
સુરતમાં(Surat) ગ્રીષ્મા વેકરિયા (Grishma Vekariya) હત્યા કેસમાં (Murder ) આજે કોર્ટ સજાનું એલાન કરશે. જેમાં ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનિલને 302 સહિતની અલગ અલગ કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો.સુરત કોર્ટના જજે ફેનિલને દોષિત જાહેર કર્યો હતો.કોર્ટે ઘટનાના વીડિયોને વારંવાર જોયા બાદ જાહેર કર્યું હતું કે આરોપીએ બીજું ચપ્પુ પોતાની પાસે પેન્ટમાં રાખ્યું હતું. સાથે જ કોર્ટે એ પણ માન્યું હતું કે કોઈ પ્રોફેશનલ કિલર હત્યા કરે તે પ્રમાણે સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલે ફેનિલને ઓછામાં ઓછી સજા થાય તેવી દલીલ કરી હતી.જ્યારે સરકાર પક્ષના વકીલે ફેનિલને વધુમાં વધુ સજા થાય તે માટે દલીલ કરી હતી.
બીજી તરફ સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો 12 ફેબ્રુઆરીએ એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગ્રીષ્માનું જાહેરમાં ગળું કાપણી ઘાતકી હત્યા કરી હતી.ત્યારબાદ તેણે હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.બનાવની જાણ થતાં તાત્કાલિક ફેનિલને ઝડપી લેવાયો હતો અને હોસ્પિટલ લઈ જવાયો હતો. 15 ફેબ્રુઆરીએ સારવાર બાદ આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી.
હોસ્પિટલમાંથી રજા મળતાં જ પોલીસે ફેનિલની ધરપકડ કરી હતી. 16 ફેબ્રુઆરીએ SITની રચના કરવામાં આવી હતી.17 ફેબ્રુઆરીએ આરોપી ફેનિલને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું.19 ફેબ્રુઆરીએ રિમાન્ડ પૂર્ણ થતાં ફેનિલને લાજપોર જેલમાં ધકેલાયો હતો. તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે, ફેનિલે ગ્રીષ્માની હત્યા કરવા એકે-47 ખરીદવાનો પણ પ્રયાસ કર્યો હતો.કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ અને પૂરાવા તપાસ્યા બાદ ફેનિલને 21 એપ્રિલે દોષિત જાહેર કર્યો હતો.
મહત્વનું છે કે સરકાર પક્ષે ફેનિલને આકરામાં આકરી સજા થાય તેવી માગણી કરાઇ હતી.સતત સવા મહિના સુધી કોર્ટમાં ટ્રાયલ ચાલી હતી…જે ટ્રાયલ દરમિયાન કુલ 105 સાક્ષીઓની જુબાની લેવાઈ હતી. આ અંગે સરકારી વકીલ નયલ સુખડવાલાએ જણાવ્યું કે પોલીસ સહિતની ન્યાયિક પ્રક્રિયા ખૂબ ઝડપથી ચાલી છે. જેથી આગામી સમયમાં આરોપીને આકરામાં આકરી સજા થાય તેવી માગ કરવામાં આવી છે. આ કેસમાં 100 ઉપરાંતના દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યારે બચાવ પક્ષે સતત ત્રણ દિવસ સુધી અંતિમ દલીલો કરી હતી. જેમાં ફેનિલને ફસાવવા ઝડપથી ચાર્જશીટ કરવામાં આવી હોવાની દલીલો કરાઈ હતી.