સુરત મહાનગર પાલિકા માટે સિરદર્દ સાબિત થઈ રહેલ ખાડી પુરની સ્થિતિ વચ્ચે હવે વહીવટી તંત્ર દ્વારા ખાડી પુરના પાણી ઓસર્યા બાદ સંભવિત રોગચાળાની ભીતિને પહોંચી વળવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. ઉપરવાસમાં આજે સવારથી મેઘરાજાનું જોર ઘટ્યા બાદ સંભવતઃ આગામી એક – બે દિવસમાં નીચાણવાળા વિસ્તારોમાંથી ખાડી પુરના પાણી ઓસર્યા બાદ રોગચાળાની સ્થિતિને ધ્યાને રાખીને મનપા દ્વારા અલગ – અલગ ઝોન વિસ્તારમાંથી 350 જેટલા સફાઈ કામદારો સહિતની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ સ્થિતિ વચ્ચે ખાડી પુરના પાણી ઓસર્યા બાદ નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા યુદ્ધના સ્તરે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવશે.
આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર છેલ્લા બે દિવસથી શહેરમાં મીઠી ખાડીના પુરને કારણે કમરૂ નગર, બેઠી કોલોની, મઝદા પાર્ક, પરવટ અને કુંભારિયા તથા સારોલી સહિતના આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં ત્રણથી ચાર ફુટ જેટલા પાણી ભરાઈ જતાં સ્થિતિ ખુબ જ ગંભીર બનવા પામી છે. ખાડી પુરને કારણે આ વિસ્તારોમાં આગામી દિવસોમાં પુરના પાણી ઓસર્યા બાદ હવે રોગચાળાની ભીતિને પગલે તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે.
મીઠી ખાડીમાં પુરને કારણે સૌથી વધુ લિંબાયત ઝોનમાં અસર થવા પામી છે. જેને પગલે હાલ વહીવટી તંત્ર દ્વારા અઠવા, સેન્ટ્રલ, ઉધના, રાંદેર અને કતારગામ તથા વરાછા ઝોન – એમાંથી 50 – 50 સફાઈ કામદારો સહિત સુપરવાઈઝરો અને 25 જેટલા ટ્રેક્ટરોનો કાફલો સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે. ખાડી પુરના પાણી ઓસરવાની સાથે – સાથે જ આ તમામ નીચાણવાળા વિસ્તારોમાં મનપા દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવશે.
આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે કોરોના બાદ હવે મચ્છરજન્ય કે પાણીજન્ય રોગચાળો વકરે નહીં તેના માટે અમે ખાસ ધ્યાન આપી રહ્યા છે. જેથી હવે આ પાણી ઉતર્યા બાદ અહીં યુદ્ધના ધોરણે સાફ સફાઈ કરવામાં આવશે, અને રોગચાળો વકરે નહીં તેના માટે જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરવામાં આવશે.