ભાજપના(BJP) કોર્પોરેટર જયેશ જરીવાલાનુ થોડા દિવસ અગાઉ જ હાર્ટ એટેકના (Heart Attack ) કારણે નિધન થયું હતું. જેના કારણે ભાજપ પક્ષ સહીત સુરત મહાનગર પાલિકામાં (SMC) શોકની લાગણી ફેલાઈ છે. હાલમાં સુરત મહાનગર પાલિકામાં ભાજપના કુલ 97 નગરસેવકો પૈકી જયેશભાઈનું નિધન થતા હવે 96 કોર્પોરેટરો રહ્યા છે. જે તમામે જયેશના પરિવારને આર્થિક મદદ કરવાના આશયથી એક મહિનાનું ભથ્થું સહાયરૂપે અર્પણ કરવાનું નક્કી કર્યું છે. આજે સુરત મહાનગર પાલિકામાં માસિક સામાન્ય સભા મળનાર છે. આ સભા જયેશ જરીવાલાના અવસાનના શોકમાં મુલતવી રાખવામાં આવશે. આવનારી સામાન્ય સભા 6 જૂનના રોજ બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
સ્વર્ગીય નગરસેવક જયેશ જરીવાલાના માનમાં આજે મળનારી સામાન્ય સભા મુલતવી રાખવામાં આવશે. ભાજપના નગરસેવક જયેશભાઇ જરીવાલાનું 22 મેના રોજ હાર્ટએટેકથી નિધન થયું હતું. સ્વ.જયેશ જરીવાલાને પરિવારમાં પત્ની અને પુત્ર-પુત્રી છે. પરિવારની તમામ જવાબદારી તેમના શિરે હતી. તેમના નિધન બાદ પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા ભાજપના નગરસેવકોએ સ્વેચ્છા એ નગરસેવકોને આપવામાં આવતું એક મહિનાનું માનદવેતન આપવાનું નક્કી કર્યું છે.
નગરસેવકોને મહિને 15 હજાર માનદ વેતન મળે છે. ભાજપના 97 નગરસેવકોના 15 હજાર લેખે અંદાજે 15 લાખની રકમ એકત્રિત થશે. આ રાશી સ્વ.જયેશભાઇની પત્નીને રોકડમાં આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જયેશ જરીવાલા તેના મત વિસ્તારમાં પણ સારા નગરસેવક તરીકે છાપ ધરાવતા હતા. જેથી તેમના વોર્ડમાં પણ તેમનું સારું માન-સન્માન હતું.
જયેશ જરીવાલા 2010થી 2015 દરમ્યાન ભાજપના કોર્પોરેટર રહી ચુક્યા છે. વર્ષ 2021ની ચૂંટણીમાં તે ફરી ચૂંટાઈ આવ્યા હતા. અને સ્લ્મ ઈમ્પ્રુવમેન્ટ કમિટીમાં વાઈસ ચેરમેન પણ હતા. થોડા દિવસો પહેલા તેઓ પગ લપસી જતા પડી ગયા હતા. ત્યારે તેમને પાંસળીમાં ઇજા થઇ હતી. અને થોડા દિવસો સુધી બેડ રેસ્ટ કર્યા બાદ તેમને 22 તારીખે રવિવારે સાંજે છ વાગ્યે હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ગુજરાત વિધાનસભા દર વખતે જેમ ખંડિત થાય છે તે જ પ્રમાણે સુરત કોર્પોરેશનમાં પણ છેલ્લા અઢી દાયકાથી બોર્ડ ખંડિત થવાનો સિલસિલો યથાવત છે. 2000ના વર્ષમાં નીતા સાતભાયા, 2005થી 2010ના વર્ષમાં પ્રતાપ કહાર, 2010 થી 2015ના વર્ષમાં ચંપક ભાણા અને ગત ટર્મમાં 2015થી 2020ના વર્ષમાં કોંગ્રેસના કોર્પોરેટર ઇકબાલ બેલીમનું અવસાન થયું હતું.