
5 સપ્ટેમ્બરે ભારત પૂર્વ રાષ્ટ્રપતિ ડો સર્વપલ્લી રાધાક્રિશ્નનના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. શિક્ષણક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર ડો સર્વપલ્લી રાધાક્રિશ્નનના આદર્શો ઉપર ભરૂચના છેવાડાના ગામનો એક શિક્ષક શિક્ષણની સુવાસ ફેલાવવા જહેમત ઉઠાવી રહ્યો છે. આલીયાબેટની સરકારી શાળાના શિક્ષક વિનોદ પટેલે ૪૦ બાળકોના ઉજ્જવળ ભાવિ માટે સુખ સુવિધા અને પરિવારનો ત્યાગ કર્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
હાંસોટ તાલુકાના ધમરાડ ગામના યુવાન વિનોદ પટેલને સ્નાતક થયા બાદ સરકારી શિક્ષક તરીકે નોકરી મળી હતી. આ સમયમાં શૈક્ષણિક સર્વેમાં નર્મદા અને સમુદ્રના અંગમસ્થાને આવેલા આલીયાબેટ ઉપર ૪૫૦ વ્યક્તિઓની વસ્તીમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલાજ લોકો સાક્ષર હોવા સાથે કોઈ શિક્ષક અહીં પોસ્ટિંગ લેવા તૈયાર ન થતા નવી પેઢી પણ નિરક્ષર રહી જવાનો ભય વ્યક્ત થતા વિનોદે સરકાર સમક્ષ આ ટાપુ ઉપર પોસ્ટિંગ માંગ્યું હતું. એક અંદાજ મુજબ ટાપુના ૪૫૦ લોકો પૈકી ૨૦૦ થઈ ૩૦૦ લોકો ક્યારેય શાળાનું પગથિયું ચઢ્યા જ નથી.
ટાપુ ઉપર 9 મહિના અવાવરું અને ભટકી જવાય તેવા નિર્જન વિસ્તારમાંથી ૨૦ કિમિ અંતર કાપી શાળામાં પહોંચી શકાય છે. જયારે ચોમાસાના 3 મહિના ગામ સંપર્ક વિહોણું બની જતું હોવાથી અહીં ફરજીયાત શિક્ષકે રહેવું પડે છે. વિનોદે આ પડકાર સ્વીકારી વર્ષ ૨૦૦૫માં ૧૦ વિદ્યાર્થીઓથી શાળા શરુ કરી હતી. અહીંના બાળકો ક્યારેય બહારની દુનિયામાં ગયા ન હોવાથી પ્રારંભે બાળકો ટાપુ બહારના લોકો જાણે બીજા ગ્રહના હોય તેવા વર્તાવ કરી ડરતા હતા. વિનોદે અપડાઉન ન કરી ટાપુ ઉપર જ રહેવાનું નક્કી કરી પ્રેમથી શિક્ષણ આપવાની શરૂઆત કરી આજે શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા ૪૦ સુધી પહોંચાડી છે.
ટાપુની સ્થિતિ ઉપર નજરે કરીએતો આખા ટાપુ ઉપર વીજળી, પાણી, શૌચાલય કે મનોરંજનની કોઈજ સુવિધા નથી. ગામમાં મોબાઈલ નેટવર્ક ૫ વર્ષ અગાઉ આવ્યું જયારે આખા ગામમાં ૫ મોબાઇલફોન એવા છે જે છેલ્લા ૨ વર્ષથી ઇન્ટરનેટ ક્યારેક પકડી શકે છે. મોબાઈલ ચાર્જ કરવા ભાડભૂત કિનારે દૂધ વેચવા જતા લોકોની મદદ લેવી પડે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ કપરા સંજોગોમાં પણ બાળકોના ભાવિ માટે 15 વર્ષથી વિનોદ પટેલ શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. પરિવારને મળવા મહિનામાં એક વાર ઘરે જાય છે જયારે વિનોદ જે પરિસ્થિતિમાં ફરજ બજાવતા હતા તેમાં તેમની પત્ની રહેવાનું પસંદ ન કરતા છૂટાછેડા પણ થઇ ગયા. પરંતુ તેમને બાળકો માટે ટાપુ ઉપર શિક્ષક તરીકેની ફરજમાં બાંધછોડ કરી નહીં કે ક્યારેય બદલી માંગી નથી.