ખોડલધામના ચેરમેન નરેશ પટેલના (Khodaldham chairman Naresh Patel) રાજકીય પ્રવેશને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે, છેલ્લી વિગત પ્રમાણે નરેશ પટેલ કોંગ્રેસના હાઇકમાન્ડ સાથે અંતિમ તબક્કાની ચર્ચાઓ કરી રહ્યા છે. જોકે આ બધાની વચ્ચે નરેશ પટેલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરતા ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે. નરેશ પટેલ હાલમાં જર્મનીની મુલાકાતે હતા, ત્યાંથી તેઓ સીધા જ ઉત્તર પ્રદેશમાં આનંદીબેન પટેલને મળવા પહોંચ્યા હતા અને ત્યાંથી આજે તેઓ રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા. સૂત્રો પાસેથી જે માહિતી મળી છે તે પ્રમાણે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ તે પહેલાની આ ખૂબ જ મહત્ત્વની મુલાકાત ગણી શકાય અને આ મુલાકાતથી તેમની રાજકીય એન્ટ્રીમાં નવો વળાંક આવી શકે છે.
આનંદીબેન પટેલ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે નરેશ પટેલ સાથેના તેમના ખૂબ જ નજીકના સંબંધો હતા. પારિવારિક સંબંધોને કારણે નરેશ પટેલ અને આનંદીબેન પટેલ વચ્ચે અનેક વખત મુલાકાત પણ થઈ ચૂકી છે. ભૂતકાળમાં અનેક ચૂંટણીઓ પહેલા નરેશ પટેલ અને આનંદીબેન પટેલ બંધ બારણે મુલાકાતો પણ થઈ ચૂકી છે. નરેશ પટેલની આનંદીબેન પટેલ સાથેની મુલાકાતને રાજકીય ચર્ચા અંગે ની મુલાકાત માંડવામાં આવી રહી છે.
ખોડલધામના ચેરમેન નરેશ પટેલ આવતીકાલે રાજકોટના પત્રકારો સાથે વાર્તાલાપ કરવાના છે, જોકે પત્રકારો સાથેનો આ સંવાદ ઔપચારિક મુલાકાત માંનવામાં આવી રહી છે. આ મુલાકાત દરમિયાન નરેશ પટેલ કોઈ મહત્વની જાહેરાત કરે તેવી શક્યતા નથી, પરંતુ જરૂરથી તેઓ પોતાના રાજકીય પ્રવેશને લઈને કોઈ સંકેત આપી શકે છે.
નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાને લઈને જે અંતિમ ચર્ચાઓ ચાલી રહી હતી, તેમાં પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ આપેલા નિવેદનના કારણે આ પેચ ફસાયો હોવાની ચર્ચા છે. રઘુ શર્માએ પોતાના બે અલગ અલગ નિવેદનમાં કહ્યું હતું કે નરેશ પટેલ ના કોંગ્રેસ પ્રવેશને લઈને તમામ વાતચીતો પૂર્ણ થઈ ગઈ છે, હવે નિર્ણય નરેશ પટેલે કરવાનો છે એટલું જ નહીં અન્ય એક નિવેદનમાં તેમને કહ્યું હતું કે કોંગ્રેસ પોતાના મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર નહીં કરે, જેના પરથી એવું લાગી રહ્યું છે કે હજુ પણ નરેશ પટેલના કોંગ્રેસ પ્રવેશને લઈને કોઈ નક્કર વાતચીત થઈ નથી.