવાડા મૂળી, ઘડોઇ, ગોરવાડાના ગામના અનેક મુસાફરો ટ્રેનમાં પ્રતિદિન સફર કરે છે. પરંતુ ક્વિન બસ દોડતી નહીં હોવાથી તેમની સ્થિતિ દયાજનક બની છે.

વિભાગીય નિયામક તાકીદે ગુજરાત ક્વિન બસ સેવા શરૂ કરે તો મુંબઇ જનારા લોકોને પણ ફાયદો થશે. બસ નહી હોવાથી અન્ય વિકલ્પે કામ ચલાવવું પડે છે જે ખર્ચાળ જોખમી બને છે. વલસાડ ડેપોની ક્વિનબસ હવેથી તમામ રેલવે સ્ટેશને થી જ ઉપડે અને રેલવે સ્ટેશને મુસાફરોને પહોંચાડે તે સમયની માંગ છે. સરસામાન સાથે સ્ટેશનથી ડેપો આવવું અતિ વિકટ બને છે અને તેના લીધે બસ અડધો કલાક મોડી ઉપડે છે. આવી માંગણી બસના મુસાફરો દ્વારા કરવામાં આવી છે. જોવાનું રહે છે કે મુસાફરોને પડી રહેલી આ અગવડતાનું તંત્ર કેટલું ધ્યાન રાખે છે.