વરવધૂ સાવધાન: કોરોનાના કેસોને લઈને લગ્નપ્રસંગો અટવાયા, ઈવેન્ટ આયોજકોની મુશ્કેલી વધી

ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે લગ્ન પછી લોકો હનીમૂન પર જતા હોય છે પણ કેસો વધી રહ્યા છે. એટલે એ પણ એક ચિંતા છે. ડેસ્ટિનેશન વેડિંગ તો ઘટી જ ગયું છે

વરવધૂ સાવધાન: કોરોનાના કેસોને લઈને લગ્નપ્રસંગો અટવાયા, ઈવેન્ટ આયોજકોની મુશ્કેલી વધી
Symbolic Image
| Edited By: | Updated on: Jan 10, 2022 | 12:27 PM

સુરતમાં કોરોનાના (Corona) કેસો સતત વધી રહ્યા છે. જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયાથી જ શરૂ થયેલી ત્રીજી લહેરથી (Third Wave) સરકાર ફરી એકવાર ચિંતિત થઈ છે. જેને લઈને જ સરકાર દ્વારા નવી ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી છે. જેની અસર અત્યારથી જ જોવા મળી રહી છે. સરકારે લગ્નપ્રસંગ, હોટેલ ઈન્ડસ્ટ્રીઝ અને રાત્રી કર્ફ્યુ માટેના નિયમો બહાર પાડયા છે.

લગ્નપ્રસંગમાં 400 વ્યક્તિઓની પરવાનગી આપવામાં આવી છે અને જો ઈન્ડોર પ્રસંગ હોય તો અડધી કેપેસિટીથી પ્રસંગો યોજવા સૂચન આપવામાં આવ્યું છે. ત્યારે તેને લઈને ઈવેન્ટ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. સુરતમાં પણ 10થી વધુ ડેસ્ટિનેશન વેડિંગ કેન્સલ કરવામાં આવ્યા છે. સુરતમાં 50 મોટા લગ્નો કેન્સલ કરવામાં આવ્યા છે.

કેટરર્સ એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ રાજેશ અજમેરાએ જણાવ્યું કે કોરોના કેસ વધવાને કારણે કેટલાક લોકો લગ્ન કરવા કે મુલતવી રાખવાની મૂંઝવણમાં છે. તેમણે કહ્યું કે હતું કે આમ તો લગ્નમાં 400 વ્યક્તિઓની હાજરી પહેલાથી જ છે પણ કેસો ઓછા થતાં લોકો ચિંતિત નહતા. જોકે હવે કેસો વધતા ફરી એકવાર લોકોમાં પણ ભય જોવા મળી રહ્યા છે.

ઈવેન્ટ મેનેજમેન્ટ એસોસિએશનના ગૌરવ જરીવાલાએ જણાવ્યું હતું કે “કોરોનાના કેસોમાં વધારાને કારણે શહેરમાં લગ્નો રદ કરવામાં આવી રહ્યા છે અથવા મોકૂફ રાખવામાં આવી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં શહેરમાં ઈવેન્ટ કંપનીઓ દ્વારા કુલ 100 લગ્નો કેન્સલ કરવામાં આવ્યા છે. 150થી વધુ લગ્ન મુલતવી રાખવામાં આવ્યા છે. કારણ કે બીજા રાજ્યોમાં પણ કેસો વધી રહ્યા છે. આવામાં સગપણ જો અન્ય રાજ્યોમાં હોય તો તે પણ મુશ્કેલી ઉભી કરી શકે છે.

હોટલ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખે કહ્યું “કોરોના કેસ વધી રહ્યા છે. જેના કારણે કેટલાક લગ્નો કેન્સલ થઈ રહ્યા છે તો કેટલાક લગ્ન મોકૂફ રાખવામાં આવી રહ્યા છે. છેલ્લા 3-4 દિવસથી લોકો બેન્ક્વેટ હોલ અને કેટરિંગ સહિતના બુકિંગ કેન્સલ કરી રહ્યા છે.

ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે લગ્ન પછી લોકો હનીમૂન પર જતા હોય છે પણ કેસો વધી રહ્યા છે. એટલે એ પણ એક ચિંતા છે. ડેસ્ટિનેશન વેડિંગ તો ઘટી જ ગયું છે પણ હવે હનીમૂન માટે પણ પ્લેસીસ માટે કોઈ પણ ઈન્કવાયરી નથી આવી રહી. એટલું જ નહીં જે ઓર્ડર હતા તે પણ કેન્સલ થવા લાગ્યા છે.

 

આ પણ વાંચો : Surat : VNSGUના B.Com.ના વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં રૂ. 200-200ની નોટ મૂકીને લખ્યું મને વધારે આવડતું નથી

આ પણ વાંચો : સુરત : કેમિકલ ગેસ લિકેજ કેસમાં GIDCના PI અને કોન્સ્ટેબલ સસ્પેન્ડ, 14 પોલીસ કર્મીઓની બદલી