બહુચર્ચિત બિલ્કિસ બાનુ કેસના સાક્ષીને મળી જાનથી મારી નાખવાની ધમકી, સાક્ષીએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખી મદદ માગી

2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલકીસ બાનુ (Bilkis Bano) ઉપર સામૂહિક બળાત્કાર કરાયો હતો. તેના પરિવારના 7 સભ્યોની હત્યા કરવામાં આવી હતી. 11 લોકો સામે, સામૂહિક બળાત્કાર અને 7 લોકોની હત્યાના આરોપો ઘડવામાં આવ્યા હતા.

બહુચર્ચિત બિલ્કિસ બાનુ કેસના સાક્ષીને મળી જાનથી મારી નાખવાની ધમકી, સાક્ષીએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખી મદદ માગી
બિલકીસ બાનો
| Edited By: | Updated on: Sep 20, 2022 | 12:25 PM

ગુજરાત સરકારે (Gujarat govt) બહુચર્ચિત બિલ્કિસ બાનુ (Bilkis Banu case)કેસના આરોપીઓને જેલ મુક્ત કર્યા છે. ત્યારે આ આરોપીઓ પૈકી એક આરોપીએ સાક્ષીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના સમાચાર સામે આવ્યા છે. જેને લઇને સાક્ષીએ સુપ્રીમ કોર્ટના (Supreme Court) મુખ્ય ન્યાયાધીશને પત્ર લખ્યો છે. મુખ્ય ન્યાયાધીશ પાસે સાક્ષીઓએ મદદ માગી છે. તાજેતરમાં જેલમુક્ત થયેલા આરોપી રાધેશ્યામ ઉર્ફે લાલો ભગુ શાહે ધમકી આપી હોવાનો સાક્ષીએ આરોપ લગાવ્યો છે.

સાક્ષીઓને ગામ બહાર કાઢી મુકીને માર મારવાની ધમકી

ગુજરાત સરકારે (Gujarat govt) બિલ્કિસ બાનુ કેસના આરોપીઓને જેલ મુક્ત કર્યા છે. સરકારના આ નિર્ણયના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી થયેલી છે. આ અંગેનો કેસ ચાલી રહ્યો છે. ત્યારે આ દરમિયાન બિલ્કિસ બાનુ કેસના એક સાક્ષીને આરોપી રાધેશ્યામ ઉર્ફે લાલો ભગુ શાહે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના સમાચાર સામે આવ્યા છે. કેસના સાક્ષીને ગામ બહાર કાઢી મુકીને માર મારવાની ધમકી આપવામાં આવી છે. સાક્ષીના નિવેદન અનુસાર આરોપી રાધેશ્યામ ઉર્ફે લાલો ભગુ શાહે ધમકી આપી છે કે, ‘અમે જેલમાંથી બહાર આવી ગયા, હવે તમારે ગામ બહાર જવાનો સમય આવ્યો છે’.

11 દોષિતોની સજા માફ કરવામાં આવી હતી

તમને જણાવી દઈએ કે,2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કિસ બાનુ (Bilkis Bano) ઉપર સામૂહિક બળાત્કાર કરાયો હતો. તેના પરિવારના 7 સભ્યોની હત્યા કરવામાં આવી હતી. 11 લોકો સામે, સામૂહિક બળાત્કાર અને 7 લોકોની હત્યાના આરોપો ઘડવામાં આવ્યા હતા. તમામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. હવે એ જ 11 દોષિતોની સજા માફ કરવામાં આવી છે. જેમને આજીવન કેદની સજા થઈ હતી. આ આરોપીઓને આઝાદીની 75મી વર્ષગાંઠના અવસર પર મુક્ત કરવામાં આવ્યા હતા.કેન્દ્રીય ગૃહ મંત્રાલય (Central home ministry) તરફથી મળેલા પત્ર બાદ ગુજરાત સરકારે આ નિર્ણય લીધો હતો. 10 જૂને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે આઝાદીના અમૃત પર્વ દરમિયાન કેટલાક કેદીઓને તેમની સજા માફ કરીને મુક્ત કરવામાં આવશે. આ રિલીઝ ત્રણ તબક્કામાં થશે. 15 ઓગસ્ટનો દિવસ પ્રથમ તબક્કાનો ભાગ હતો, જ્યારે 11 દોષિતોને મુક્ત કરવામાં આવ્યા હતા.

Published On - 12:21 pm, Tue, 20 September 22