SURENDRANAGAR : જિલ્લાના થાનગઢ પાસેના જામવાળી ગામના પૌરાણિક શિવ મંદિરમાં તોડફોડ કરનારા 5 આરોપી ઝડપાયા. સુરેન્દ્રનગર પોલીસે બાતમીના આધારે રમેશ પીપળીયા ગોરધન ઝાપડીયા, રાજુ કોલાદરા, દલસુખ મકવાણા અને મેહુલને ઝડપી પાડ્યા. આ 1200 વર્ષ પૌરાણિક શિવ મંદિરમાં મોટો ખજાનો દાટેલો હોવાની લોકવાયકા છે. આરોપીઓએ સોના-ચાંદીનો દાટેલો ખજાનો મળવાની આશાએ શિવલિંગ અને નંદીની નીચે તોડફોડ કરી હતી. આ તોડફોડ મામલે ફરાર વધુ 5 શખ્સોને ઝડપવા પોલીસે તપાસ હાથ ધરી છે. ખજાનાની અંધશ્રદ્ધામાં શિવ મંદિરમાં તોડફોડ કરાનારા શખ્સોને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. પોલીસે ધાર્મિક લાગણી દુભાવવા, સંરક્ષિત સ્થળે પ્રવેશ અને તોડફોડ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.