VADODRA : ધીરજ હોસ્પિટલે કોરોનાના ભૂતિયા દર્દીઓ દેખાડીને સરકાર સાથે કરી છેતરપિંડી ?

|

May 25, 2021 | 3:51 PM

VADODRA: સરકાર દ્વારા ધીરજ હોસ્પિટલને ફાળવવામાં આવેલ રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજનના જથ્થાના હિસાબની પણ તપાસ કરાશે.

VADODRA : વડોદરાની ધીરજ હોસ્પિટલને ( DHIRAJ HOSPITAL), કોરોનાના વધુ દર્દીએ દર્શાવીને સરકાર સાથે છેતરપિંડી કરવા અંગે, વડોદરા જિલ્લા વિકાસ અધિકારીએ કારણદર્શક નોટીસ (Show cause notice ) ફટકારી છે.

વડોદરાની સુમનદીપ વિદ્યાપીઠ દ્વારા સંચાલિત ધીરજ હોસ્પિટલમાં ( Sumandeep University ) 13મી મેના રોજ 197 દર્દીઓ જ દાખલ હોવા છતા, હોસ્પિટલ સત્તાવાળાઓએ સરકારમાં 460થી વધુ દર્દીઓ દાખલ હોવાનું દર્શાવ્યુ હતું. ઓછા દર્દી હોવા છતા વધુ દર્દીઓ દર્શાવવામાં આવ્યા હોવાની વિગતો વડોદરા જિલ્લા વિકાસ અધિકારીના ધ્યાને આવતા, સરકારે કોવિડ19ના દર્દીઓને સારવાર આપવા માટે હોસ્પિટલ સાથે કરેલો કરાર રદ કર્યો છે. અને કારણદર્શક નોટીસ ફટકારી આગામી શુક્રવારને 28મી મે નારોજ લેખિત જવાબ રજૂ કરવા જણાવ્યુ છે.

કોરોનાની બીજી લહેર સમયે, સરકારે વિવિધ ખાનગી હોસ્પિટલ સાથે કરાર કરીને સરકાર દ્વારા ભલામણ કરાયેલા દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવાનો કરાર કર્યો હતો. જે પૈકી સુમનદીપ વિદ્યાપીઠ ( Sumandeep University) સંચાલિત ધીરજ હોસ્પિટલ ( DHIRAJ HOSPITAL ) પણ હતી. આ હોસ્પિટલમાં વધુ દર્દીઓ બતાવવાનુ કૌંભાડ પકડાયુ હતું.

ગત 13મી મેના રોજ, હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓ કરતા વધુ દર્દીઓ દર્શાવવામાં આવ્યા હતા, જેની જાણ એડમીનીસ્ટ્રેટર તરીકે નિમાયેલા અધિકારી કિરણ ઝવેરીને થતા, તેમણે હોસ્પિટલ સાથેના કરાર ભંગ કર્યો હતો. હવે હાલ કોવિડના દર્દીઓને ધીરજ હોસ્પિટલમાં દાખલ નહી કરાય.

જિલ્લા વિકાસ અધિકારીએ( District Development Officer )ધીરજ હોસ્પિટલને કારણદર્શક નોટીસ ફટકારીને ડ્યુટી પર કેટલા તબીબ અને નર્સ હતા. તેની સાથે હોસ્પિટલમાં ફરજ પર કેટલા લોકોનો સ્ટાફ હતો. વગેરે સવાલોના જવાબ માગ્યા છે. અને વડોદરા જિલ્લાના આરોગ્ય અધિકારી સુરેન્દ્ર જૈનને સંપૂર્ણ તપાસ સોપવામાં આવી છે. જો ધીરજ હોસ્પિટલના કર્મચારી સાથે આ પ્રકારની છેતરપિંડીમાં કોઈ સરકારી કર્મચારીની સંડોવણી જણાશે તો તેની સામે પણ ફોજદારી રાહે પગલા લેવાની સુચના આપવામાં આવી છે.

વડોદરા જિલ્લાના આરોગ્ય અધિકારી ( District Health Officer) સુરેન્દ્ર જૈન, સરકાર દ્વારા ધીરજ હોસ્પિટલને ફાળવવામાં આવેલ રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજનના જથ્થાના હિસાબની પણ તપાસ કરાશે.. ધીરજ હોસ્પિટલે દર્શાવેલા દર્દીઓ મુજબ ધીરજ હોસ્પિટલને સરકાર દ્વારા રેમડેસીવર ઈન્જેકશન અને ઓક્સિજનનો જથ્થો પૂરો પાડ્યો હતો. સરકાર દ્વારા પૂરી પડાયેલ સામગ્રીનો ઉપયોગ, સાચા દર્દીઓ માટે જ કરાયો છે કે ભૂતિયા દર્દીઓ માટે તેની તપાસ હાથ ધરાશે.

Next Video