106 વર્ષના દોડ વીરાંગના રમાબાઈ(Ramabai) હાલમાં પહેલીવાર યોજાયેલી નેશનલ ઓપન માસ્ટર એથલેટિક (National Open Master Athletics Championship 2022) ગેમમાં રમવા માટે વડોદરાના(Vadodara) માંજલપુર ના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આવ્યા છે.100 મીટરની દોડમાં તેમના સુવર્ણ ચંદ્રક વિજેતા દેખાવથી ખુશ થયેલા ખેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ(Harsh Sanghvi) તેમનું અભિવાદન કર્યું હતું.અને વડીલ ખેલાડીઓનું અભિવાદન કરતાં સહુ માટે આદરની લાગણી વ્યક્ત કરી હતી. ખેલ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સહુને ગુજરાતમાં આવકાર્યા હતા અને 106 વર્ષના રમાબાઈ ને સહુ યુવા ખેલાડીઓ માટે પ્રેરણા સ્ત્રોત ગણાવ્યા હતા.આ પહેલી રાષ્ટ્રીય સ્પર્ધામાં 35 + વયના 1440 જેટલા વડીલ રમતવીરો યુવાનો જેવા ઉત્સાહ સાથે દેશભરમાં થી ભાગ લઈ રહ્યાં છે.
એક દાદીમા અને તેમના વડીલ પૌત્રી સ્પર્ધામાં ભાગ લઈ રહ્યાં છે.
હરિયાણા ના ચરખી દાદરી ના રમાબાઇ એ 100 મીટર દોડમાં ઉતરીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.તેઓ છેલ્લા એક વર્ષથી સતત દોડી રહ્યાં છે અને ખૂબ ઉત્સાહ સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં તેમણે ભાગ લીધો છે.તેમની જ પ્રપૌત્રી શર્મિલા સાંગવાન ૩૦૦૦ મીટરની ચાલમાં તૃતીય ક્રમે વિજેતા બન્યા હતા.તેઓ પોતાની દાદીમા સાથે ભાગ લેવાને લઈને ખૂબ રોમાંચિત હતા. તેમણે કહ્યું કે મારા દાદીમા સૌ માટે પ્રેરણાનો સ્ત્રોત છે અને અમારું રમત પ્રેમી પરિવાર દેશભરમાં યોજાતી રમત હરીફાઈમાં ભાગ લે છે. 82 વર્ષના,હરિયાણાના જગદીશ શર્મા શૌચની સમસ્યા સાથે મેદાનમાં ઉતર્યા હતા અને 100 મીટરની દોડમાં બીજા નંબરે જીત્યા હતા.શુક્રવારે તેઓ લાંબા કુદકામાં ભાગ લેશે. 82 વર્ષના શાલિની દાતાર પણ આ પહેલી માસ્ટર એટલેટિક રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈ રહ્યાં છે.
તેમણે જણાવ્યું કે ખમણ ઢોકળાનું રાજ્ય ગણાતા ગુજરાતમાં આજે સફળ ખેલાડીઓ ઘડાઈ રહ્યાં છે અને પ્રતિષ્ઠિત સ્પર્ધાઓમાં વિજેતા બની રહ્યાં છે.સખત પરિશ્રમ અને સમર્પણ જ ખેલાડીને વિજેતા બનાવે છે. ગુજરાતે તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીના સુકાનીપદ હેઠળ 2010 માં શરૂ કરેલો ખેલ મહાકુંભ અંતરિયાળ ગામડાઓના રમતવીરોને કૌવત બતાવવાની તક આપી રહ્યો છે.ખેલો ઇન્ડિયા એ ખેલાડીઓને રાષ્ટ્રીય સ્તર નો મંચ ઉપલબ્ધ કરાવ્યો છે.
નવી ખેલ નીતિમાં અમે પ્રત્યેક આશાસ્પદ ખેલાડીને યોગ્ય તક આપવા પર ભાર મૂકી રહ્યાં છે અને રમતવીર તરીકે ની કારકિર્દીના ઘડતર માટે તક મળે તેવો પ્રયત્ન કરી રહ્યાં છે. તેમણે રમતવીરો નડિયાદ ના હાઈ પરફોર્મન્સ સ્પોર્ટ્સ સેન્ટરની મુલાકાત લે તેવું ઇજન આપ્યું હતું.ગુજરાત હવે સ્પોર્ટ્સ હબ બની રહ્યું છે એમ તેમણે જણાવ્યું હતું.
ધર્માચાર્ય વ્રજરાજ કુમારજી એ આશીર્વચન માં જણાવ્યું કે 35 + ઉંમરના ખેલાડીઓને રમતા જોવા એ એક લ્હાવો છે.તમે મનનું યૌવન જાળવી રાખો તો અને ચુસ્ત અને સ્ફૂર્તિલા રહેવા રમતા રહો એવી શીખ એમણે આપી હતી.જીવન એક રમત છે એનો પડકાર ઝીલી લો એમ તેમણે જણાવ્યું હતું. સાંસદ રંજનબેન ભટ્ટ,મેયર કેયુર રોકડિયા, પૂર્વ મેયર ભરત ડાંગર,સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને એસ.એ.જી. તેમજ માસ્ટર ગેમ એસોસિએશનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.