સુરતથી ડોનેટ લાઈફ દ્વારા હ્રદયના દાનની આડત્રીસમી અને ફેફસાના દાનની બારમી ઘટના

|

Nov 17, 2021 | 4:21 PM

હૃદય અને ફેફસાં સમયસર સુરતથી હવાઈમાર્ગે દેશના જુદા-જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લોર, કલકત્તા, હૈદરાબાદ, ઇન્દોર અને અમદાવાદ પહોંચાડવા માટે સુરત શહેરમાં ૫૦ મો ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો.

સુરતથી ડોનેટ લાઈફ દ્વારા હ્રદયના દાનની આડત્રીસમી અને ફેફસાના દાનની બારમી ઘટના
Thirty-eightth donation of heart and twelfth donation of lung by Donate Life from Surat

Follow us on

લેઉવા પટેલ સમાજના બ્રેઈનડેડ પ્રયાગ હંસરાજભાઈ ઘોણીયા ઉ.વ. ૨૩ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી પોતાના વ્હાલસોયા દીકરાના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.સુરતની યુનિટી હોસ્પિટલથી અમદાવાદનું ૨૭૬ કિ.મીનું અંતર ૧૧૦ મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ભુજની રહેવાસી ૨૯ વર્ષીય યુવતીમાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું.ચેન્નઈનું ૧૬૧૦ કિ.મી.નું અંતર ૨૧૦ મીનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ સુદાનની નાગરિકતા ધરાવતા ૨૩ વર્ષીય યુવકમાં ચેન્નાઈની MGM હોસ્પિટલમાં કરવામાં આવ્યું.

શ્રી દર્શન રોહાઉસ, કરડવા ગામ, ડીંડોલી મુકામે રહેતો અને ઓનલાઈન સાડી વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલો પ્રયાગ તા. ૭ નવેમ્બરના રોજ મુંબઈથી પોતાના મિત્રો સાથે મોટરકારમાં સુરત આવી રહ્યો હતો. ત્યારે ચારોટી પાસે ટાયર ફાટતા મોટરકાર ડીવાઈડર સાથે અથડાતા પ્રયાગને માથામાં અને કરોડરજ્જુમાં ઈજાઓ થવાથી સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલમાં દાખલ કરાયો. જયાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વાપીની હરિયા હોસ્પીટલમાં દાખલ કરી વધુ સારવાર માટે સુરતની યુનિટી હોસ્પીટલમાં ન્યુરોસર્જન ડૉ.ધવલ પટેલની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને કારણે મગજમાં સોજો અને લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું તેમજ કરોડરજ્જુના મણકામાં ફ્રેકચર થયું હોવાનું નિદાન થયું હતું. ત્યારબાદ પ્રયાગની તબિયત વધુ ગંભીર થતા MRI કરાવતા મગજમાં લકવાની અસર જણાતા તા. ૧૪ નવેમ્બરના રોજ ન્યુરોસર્જન ડૉ.ધવલ પટેલે ક્રેનીયોટોમી કરી મગજનો સોજો દુર કર્યો હતો.

સોમવાર, તા.૧૫ નવેમ્બરના રોજ યુનિટી હોસ્પીટલના ડોકટરોએ પ્રયાગને બ્રેનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી પ્રયાગના પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

પ્રયાગના પિતાશ્રી હંસરાજભાઈ અને માતા રમાબેને જણાવ્યું કે બનવાકાળ જે બનવાનું હતું તે બની ગયું છે, અમારો દીકરો બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે શરીર તો બળીને રાખ જ થઇ જવાનું છે. ત્યારે તેના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો. વધુમાં તેઓએ જણાવ્યું કે અમે વારંવાર વર્તમાન પત્રોમાં અંગદાનના સમાચારો વાંચીએ છીએ. આ એક ઈશ્વરીય કાર્ય છે. પ્રયાગનો ભાઈ સાવન જે T.Y B.Com માં અભ્યાસ કરે છે.

SOTTO દ્વારા લિવર અમદાવાદની IKDRCને, એક કિડની અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને, બીજી કિડની અને હૃદય અમદાવાદની સીમ્સ હોસ્પિટલને ફાળવવામાં આવ્યું

દેશની વિવિધ ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલોમાં B+ve બ્લડગ્રૂપનું કોઈ ભારતીય દર્દી ટ્રાન્સપ્લાન્ટ માટે તૈયાર ના હોવાને કારણે NOTTO દ્વારા ફેફસાંની ફાળવણી ચેન્નાઈની એમ.જી.એમ. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ સુદાનની નાગરિકતા ધરાવતા ૨૩ વર્ષીય યુવકને કરવામાં આવી હતી.

દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની પૈકી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી ૩૫ વર્ષીય મહિલામાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ ભાવનગરની રહેવાસી ૩૦ વર્ષીય મહિલામાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ જુનાગઢના રહેવાસી ૩૬ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની IKDRC માં, હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ભુજની રહેવાસી ૨૯ વર્ષીય યુવતીમાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. આ યુવતીને જન્મજાત હૃદયની તકલીફ હતી. ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ સુદાનની નાગરિકતા ધરાવતા ૨૩ વર્ષીય યુવકમાં ચેન્નાઈની MGM હોસ્પિટલમાં આવ્યું છે.

ગુજરાતમાંથી હૃદયદાનની બાવનમી અને ફેફસાંના દાનની પંદરમી ઘટના છે. જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા આડત્રીસ હૃદય દાન અને ૧૨ જોડ ફેફસા દાન કરાવવામાં આવ્યા છે. સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય અને ફેફસાં દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લોર, કલકત્તા, હૈદરાબાદ, ઇન્દોર અને અમદાવાદ જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.

તદ્દઉપરાંત અંગદાનના ક્ષેત્રમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઈ અને રશિયાના નાગરિકોમાં, ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન અને સુદાનના નાગરિકમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પીટલમાં કરવામાં આવ્યા છે. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.

હ્રદય, ફેફસાં, કિડની અને લિવર સમયસર ચેન્નાઈ અને અમદાવાદ પહોંચાડવા માટે ત્રણ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

નોંધનીય છે કે હૃદય અને ફેફસાં સમયસર સુરતથી હવાઈમાર્ગે દેશના જુદા-જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લોર, કલકત્તા, હૈદરાબાદ, ઇન્દોર અને અમદાવાદ પહોંચાડવા માટે સુરત શહેરમાં ૫૦ મો ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. દેશમાં સુરત માત્ર એક એવું શહેર છે કે જ્યાંથી ૩૮ હૃદય અને ૧૨ જોડ ફેફસાં દેશના જુદા-જુદા શહેરોમાં કોમર્શિયલ કે ચાર્ટર વિમાન મારફતે મોકલવામાં આવ્યા હોય. હૃદય અને ફેફસા સુરતથી દેશના બીજા શહેરોમાં સમયસર હવાઈમાર્ગે મોકલવા માટે સુરત એરપોર્ટ ઓથોરીટીનો હંમેશા સહયોગ મળતો રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે કોવીડ ૧૯ ની મહામારીની પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબજ ઓછું છે, ત્યારે ડોનેટ લાઈફ દ્વારા આ સમય દરમ્યાન ૫૨ કિડની, ૩૦, લિવર, ૧૨ હૃદય, ૨૦ ફેફસાં, ૧ પેન્ક્રીઆસ અને ૫૨ ચક્ષુઓ સહીત ૧૬૭ અંગો અને ટીસ્યુઓ તેમજ બે હાથના દાન મેળવી દેશ અને વિદેશના કુલ ૧૫૩ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે.

ડોનેટ લાઈફ તેમજ સમગ્ર સમાજના સલામ છે, વંદન છે. સ્વ. પ્રયાગ અને તેના માતા-પિતા રમાબેન અને હંસરાજભાઈ તથા સમગ્ર પરિવારજનોને તેમના આ નિર્ણય બદલ.

અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા સ્ટેટ એડવાઇઝરી કમિટી ફોર ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશનના કમિટી મેમ્બર અને ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

જેમાં પ્રયાગના માતા-પિતા રમાબેન અને હંસરાજભાઈ, ભાઈ સાવન, પિતરાઈ ભાઈ ડૉ.ઋત્વિક ઘોણીયા, જયવીર, રવિ, મયુર તેમજ પરિવારના અન્ય સભ્યો, ન્યુરોસર્જન ડૉ.ધવલ પટેલ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. મહેશ સુતરીયા, ડૉ.મયુર કચ્છી, ડો. શિવમ પારેખ, સર્જન ડો.યજ્ઞેશ વાઘાણી, ડૉ.ભુપેન્દ્ર મકવાણા, એડમિનિસ્ટ્રેટર પરેશ ગોંડલીયા અને પરાગ ખત્રી, યુનિટી હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના મંત્રીશ્રી રાકેશ જૈન, ટ્રસ્ટીશ્રી હેમંત દેસાઈ, સીઈઓ નીરવ માંડલેવાલા, બીરજુભાઇ મંધાની, રમેશ વઘાશિયા, અસ્ફાક શેખ, મહેન્દ્રસિંહ ગોહિલ, દેવેશ ભરૂચા, સ્મિત પટેલ, અંકિત પટેલ, નિલય પટેલ, મેક્ષ પટેલ, સની પટેલ, પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી, પ્રોગ્રામ કોઓર્ડીનેટર યોગેશ પ્રજાપતિ, રોહન સોલંકી અને ચિરાગ સોલંકીનો સહકાર સાંપડ્યો હતો.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૪૧૨ કિડની, ૧૭૫ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૩૮ હૃદય, ૨૪ ફેફસાં અને ૩૧૬ ચક્ષુઓ સહીત કુલ ૯૭૩ અંગો અને ટીસ્યુઓ તેમજ બે હાથનું દાન મેળવીને ૮૯૧ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે

Published On - 2:17 pm, Wed, 17 November 21

Next Article