Surendranagar News: CM ભુપેન્દ્ર પટેલે લીધી સુરેન્દ્રનગરની મુલાકાત, CU શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સંસ્થાના અભિગમને બિરદાવ્યો

સુરેન્દ્રનગરના પાંચ તાલુકાઓમાં મનોદિવ્યાંગ તથા શારીરિક ખોડખાપણ ધરાવતા બાળકો પોતાના ગામમાં રહીને ધોરણ 9થી 12માં અભ્યાસ કરી શકે તે માટે સંસ્થા તરફથી સ્પેશિયલ શિક્ષકો ભણાવવા માટે જાય છે. આ બાળકોને અપંગતાને લગતા સાધનો, શૈક્ષણિક સુવિધા, તેમજ શિક્ષકોના પગાર સેન્ટ્રલ સરકાર દ્વારા પૂરો પાડવામાં આવે છે. હાલ 500 દિવ્યાંગ બાળકો આ સેવાનો લાભ લઇ રહ્યા છે.

Surendranagar News: CM ભુપેન્દ્ર પટેલે લીધી સુરેન્દ્રનગરની મુલાકાત, CU શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સંસ્થાના અભિગમને બિરદાવ્યો
| Edited By: | Updated on: Oct 18, 2023 | 9:20 AM

Surendranagar News:  સુરેન્દ્રનગરની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર ખાતે આવેલ મુક્તાબેન ડગલી સંચાલિત ‘સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ’ સંસ્થાની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલે સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Surendranagar News: પાલિકા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય, જાહેર માર્ગ પર ભરાયા ગટરના પાણી, જુઓ Video

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંસ્થા દ્વારા ચાલતી અનેક શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃત્તિઓની જાણકારી મેળવીને સંસ્થાના સેવાકીય અભિગમનના વખાણ કર્યા હતા.

ભારતમાંથી પ્રજ્ઞાચક્ષુ કન્યાઓ અભ્યાસ અર્થે આવે

સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ એ સ્વૈચ્છિક સેવાભાવિ સંસ્થા છે. જે પ્રજ્ઞાચક્ષુ છોકરીઓ તથા ભાઈઓના ઉત્કર્ષ માટે શિક્ષણના માધ્યમ દ્વારા કાર્યશીલ છે. તે અપંગ તથા પ્રજ્ઞાચક્ષુ યુવક યુવતીઓને ટ્રેનિંગ આપી તેમને પગભેર થવામાં મદદ થાય છે. આ સંસ્થામાં ભારતમાંથી પ્રજ્ઞાચક્ષુ કન્યાઓ અભ્યાસ અર્થે આવે છે.

સુરેન્દ્રનગરના પાંચ તાલુકાઓમાં મનોદિવ્યાંગ તથા શારીરિક ખોડખાપણ ધરાવતા બાળકો પોતાના ગામમાં રહીને ધોરણ 9થી 12માં અભ્યાસ કરી શકે તે માટે સંસ્થા તરફથી સ્પેશિયલ શિક્ષકો ભણાવવા માટે જાય છે. આ બાળકોને અપંગતાને લગતા સાધનો, શૈક્ષણિક સુવિધા, તેમજ શિક્ષકોના પગાર સેન્ટ્રલ સરકાર દ્વારા પૂરો પાડવામાં આવે છે. હાલ 500 દિવ્યાંગ બાળકો આ સેવાનો લાભ લઇ રહ્યા છે.

આ ઉપરાંત જરૂરિયાત મંદ નેત્રહીન બાળાઓ તેમના પરિવાર સાથે દિવાળીનું પર્વ ઉજવી શકે તે માટે સંસ્થા દ્વારા ‘મુકતા પંકજ ડગલી આર્થિક સહાય’ અંતર્ગત પ્રતિવર્ષ દિવાળીએ રૂપિયા 5000ની સહાય આપવામાં આવે છે.

રહેવાની તથા અન્ય સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે

સંસ્થા દ્વારા વધારે અભ્યાસ કરતા ગુજરાત રાજ્યના પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ માટે મહેસાણા રોડ પર ઝુંડાલ, અમદાવાદ ખાતે ભાડાના મકાનમાં ઉચ્ચ અભ્યાસ માટે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી છાત્રાલય શરૂ કરવામાં આવી છે. જેમાં હાલ 80 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ લાભ લઇ રહ્યા છે. આ વિદ્યાર્થીઓને જમવાની રહેવાની તથા અન્ય સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.

ધારાસભ્ય, સાંસદ સહિતના નેતાઓ હાજર રહ્યા

આ મુલાકાત દરમિયાન સાંસદ સી. આર. પાટીલ, લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા, ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા કલેકટર કે.સી.સંપટ અને દસાડાના ધારાસભ્ય પી.કે.પરમાર, તેમજ સંસ્થાના સ્થાપક મુકતાબેન ડગલી સહિતના સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: SAJID BELIM)