PM MODIના કાર્યક્રમ માટે હાઈટેક ડોમ તૈયાર કરાયો, 5 લાખ લોકો રહી શકશે ઉપસ્થિત

મિશન ગુજરાતના (Mission Gujarat) ભાગરૂપે ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વતનની મુલાકાતે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂને વડોદરા પહોંચશે.

PM MODIના કાર્યક્રમ માટે હાઈટેક ડોમ તૈયાર કરાયો, 5 લાખ લોકો રહી શકશે ઉપસ્થિત
પ્રધાન મનીષા વકીલે PMના કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી
| Edited By: | Updated on: Jun 14, 2022 | 4:10 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi) આગામી ગુજરાત પ્રવાસને લઈને થોડા ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂને ગુજરાત (Gujarat) પ્રવાસે આવવાના હતા. હવે વડાપ્રધાન મોદી 17 અને 18 જૂને પંચમહાલ અને વડોદરા (Vadodara) જિલ્લાની મુલાકાત લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂને વડોદરાની મુલાકાત લેશે. વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે  હાઈટેક ડોમ તૈયાર કરાયો છે. વડાપ્રધાનના આગમનને પગલે થઇ રહેલી તૈયારીઓનું પ્રધાન મનીષા વકીલે નીરિક્ષણ કર્યુ હતુ.

એશિયાનો સૌથી હાઈટેક ડોમ તૈયાર કરાયો

મિશન ગુજરાતના ભાગરૂપે ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદી વતનની મુલાકાતે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂને વડોદરા પહોંચશે. વડાપ્રધાન વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે બપોરે 12:30 કલાકે “ગુજરાત ગૌરવ અભિયાન” કાર્યક્રમમાં હાજરી આપશે. એટલું જ નહીં પીએમ મોદી પ્રધાનમંત્રી આવાસ યોજનાના 8,907 આવાસનું લોકાર્પણ કરશે તો વડોદરામાં ગતિશક્તિ બિલ્ડિંગનું પણ લોકાર્પણ કરશે. રેલવે વિભાગના વિવિધ પ્રોજેક્ટ અંતગર્ત 16,369 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.

પ્રધાન મનીષા વકીલે કરી તૈયારીઓની સમીક્ષા

વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઇને વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે  હાઈટેક ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં 2 લાખ મહિલાઓ સહિત 5 લાખની જંગી જનમેદની ઉપસ્થિત રહેવાની છે. જેને ધ્યાને રાખીને હાઇટેક ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે રાજ્યના મહિલા અને બાળ વિકાસ પ્રધાન મનીષા વકીલે PMના પ્રવાસની તૈયારીઓની સમીક્ષા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ યોજનાની લાભાર્થી મહિલાઓ સાથે પણ સંવાદ કરવાના છે. PM મોદીના પ્રવાસને લઈ સંબંધિત તમામ વિભાગો તડામાર તૈયારીઓમાં લાગ્યા છે.

પાવાગઢ મંદિરની પણ મુલાકાત લેશે PM

આ ઉપરાંત 18 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી યાત્રાધામ પાવાગઢની મુલાકાતે જશે. જ્યાં સવારે 9-15 કલાકે પીએમ મોદી પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શન કરશે. ત્યારબાદ તેઓ 11.30 કલાકે પાવાગઢ નજીક વિરાસત વનની મુલાકાત લેશે. વડાપ્રધાનના આગમનના પગલે પાવાગઢ મંદિરના દર્શનાર્થીઓ માટે 16 જૂનથી 18 જૂન બપોરે 3 કલાક સુધી મંદિર બંધ રાખવામાં આવશે. વડાપ્રધાન 18 જૂનના રોજ પાવાગઢ મંદિર પર ધ્વજારોહણ કરવાના છે. ત્યારે વડાપ્રધાનના કાર્યક્રમને પગલે મંદિર બે દિવસ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.

મળતી માહિતી અનુસાર વડાપ્રધાન મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા દર મહિને ગુજરાતનો પ્રવાસ કરશે. ગુજરાતના ખુણા ખુણામાંથી ભાજપને વોટ મળી રહે તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી સતત ગુજરાતની મુલાકાત લઈને ભાજપના કાર્યકરોમાં જોશ પુરતા રહેશે. તેમજ આગળની રણનીતિ અંગેનું માર્ગદર્શન આપતા રહેશે.