સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરીયાઓની મુશ્કેલી પણ ઓછી થવાને બદલે વધી રહી છે કેમકે રણમાં નર્મદાનું પાણી પહોંચી જતાં અગરમાં પાણી પાણી થઈ ગયું છે, જેના કારણે અગરીયાઓની સ્થિતિ દયનીય છે અને રણ જાણે બેટમાં ફેરવાયુ છે.
દર ચોમાસા પછી પાણી સુકાતા ખારાઘોઢા, પાટડી, કુડા, નિમંકનગર, ઝીંઝુવાડા સહિતના અગરીયાઓ રણમાં પહોંચી છથી સાત મહિના સુધી કાળી મજૂરી કરી મીઠું પકવતા હોય છે. એક અંદાજ મુજબ સમગ્ર દેશની ખાધ સામે સુરેન્દ્રનગર જીલ્લામાં જ 20 ટકા જેટલું મીઠાનું ઉત્પાદન થાય છે અને આ અગરીયાઓ રણમાં પચાસ ડીગ્રી તાપમાન હોય તો પણ ધોમધખતા તાપમાં રણમાં રહીને મીઠું પકવતા હોય છે.
સરકાર દ્વારા રણમાં અગરીયાઓના બાળકો માટે બસ શાળા પણ શરૂ કરાઈ છે. જેથી અગરીયાઓના બાળકોનું ભણતર ન બગડે, પરંતુ તંત્રની અણ આવડતના લીધે અગરીયાઓ પોતે જ મુશ્કેલીમાં મુકાયા છે. રણમાં હાલ નર્મદા કેનાલનું પાણી પહોંચી જતાં મીઠાના અગરમાં પાણી ભરાઈ ગયા છે, જેને કારણે રણ બેટમાં ફેરવાઈ ગયું છે.
નર્મદા કેનાલનું લાખો કયુસેક પાણી છોડાતા રણમાં પાણી ફરી વળ્યુ છે. અગરિયાઓના પાટા ધોવાયા છે. રણમાં જવા માટે હોડકાનો સહારો લેવો પડી રહ્યો છે. એટલું જ નહીં શાળામાં પણ પાણી ભરાયા છે. રણમાં પાણી ભરાયેલું હોવાથી પીવાના પાણીનું ટેન્કર બંધ થયું છે. લોકોને પીવાના પાણી માટે પણ ફાંફા મારવા પડી રહ્યા છે. આરોગ્યની સેવાઓ પ્રભાવિત થઈ છે. લોકોને યોગ્ય સારવાર પણ નથી મળી રહી. અગરિયાનું કહેવું છે કે તેમના પાટામાં પાણી ફરી વળતા ભારે નુકસાન થયું છે. જો સરકાર મદદ નહીં કરે તો ખાવાના પણ ફાંફા પડશે.
આ પણ વાંચો: Video : સુરેન્દ્રનગરના લીંબડીમાં થયેલી 1 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો, મધ્યપ્રદેશથી 6 આરોપીની ધરપકડ
હાલ અગરીયાઓની સ્થિતિ ઉપર આભ અને નીચે ધરતી જેવી છે. આ અગરિયાઓ સરકાર પાસે સહાયની માગ કરી રહ્યા છે. વર્ષ 2017 અને 2020માં પણ અગરમાં પાણી ભરાઈ જતાં સરકારે કમીટી નીમી હતી, પરંતુ હજુ સુધી કોઈ સહાય મળી નથી. ત્યારે દિવસ રાત મહેનત કરીને રોજી રોટી કમાતા આ અગરિયા સામે સરકાર ક્યારે જુએ છે. એ એક મોટો સવાલ છે.
ઈનપુટ ક્રેડિટ- સાજીદ બેલીમ- સુરેન્દ્રનગર