True Story: DSP પરીક્ષીતા રાઠોડ પૂજા કરવા બેઠા અને પી.આઈ જાડેજાએ બે રાઉન્ડ ગોળીબાર કર્યા

|

Jul 24, 2021 | 1:47 PM

‘સાહબ, એક દારૂ કે ઠેકે પે મીલે થે ચાર-પાંચ દોસ્ત. વો આપસમે બાત કર રહે થે કે, ગાંધીધામ મે એક ફાયનાન્સ કંપનીમે સોમવાર ઓર શુક્રવાર બહોત પૈસા આતા હૈ.

True Story: DSP પરીક્ષીતા રાઠોડ પૂજા કરવા બેઠા અને પી.આઈ જાડેજાએ બે રાઉન્ડ ગોળીબાર કર્યા
DSP Parikshit sat down to worship Rathore and PI Jadeja fired two rounds

Follow us on

સત્ય ઘટના:
True Story: કોન્સ્ટેબલ (Constable) ઉપેન્દ્રસિંહે હરિયાણા(hariyana)થી બોલાવેલો બાતમીદાર(Informer) કચ્છ આવી પહોંચ્યો. બાતમીદારને વિશ્વાસમાં લેવા પહેલા તેને એક હોટલ પર ઉતારો આપ્યો, તે જ હોટલની રેસ્ટોરન્ટમાં પી.આઈ. જે.પી જાડેજા (PI J P Jadeja) અને વિશ્વાસુ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ તેને રૂબરૂ મળ્યાં. ખબર અંતર પુછી જાડેજા સીધા મુદ્દા પર આવ્યાં. તેમણે પુછ્યું, ‘ક્યા ઇન્ફર્મેશન હૈ?’ બાતમીદારે કહ્યું, ‘સાહબ, એક દારૂ કે ઠેકે પે મીલે થે ચાર-પાંચ દોસ્ત. વો આપસમે બાત કર રહે થે કે, ગાંધીધામ મે એક ફાયનાન્સ કંપની(Finance Compnay)મે સોમવાર ઓર શુક્રવાર બહોત પૈસા આતા હૈ. અબ વહી કામ કરના હૈ.

જાડેજાએ પુછ્યું ઔર ક્યા બાત કર રહે થે? બાતમીદાર બોલ્યો, ઓર કુછ ખાસ નહીં, પર હાં, આપસ મે બાત ચલ રહી થી તબ એક બંદા બોલાથા કિ વો થેલે મે ભી દુસરે થેલેકી તરહ બડી નોટે હોતી તો મજા આ જાતા..!’ જાડેજા ચોંકી ગયા, તેમને શંકા હતી તે લગભગ સાચી ઠરવાની હતી. બાતમીદારને હોટલમાં રોક્યો હતો, તેને થોડાઘણા રૂપિયા આપ્યા અને સૂચના આપી કે, ‘તુ ઉનલોગો કે સાથ મીલ જા. વો જબ લૂંટ કરને આયે તો તુ ભી સાથ આના. તુઝે કુછ નહીં હોને દેંગે ઓર જબ તક તુમ લોગ યહાં નહીં આઓ ગે તબતક હરરોજ ૨ હજાર રૂપિયે તુમ્હે મિલતે રહેંગે. શર્ત ખાલી ઇતની કે, ઉનકી હર હરકત પર નજર રખની હૈ ઔર હમે બતાતે રહેના હૈ’.

બાતમીદાર પરત રવાના થયો અને જાડેજા તેણે કહેલી વાતની તપાસમાં જોતરાઇ ગયા. બાતમીદારે કહ્યું હતુ કે, એક થેલામાં મોટી નોટો હતી અને બીજા થેલામાં નાની નોટોની વાત આરોપીઓ કરતા હતા. જાડેજાએ બેન્કના અધિકારીઓનો સંપર્ક કર્યો અને તપાસ કરાવી કે લૂંટ સમયે થેલામાં કેટલાના દરની નોટો હતી. બાતમીદારે આપેલી હિન્ટ સાચી ઠરી, એક થેલામાં ૨૦૦૦ના દરની નોટો હતી અને લૂંટાયેલા બીજા થેલામાં ૫૦, ૧૦૦ અને ૫૦૦ના દરની નોટો હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

File Picture (Parikshita Rathod)

આટલી ક્લ્યૂએ વાત નક્કી કરી નાંખી હતી, કે બાતમીદારે ભવિષ્યની લૂંટની જે યોજના અંગે બાતમી આપી હતી તેમાં જુની લૂંટના આરોપીઓ જ હતા..! બસ હવે નવી લૂંટ થવાની તો દુર પણ જુની લૂંટનો ભેદ ઉકેલવાનો થનગનાટ પી.આઈ. જાડેજા અને કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહના મનમાં ચાલી રહ્યો હતો. આ વાત એટલી ગુપ્ત હતી કે તેમના સિનિયર સાથે પણ શેર નહોતી કરાઇ. બાતમીદારે આપેલી વાત સિનિયરને નહીં કરવાનું એક જ કારણ હતુ અને તે એ હતુ કે, હજુ સુધી શક્યતાઓ પર વાત ચાલતી હતી. ભૂલેચૂકે આરોપીઓ બીજા નીકળ્યાં તો ભોંઠા પડવાનો વારો આવે.

ફાયનાન્સ કંપનીને લૂંટવાનો દિવસ નજીક આવી ગયો અને બાતમીદારે સંદેશો આપ્યો કે, અમે લૂંટ માટે નીકળ્યાં છીએ. શાંતિનગરના એક મકાનને લુટારુઓએ કાયમીધોરણે ભાડે લીધેલુ છે અને તે જ ઘરે આવીને રોકાવાનાં છીએ. અત્યાર સુધી થતી વાતચીતને હવે એક્શન મોડમાં લાવી અંજામ આપવાનો હતો. માટે પી.આઈ. જાડેજાએ વાત DSP પરીક્ષીતા રાઠોડને કહી. જાડેજા અને DSP રોઠોડ આ દિવસે લગભગ બે કલાક સુધી તેમની ઓફિસમાં ઓપરેશનને સફળ બનાવવાની ચર્ચા કરતા રહ્યાં. તે દિવસે શનિવાર હતો અને લુટારુઓ શાંતિનગરમાં આવી જવાના હતા. જ્યારે લૂંટને અંજામ આપવાનો તેમનો પ્લાન સોમવારનો હતો.

પરીક્ષીતા રાઠોડ પણ અનુભવી અધિકારી, તેમણે જાડેજાને સમજાવ્યાં કે, આરોપીઓ હથિયાર સાથે છે, પોલીસ પર ફાયરિંગ કરશે અને કોઇ દુર્ઘટના થશે તો નાલેશી આવશે. જાડેજા સમજી ગયા કે, લુટારુઓ હવે તેમના વિસ્તારમાં છે અને તેમની પળેપળની હરકત પર તેમની નજર છે માટે બાજી તેમના હાથમાં છે, એટલે પત્તા ઉતરવાની ઉતાવળ નથી કરવી. શનિવારની રાત્રે જ એક બાતમીદારને શાંતિનગરના એ મકાનની વોચમાં મૂકી દેવાયો જ્યાં લુટારુઓ રોકાયા હતા. લુટારુઓ પણ ચાલાક હતા તેમણે ગેંગમાં નવા જોડાયેલા શખ્સને કે જે પોલીસનો ગુપ્ત બાતમીદાર પણ હતો તેને પોતાના ઘરે રાખવાની જગ્યાએ એક હોટલ પર રોક્યો હતો.

લુટારુઓ એટલા રીઢા અને ચબરાક હતા કે તે નવા સભ્યને હજુ પોતાનું ભાડાંનું મકાન બતાવવા માંગતા નહોતા. જેથી કોઇ પણ કામ માટે તે શાંતિનગર બહાર આવી રોડ પર જ મળતા હતા. તેમને લૂંટના દિવસે એટલે કે સોમવારે જ સાથે લઇ જઇશું તેવું કહી હોટલમાં રોક્યો હતો. પોલીસનો આ ગુપ્ત બાતમીદાર શાંતિનગરના એ મકાનથી અજાણ હતો માટે પોલીસ રવિવારે દિવસ દરમિયાન તેમને પકડવાનું ઓપરેશન પાર ન પાડી શકી. મોડી સાંજે શાંતિનગરમાં વોચમાં ગોઠવાયેલા એક પોલીસકર્મીએ આ શકમંદ મકાન શોધી કાઢ્યું.

ગમે તેમ કરીને રાત્રે દોઢ વાગ્યા સુધી તો ત્યાં વોચ ગોઠવી પરંતુ પછી સુમસામ સોસાયટીમાં તેને એકલા વોચમાં ઊભુ રહેવું શક્ય નહોતુ. નહીંતર રીઢા ગુનેગારો એલર્ટ થઇ જાત. પરંતુ પોલીસકર્મીએ જાડેજાને એટલી ઇન્ફર્મેશન આપી કે, ધાબા પર એક શખ્સ પણ વોચમાં છે માટે પરોઢિયે ઓપરેશન કરવું. મોડી રાતે આ વાતની જાણ ડીએસપી પરીક્ષીતા રાઠોડને કરાઇ.

પરોઢિયે ઓપરેશન કરવાનું નક્કી કરાયું અને રાત્રે દોઢ વાગ્યે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ અને એસ.આર.પીના જવાન મળી ૩૫થી વધુ પોલીસકર્મીની ટીમ બનાવાઇ. રાત્રે અઢી વાગ્યે તમામ સુરક્ષાકર્મીઓનું પી.આઈ. જાડેજાએ બ્રીફિંગ કર્યું. ખુલ્લા ગ્રાઉન્ડમાં ઊભેલા પોલીસકર્મીઓ સામે ઉભા રહી જાડેજા બોલ્યા, ‘આજે એ દિવસ આવ્યો છે જેના માટે આપણે આ ખાતામાં જોડાયા છે. પોલીસખાતામાં કેટલાય એવા અધિકારીઓ છે જે આ કામ કર્યા વગર નિવૃત્ત થઇ ગયા છે.

PI Jadeja File Photo

આરોપીઓ હથિયાર સાથે છે અને હુમલો કરી શકે તેમ છે. જેને આ ઓપરેશનમાં સાથે રહેવું હોય તે જ રહે, બાકીના અત્યારે જ જતા રહે’. જો કે, ‘ગુજરાત પોલીસ’ની આ બહાદુરીની નિશાની હતી, એક પણ સુરક્ષાકર્મી હલ્યો પણ નહીં. તમામ હવે ઓપરેશનને અંજામ સુધી પહોંચવાના જોશમાં હતા. પી.આઇ જાડેજાનું બ્રીફિંગ પુરુ થયુ અને ઓપરેશનની તૈયારીઓ શરૂ થઇ. ઓટોમેટિક વેપન લોડ કરાયા, બેટરી લાઇટ અને રસ્તામાં કૂતરાં ભસે તો તેમને શાંત રાખવા તમામે ખીસ્સામાં બિસ્કિટ ભરાવ્યાં.

શાંતિનગરના દોઢ કિલોમીટર પહેલાંથી વાહનોની લાઇટો બંધ કરી અંધારામાં જ જવાનું નક્કી કરાયુ. આ ઓપરેશનમાં સરકારી ગાડીનો ઉપયોગ નહોતો કરવાનો. તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઇ અને ઓપરેશન પરોઢિયે ૫ વાગ્યે કરવાનું નક્કી કરાયું. બીજી તરફ ડીએસપી પરીક્ષીતા રાઠોડ આખી રાત જાગ્યા. એક તબક્કે તો પરીક્ષીતા રાઠોડે આ ઓપરેશનને લીડ કરવાનું નક્કી કર્યું હતુ. જો કે, પોલીસકર્મીઓએ તેમને આશ્વાસન આપ્યું કે, અમે સફળ રહીશું, તમે ચિંતા ના કરો. ઘડિયાળના કાંટા પાંચ વાગવા તરફ દોડવા લાગ્યા.

સરકારી બંગલામાં આખી રાત જાગેલા પરીક્ષાતા રોઠોડ પાંચ પહેલા ન્હાઇને તૈયાર થઇ ગયા અને ઓપરેશન સફળ રહે તેની પૂજા કરવા બેસી ગયા. આ તરફ આખો દિવસ અને આખી રાતનો ઉજાગરો હોવા છતાં એક પણ પોલીસકર્મી જાણે થાક્યો નહોતો. પોલીસ કાફલો શાંતિનગર બહાર પહોંચ્યો. બે ટીમો બનાવાઇ. એક ટીમને એસ.ઓ.જીના પી.આઈ. જે.પી જાડેજા અને બીજી ટીમને  PSI. એમ.એસ રાણાએ લીડ કરવાનું નક્કી કર્યું. બન્ને અધિકારીઓની આગેવાનીમાં પોલીસકર્મીઓ અડધા અડધા વહેંચાઇ ગયા. તમામે બૂલેટપ્રુફ જેકેટ અને હેલ્મેટ પણ પહેરેલા હતા.

જાડેજા પોતાની ટીમ સાથે એ શકમંદ મકાન પર પહોંચ્યા તો મકાનને બહારથી તાળું જોઇ ધ્રાસકો પડ્યો. ઓપરેશન ગુપ્ત હતુ અને મહત્વનું હતુ. માટે તાળું જોઇને પણ પોલીસકર્મીઓ તો એલર્ટ જ રહ્યાં. પાછળથી પી એસ આઈ. રાણાની ટીમે તપાસ કરી તો મકાન અંદરથી બંધ હતુ. જો કે, બન્ને ટીમ એલર્ટ રહીને છાના પગે મકાનથી દૂર જતી રહી. આ ઓપરેશન એટલું ગુપ્ત હતુ કે પરોઢીયું થવા આવ્યું છતાં સોસાયટીમાં હજુ સુધી કોઇને પોલીસકર્મીની હાજરીનો અંદાજ પણ આવ્યો નહોતો.

બન્ને અધિકારીઓએ સ્થળ પર નિર્ણય લીધો કે, આરોપીઓની આ કોઇ ચાલ હોય અને તે અંદર જ હોય તો? વોચમાં ઊભેલો પોલીસકર્મીએ રાત્રીના દોઢ વાગ્યા સુધી તો આરોપીઓને જોયા હતા. રાત્રે તે બીજા કોઇ મકાનમાં જતા રહ્યાં હોય કે પછી જાતે જ બહારથી તાળુ મારી પાછળના દરવાજેથી અંદર જતા રહ્યાં હોય તો..? અંતે નક્કી કરાયું, મકાનની આસપાસ ખુલ્લા મેદાનમાં આવેલા ઝાડ અને બાવળીયા પાછળ સંતાઇને મકાન પર નજર રાખવી. કોઇ હિલચાલ દેખાય તો તાત્કાલીક કાર્યવાહી કરવી. એલ.સી.બી ઓફિસથી તાત્કાલીક વ્હીસલ મંગાવી લેવાઇ અને તમામ પોલીસકર્મીઓને આપી. જેથી ઇમર્જન્સીના સમયે તમામે વ્હીસલ વગાડી બીજા પોલીસકર્મીઓને પણ એલર્ટ કરી દેવાની સૂચના અપાઇ.

આખો દિવસ અને આખી રાતના થાક પછી પણ પોલીસકર્મીઓ ઓપરેશનને સફળતાથી અંજામ આપવા તૈયાર હતા. એકેયના ચહેરા પર થાકનું હજુ નામ નહોતું.
નવી યોજના પ્રમાણે પોલીસકર્મીઓ બાવળિયા પાછળ બેસી ગયા, જ્યારે પી.આઈ. જાડેજા અને પી.એસ.આઈ. રાણા એક ખાનગી કારમાં દુર બેઠા. તમામ પોલીસકર્મીઓની સતત આ શકમંદ મકાન પર નજર હતી.

સવારના સાડા પાંચ વાગ્યાથી બેઠાબેઠા સવારના દસ વાગવા આવ્યાં. હજુ સુધી કોઇ હિલચાલ નહોતી. બીજી તરફ DSP પરીક્ષીતા રાઠોડ સતત આ ઓપરેશનને લઇને ઉચાટમાં હતા. ઉચાટનું કારણ તેમના તમામ પોલીસકર્મીઓ સુરક્ષિત રહે અને આરોપીઓ પકડાઇ જાય તે હતુ. આ તમામ ગતિવિધિઓનું દર કલાકે રીપોર્ટિંગ પરીક્ષીતા રાઠોડને કરાતુ હતુ.

સવારના લગભગ સવા દસ વાગ્યા હશે કે, પી.આઇ રાણા અને પી.આઈ. જાડેજા ગાડીમાં બેઠાંબેઠા હવે ટાઇમ પાસ કરવા વાતે ચડ્યા હતા. રાણા બોલ્યા, ‘બાપુ શું કરીશું? આજે છોડવાના નથી’. પી.આઈ. જે.પી જાડેજા મૂળ રાજકોટના, તેમના કાઠિયાવાડી લહેકામાં બોલ્યાં, ‘જો હામા આવી ગ્યા તો, કાં ઇ નય, કાં હું નય બાકી હથિયાર ગામને દેખાડવા નથી રાખ્યા, ભડાકે દેતા વાર નહીં કરુ.’ વાતોના ગપાટા વચ્ચે પી.એસ.આઈ. રાણાએ કારની મ્યૂઝિક સિસ્ટમમાં મોબાઇલ બ્લ્યૂ ટૂથથી કનેક્ટ કર્યો અને યૂ ટ્યૂબ પર ‘છપાકરુ’ વગાડ્યું…(સાંધા ત્રોડિયા પાંજરાવાળા સાંકળેથી બાધ છૂટ્યા…) (રજવાડાના સમયમાં છપાકરુ એ ક્ષત્રિયોને રણમાં સુરવિરતાનું જોમ ચડાવવા ચારણ ગાતા, અને બારોટ દ્વારા લખાતા).

હજુ તો ગીતની બે લાઇન માંડ વાગી હતી ત્યાં તો પી.આઈ. જાડેજા અને પી.આઇ રાણાની નજર મકાનના પાછળના દરવાજા પર ગઇ, દરવાજો ખોલી એક શખ્સે ડોકીયુ કાઢી બન્ને બાજુ જોયું અને બન્ને અધિકારીઓ એલર્ટ થઇ ગયા. મકાનમાંથી એક પછી બીજો અને ત્રીજો એમ ત્રણ શખ્સ બહાર નીકળ્યાં. હવે તેમને પકડવા માટે વધુ રાહ જોવાય તેમ નહોતી. સ્ટિયરિંગ પર બેઠેલા પી.એસ.આઇ રાણા અને બાજુમાં બેઠેલા પી.આઈ. જે.પી જાડેજાએ નક્કી કર્યું, કાર ફુલ સ્પીડમાં તેમની જોડે લઇ જવી અને લમણે બંદૂક મૂકી દેવી. તાત્કાલીક વાતને અમલમાં મૂકાઇ અને કાર ખુલ્લા મેદાનની ઉબડખાબડ જમીન પર ધૂળની ડમરીઓ ઉડાડતી આરોપીઓ તરફ દોડી.

આ દ્રશ્ય અલગ અલગ ઝાડની પાછળ સંતાઇને બેઠેલા તમામ પોલીસકર્મીઓએ જોયુ અને બધા એલર્ટ થઇ ગયા. આરોપીઓ પણ પોતાની તરફ દોડતી આવતી કારને જોઇ સમજી ગયા નક્કી પોલીસ આવી ગઇ..! આરોપીઓ પણ હોંશિયાર હતા માટે જીવ જાણે પડીકે બાંધી મુઠી વાળી ખુલ્લા મેદાનમાં દોડવા લાગ્યા. બીજી તરફ પી.આઈ. જાડેજા અને રાણા પણ ગાડી ખુલ્લી મૂકી તેમની પાછળ પૂરી તાકાતથી દોડવા લાગ્યા. આ ઘટનાને નજરે જોનારા પોલીસકર્મીઓ કહે છે કે, બન્ને અધિકારીઓ ચિત્તાની જેમ આરોપીઓની પાછળ દોડ્યા હતા.

પોલીસને પીછો કરતા જોઇ એક આરોપીએ દોડતા દોડતા ઊંધા હાથે ગોળીબાર કર્યો. પણ કહેવાય છે ને કે, ‘વિરતાના વાવેતર નો હોય, એ તો ક્ષત્રિયોના વારસામાં હોય’. ચાલુ દોડે પી.આઈ. જાડેજાએ પોતાની રિવોલ્વર કાઢી અને આરોપીના પગ પર ફોડી. પણ આરોપીનું નસીબ કે ગોળી બાજુમાંથી નીકળી ગઇ. મરણીયા બનેલા આરોપીએ ફરી એકવાર બન્ને પીછો કરતા અધિકારીઓ પર ફાયરિંગ કર્યું અને હવે ત્રણેય અલગ અલગ દિશામાં ફંટાઇ ગયા. પી. એસ.આઈ. રાણા એક આરોપી પાછળ દોડ્યા, પી.આઈ. જાડેજા બીજા પાછળ અને ત્રીજા પાછળ બીજા કેટલાક પોલીસકર્મીઓ.

ગોળીબારની ધડબડાટી વચ્ચે પી. એસ.આઇ રાણા અને પી.આઈ. જાડેજાએ એક એક આરોપીને પકડી પાડ્યા. ત્રીજા છ ફૂટની હાઇટ વાળા એક આરોપી પાછળ પ્રહલાદસિંહ નામના કોન્સ્ટેબલ દોડ્યા. પ્રહલાદસિંહની હાઇટ આરોપી જેટલી નહીં પણ છાતી 56 ની. પ્રહલાદસિંહે જે આરોપીને પકડ્યો તેના હાથમાં દેશી તમંચો હતો, જ્યારે પ્રહલાદસિંહ પાસે હથિયારના નામે એક લાકડી પણ નહીં.

પ્રહલાદસિંહે આરોપીને પકડતા જ તેની પીઠ પાછળ બે આંગળી મૂકી દીધી અને આરોપીને ધમકી આપી કે, જરા પણ હોંશિયારી કરીશ તો ફોડી નાંખીશ. આરોપી સમજ્યો સાચે જ કોન્સ્ટેબલે તેમની પીઠ પાછળ રિવોલ્વર ધરી છે. પ્રહલાદસિંહ આમ આંગળીના ઇશારે આરોપીને એકલા પોણા કિલોમીટર દૂર ખેતરમાંથી એકલા લઇ આવ્યા હતા..!
જ્યારે ત્રીજો આરોપી ફરાર થઇ ગયો. ઓપરેશન સફળ રહ્યું અને ત્રણેયને ડીએસપી ઓફિસમાં લઇ જવાયા.

આકરી પુછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી કે, ત્રણ મહિના પહેલાં તેમણે જ કેશવાન લૂંટી હતી અને તેની ટીપ મૂળ હરિયાણાના અને કેટલાય સમયથી કામ માટે કચ્છમાં સ્થાયી થયેલા તેમના મિત્રએ આપી હતી. પોલીસે ટીપ આપનારા રીન્કુ નામના આરોપીની પણ ધરપકડ કરી પોલીસ પર ગોળીબાર કરવાના અને હથિયારનો આર્મ્સ એક્ટ હેઠળ વધુ એક ગુનો નોંધ્યો.

ત્રણ મહિના જુની લૂંટનો ભેદ તો ઉકેલાયો સાથે જ નવી એક લૂંટને અંજામ આપે તે પહેલા પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્રીજા અને ફરાર આરોપીની તપાસ દિવસો સુધી ચાલી અંતે દિલ્હી પોલીસે તેને હથિયાર સાથે મહિનાઓ બાદ ઝડપી પાડી કચ્છ પોલીસના હવાલે કર્યો હતો.

Next Article