Surat: કોર્ટ સંકુલ બહાર હત્યાના કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી, બદલો લેવા કરાઇ હતી હત્યા

હત્યાની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેમાં બંને ઈસમો સુરજને ચપ્પુના ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીકતા હોવાનું દેખાયું હતું. આ બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે અલગ અલગ ટીમ બનાવી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા

Surat: કોર્ટ સંકુલ બહાર હત્યાના કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી, બદલો લેવા કરાઇ હતી હત્યા
Surat Murder Accused Arrested
| Edited By: | Updated on: May 06, 2023 | 7:18 PM

સુરતમાં કોર્ટ સંકુલ બહાર હત્યાના કેસમાં કોર્ટ મુદતે આવેલા આરોપીને બે ઈસમોએ ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી ફરાર થઇ ગયા હતા. આ બંને હત્યારાઓને સુરત પોલીસે કરજણ પાસેથી ઝડપી પાડ્યા છે. હત્યા કર્યા બાદ આરોપીઓએ સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ મૂકી હતી. કોર્ટની મુદતે હાજરી આપવા આવેલા સુરજ યાદવ પર જે વ્યક્તિની હત્યાનો આરોપ હતો તેના જ મિત્રોએ ચપ્પુના ઘા ઝીકી બદલો લેવા માટે પતાવી દીધો હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાની વિગત મુજબ સુરતના સચિન પાલીગામ પાસે 8 મહિના અગાઉ દુર્ગેશ યાદવની હત્યા થઇ હતી. પોલીસે આ ગુનામાં સચિન ખાતે રહેતા સુરજ યાદવ, મનીષ ઝા, સંદીપ ઉર્ફે ગડ્ડીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમ્યાન સુરજ યાદવને જ સુરત જિલ્લાની બહાર રહેવાની શરતે જામીન મળ્યા હતા.

રવિ ચૌહાણ સાથે અઠવા લાઈન્સ સ્થિત સુરત કોર્ટમાં હાજરી આપવા આવ્યો હતો.

હાલમાં તે દિલ્હી સ્થિત રહેતા તેના ડોક્ટર ભાઈ સાથે રહેતો હતો. દરમ્યાન ગત રોજ સુરજ યાદવની સુરત કોર્ટમાં મુદત હતી જેથી તે વહેલી સવારે ટ્રેન મારફતે સુરત આવ્યો હતો અને સુરત આવ્યા બાદ પોતાના ઘરે જઈને ફ્રેશ થઈને પિતાની બુલેટ લઈને તેના મિત્ર રવિ ચૌહાણ સાથે અઠવા લાઈન્સ સ્થિત સુરત કોર્ટમાં હાજરી આપવા આવ્યો હતો.

આ દરમ્યાન બપોરે એકાદ વાગ્યાના અરસામાં કોર્ટ બિલ્ડીંગ પાસે સુરજ પર જે વ્યક્તિની હત્યાનો આરોપ હતો તે દુર્ગેશ યાદવના મિત્રો કરણ રાજપૂત અને ધીરજ ત્યાં આવી પહોચ્યા હતા અને સુરજને આંતરીને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. બીજી તરફ તેનો મિત્ર રવિ ત્યાંથી જીવ બચાવી ભાગ્યો હતો. આ ઘટનામાં સુરજ યાદવને ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકતા તે લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. બીજી તરફ તેને હોસ્પિટલ લઇ જવાતા તબીબોએ મૃત જાહેર કર્યો હતો

હત્યાના ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા

હત્યાની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેમાં બંને ઈસમો સુરજને ચપ્પુના ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીકતા હોવાનું દેખાયું હતું. આ બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે અલગ અલગ ટીમ બનાવી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા

કરજણથી બંને આરોપીઓ ઝડપાયા

આ બનાવમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો અને હત્યા કરીને કેબલ બ્રીજ પરથી ફરાર થઇ ગયેલા બંને આરોપી કરણસિંગ રામપાલસિંગ રાજપૂત અને ધીરજ પ્રમોદસિંગ રાજપૂતને કરજણ પાસેથી ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં બંને આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જેમાં કરણસિંગ રાજપૂત સામે ભૂતકાળમાં સચિન અને વેસુ પોલીસ સ્ટેશન મળી કુલ 6 ગુના જયારે ધીરજ રાજપૂત સામે સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં બે ગુના પણ નોંધાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું

મૃતકના 28મે ના રોજ લગ્ન હતા

હત્યાના ગુનામાં જામીન પર છુટેલા સુરજ યાદવના 28 મેના રોજ યુપી ખાતે લગ્ન હતા પરંતુ તે પહેલા જ તેની હત્યા કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે સુરજ યાદવના પરિવારજનો પણ પહોચ્યા હતા અને દીકરાના મોતને લઈને તેના પરિવારજનોએ હૈયાફાટ રુદન પણ કર્યું હતું

હત્યા બાદ સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ મુકાઈ હતી

હત્યા કર્યાની થોડી જ ક્ષણોમાં આરોપીએ ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટમાં એક પોસ્ટ મૂકી હતી. જેમાં લખવામાં આવ્યું છે કે, ‘હમને અપને ભાઈ દુર્ગેશ યાદવ કા બદલા લે લીયા હૈ, કોર્ટ કે બહાર, ખૂન કે બદલે ખૂન ’

બદલો લેવા માટે હત્યા કરાઈ હતી

જોઈન્ટ પોલીસ કમિશ્નર કે.એન.ડામોરે જણાવ્યું હતું કે મૃતક સુરજ યાદવ અગાઉ થયેલી હત્યાના ગુનામાં કોર્ટમાં મુદત માટે આવ્યો હતો. આ દરમ્યાન તેણે જે વ્યક્તિની હત્યા કરી હતી તેના મિત્રો કરણ અને ધીરજ ચપ્પુ લઈને આવ્યા હતા અને સુરજને ચપ્પુના ઉપરા છાપરી 15 થી 20 જેટલા ઘા મારી તેની હત્યા કરી હતી. સુરજની હત્યા કર્યા બાદ આરોપીઓ કેબલ બ્રીજથી ફરાર થઇ ગયા હતા. દરમ્યાન બંને આરોપીઓને કરજણ પાસેથી ઝડપી લેવામાં આવ્યા છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું સુરજની હત્યા બદલો લેવા માટે કરવામાં આવી હતી. આરોપીઓ મૂળ યુપીના વતની છે અને ત્યાં પણ તેઓની સામે કોઈ ગુના નોંધાયેલા છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…