Surat : ધારાસભ્ય કુમાર કાનાણીનો મનપા કમિશનરને પત્ર, ‘જન આંદોલન થશે તો ના છૂટકે મારે પણ જોડાવવું પડશે’

ધારાસભ્ય કુમાર કાનાણીએ (MLA Kumar Kanani) આજે મનપા કમિશનરને લેખિત પત્ર પાઠવ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, 'મારા વિસ્તારમાં આવેલા ખાડી કિનારા પર અસંખ્ય સોસાયટીના લોકો મચ્છર, ગંદકી તેમજ દુર્ગંધના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે.

Surat : ધારાસભ્ય કુમાર કાનાણીનો મનપા કમિશનરને પત્ર, જન આંદોલન થશે તો ના છૂટકે મારે પણ જોડાવવું પડશે
ધારાસભ્ય કુમાર કાનાણીએ પોતાના વિસ્તારની સમસ્યા અંગે મ્યુનિસીપલ કમિશનરને પત્ર લખ્યો
| Edited By: | Updated on: Jan 28, 2023 | 4:20 PM

સુરતના વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત મનપા કમિશનરને પત્ર લખી ખાડી વિસ્તારની સમસ્યા અંગે રજૂઆત કરી છે. તેમણે અસંખ્ય સોસાયટીઓને ગંદકી-દુર્ગંધ અને મચ્છરના ત્રાસમાંથી મુક્તિ આપવા બાબતે રજૂઆત કરી છે. એટલું જ નહીં જો આ સમસ્યા હલ ન થાય તો જન આંદોલનમાં પોતે પણ જોડાશે તેવી ચીમકી પણ પત્રમાં આપી છે.

ધારાસભ્ય કાનાણીએ આજે મનપા કમિશનરને લેખિત પત્ર પાઠવ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ‘મારા વિસ્તારમાં આવેલા ખાડી કિનારા પર અસંખ્ય સોસાયટીના લોકો મચ્છર, ગંદકી તેમજ દુર્ગંધના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે. વર્ષોથી આ પ્રશ્ન બાબતે વારંવાર રજૂઆતો કરતા આવ્યા છીએ, પરંતુ ખાડીના ત્રાસમાંથી લોકોને મુક્ત કરવા કોઈ ઝડપી અને નક્કર કામગીરી થયેલ નથી અને વહીવટીતંત્ર દ્વારા કોઈ કામગીરીનો રીપોર્ટ પણ આપવામાં આવતો નથી’.

તેમણે પત્રમાં લખ્યુ છે કે, ‘કામની સમીક્ષા પણ કરવામાં આવી નથી અને મને ફોન પર ફક્ત જવાબ આપી દેવામાં આવે છે કે કામ ચાલુ છે થઇ જશે. પણ કામ થતું નથી અને હવે લોકો કંટાળી ગયા છે. અસંખ્ય સોસાયટીના લોકો મારી પાસે આવી આ પ્રશ્ન હલ કરવાની રજૂઆત કરી છે. જો પ્રશ્ન હલ ના થાય તો લોકો જન આંદોલન કરવાની ચીમકી પણ આપે છે. તો આ પ્રશ્ન તાત્કાલિક હલ કરવા મારી માગણી છે અને જો લોકો જન આંદોલન કરશે, તો ના છૂટકે મારે પણ આ જન આંદોલનમાં જોડાવું પડશે જેની ખાસ નોંધ લેશો.’

ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, મારા વિસ્તારની અંદર ખાડીનો ખુબ મોટો પ્રશ્ન વર્ષોથી છે. આ ખાડીના કારણે અસંખ્ય સોસાયટીઓમાં ગંદકી-દુર્ગંધ અને મરછરોનો અસહાય ત્રાસ છે. આ મામલે અનેક રજૂઆતો પણ થઇ છે પરંતુ આ પ્રશ્નનું કાયમી નિરાકરણ થતું નથી. જેને લઈને સોસાયટીના રહીશો દ્વારા મને આવેદન આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે, જો આ મચ્છરોના ત્રાસમાંથી અમને મુક્ત કરવામાં નહી આવે તો ના છુટકે અમારે જન આંદોલન કરવું પડશે.

કુમાર કાનાણીએ જણાવ્યું કે, તેમનો પ્રશ્ન ખુબ જ વ્યાજબી છે જેના કારણે મે કમિશનરને પત્ર લખી ધ્યાન દોર્યું છે. લોકોએ પ્રશ્ન હલ નહી થાય તો જન આંદોલનની ચીમકી આપી છે ત્યારે મારા વિસ્તારના લોકો જો જન આંદોલન કરે તો ના છૂટકે મારે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મારે આંદોલનમાં જોડાવવું પડે. એટલા માટે મેં આ સમસ્યા કમિશનરના ધ્યાને દોરી છે. ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય કુમાર કાનાણીએ અગાઉ વિદેશ અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓના લોન બાબતે પણ પત્ર લખી રજૂઆત કરી હતી અને હવે તેઓએ વર્ષો જુના ખાડીના પ્રશ્ન બાબતે રજૂઆત કરી છે.