આગામી તારીખ 29મી સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi ) સુરતના મહેમાન બની રહ્યા છે. તેમની અધ્યક્ષતામાં સુરત (Surat )મનપા અને સુરત જિલ્લાના તથા કેન્દ્ર સરકારના અનેકવિધ યોજના પ્રોજેક્ટોનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. સવારે 9 કલાકે લીંબાયત વિસ્તારમાં આવેલા નીલગીરી ગ્રાઉન્ડ ખાતે વડા પ્રધાનની જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંદાજે એક લાખ લોકોની ક્ષમતા ધરાવતી જાહેર સભાના આયોજન માટે સુરત મહાનગરપાલિકા દ્વારા પૂર્વતૈયારીના ભાગરૂપે જ, પીએમઓ તરફથી સત્તાવાર કાર્યક્રમ અપાય તે પહેલા જ, અંદાજે 10 કરોડ રૂપિયાના ખર્ચની વિવિધ કામગીરી માટેના ટેન્ડરો ઈશ્યુ કરી દીધા હતાં.
આ માટે સત્તાવાર રીતે પ્રથમ વખત વડા પ્રધાન મોદીના સુરત કાર્યક્રમ સબંધિત એક બેઠકનું વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યની વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી વડા પ્રધાન મોદી છેલ્લા એક-દોઢ માસમાં ઘણી વખત ગુજરાત પ્રવાસે આવી ચૂક્યાં છે. પરંતુ વડા પ્રધાન પ્રથમ વખત લાંબો સમય પછી સુરત શહેરમાં આવી રહ્યા છે. શહેર ભાજપ અને સ્થાનિક પ્રશાસન વડા પ્રધાનની સુરત મુલાકાતને યાદગાર બનાવવા માટે તડામાર તૈયારીમાં જોતરાઈ ગયું છે. વડા પ્રધાન મોદીની સુરત મુલાકાત બાબતે મેયરની અધ્યક્ષતામાં સરકીટ હાઉસ ખાતે ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મનપાના પદાધિકારીઓ, ધારાસભ્યો, મનપા કમિશનર, કલેકટર સહિતના અધિકારીઓ અને મનપા જિલ્લા વહીવટી તંત્રના અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
પીએમ મોદીના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને અલગ અલગ 16 જેટલી સમિતિની રચના કરવામાં આવી છે. અને તેના માટે નોડલ અધિકારીની નિમણુંક કરવામાં આવી છે. જેમાં મંડપ, પાર્કિગ, સંકલન, સ્ટેજ વ્યવસ્થાપન, સ્વાગત , સ્વચ્છતા, ટ્રાન્સપોર્ટેશન જેવી કામગીરીનો સમાવેશ થાય છે. આ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એક કંટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવશે. કાર્યક્રમના કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનક્લ્યાણકારી યોજનાઓનો લાભાર્થીઓને વડાપ્રધાનના હસ્તે લાભો એનાયત કરવામાં આવશે.
સાથે જ જિલ્લા વહીવટી તંત્ર અને સુરત મહાનગરપાલિકાના 3 હજાર કરોડથી વધુના પ્રકલ્પોના ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. નીલગીરી ગ્રાઉન્ડ ખાતે આયોજિત જાહેર સભામાંથી જ વડાપ્રધાન દ્વારા આ કાર્યક્રમોનુ ઓનલાઇન અનાવરણ પણ કરવામાં આવશે.