સુરત : આમ આદમી પાર્ટીમાં ભંગાણ, વધુ એક કોર્પોરેટરની ભાજપમાં એન્ટ્રી

સુરતમાં આમ આદમી પાર્ટીને તૂટતી બચાવવા માટે હવે વરિષ્ઠ નેતાઓ અને આગેવાનોએ મથામણ હાથ ધરી છે. સુરત AAPના 21 કોર્પોરેટરોને પક્ષના કાર્યાલય પર બોલાવવામાં આવ્યા. જે પૈકી મોટાભાગના કોર્પોરેટરો AAPના કાર્યાલય પર ઉપસ્થિત રહ્યાં હતા.

સુરત : આમ આદમી પાર્ટીમાં ભંગાણ, વધુ એક કોર્પોરેટરની ભાજપમાં એન્ટ્રી
| Edited By: | Updated on: Feb 14, 2022 | 11:19 PM

સુરત (SURAT) મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ (AAP) શાનદાર રીતે એન્ટ્રી કરી હતી. જો કે પાર્ટીના નેતાઓ કોર્પોરેટરને (Corporator)સાચવવામાં નિષ્ફળ જઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જે પાર્ટી ખૂબ જ પ્રામાણિક અને પોતાના પ્રતિનિધિઓએ જનપ્રતિનિધિઓ હોવાની વાત કરતી હતી. તે જ પાર્ટી પોતાની વિશ્વસનીયતા ગુમાવી રહી છે. થોડા સમય પહેલા આપના 5 કોર્પોરેટરો ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ત્યારે વધુ એક કોર્પોરેટર આપ સાથે છેડો ફાડી ભાજપમાં (BJP) જોડાયા છે. સુરત વોર્ડ નંબર 4ના મહિલા કોર્પોરેટર કુંદન કોઠીયા (Kundan Kothiya)વિધિવત્ રીતે ભાજપમાં સામેલ થયા છે. કુંદન કોઠીયાએ ગંભીર આરોપ કરતાં કહ્યું કે, AAPના ધર્મેન્દ્ર વાવલિયા મને હેરાન કરતા હતા. AAP દ્વારા કુંદન કોઠિયાને શિસ્તભંગના આરોપસર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સુરતમાં આમ આદમી પાર્ટીને તૂટતી બચાવવા માટે હવે વરિષ્ઠ નેતાઓ અને આગેવાનોએ મથામણ હાથ ધરી છે. સુરત AAPના 21 કોર્પોરેટરોને પક્ષના કાર્યાલય પર બોલાવવામાં આવ્યા. જે પૈકી મોટાભાગના કોર્પોરેટરો AAPના કાર્યાલય પર ઉપસ્થિત રહ્યાં હતા. AAPના કોર્પોરેટર જીતુ કાછડિયાએ કહ્યું કે ઝાડુની વધતી લોકપ્રિયતાથી ભાજપના આગેવાનો ચિંતિત છે. જે વિસ્તારમાં ચૂંટણી ન જીતી શકે ત્યાંના નેતાઓને ધાક-ધમકી અને રૂપિયા આપીને ખરીદી રહ્યાં છે. તો અન્ય એક AAP કોર્પોરેટર સેજલે પક્ષ છોડવાની વાતને રદિયો આપ્યો.

આમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખે ભાજપ નેતાઓ રૂપિયાથી ખરીદી કરી રહ્યાંનો આરોપ લગાવ્યો. મહેન્દ્ર નાવડિયાએ કહ્યું કે હવે કોઈ કોર્પોરેટર પક્ષ છોડવાના નથી. અરવિંદ કેજરીવાલની વિચારધારા સાથે તમામ નેતાઓ મજબૂત રીતે જોડાયેલા છે. સુરતમાં આપનું સંગઠન સતત વિકસી રહ્યું છે. સુરતમાં AAPVE રોજ બે-ચાર કાર્યક્રમમાં અનેક નવા લોકો પક્ષ સાથે જોડાઈ પણ રહ્યાં છે.

સુરતના વોર્ડ નંબર 4ના મહિલા કોર્પોરેટર આમ આદમી પાર્ટીના કોર્પોરેટર કુંદન કોઠીયા જ્યારથી સંપર્કમાં ન હતા ત્યારથી શંકા જણાઈ રહી હતી કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે. આખરે તેઓ આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો હતો. ત્યારબાદ તેમણે સાથી કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયા ઉપર આક્ષેપ કર્યો છે કે તેમના દ્વારા તેમને હેરાન કરવામાં આવતા હતા. ધર્મેન્દ્ર વાવલિયા દ્વારા તેમનો ઓડિયો પણ વાઇરલ કરવામાં આવ્યો હતો. જેમાં તેમના અને ધર્મેન્દ્ર વાવલિયા વચ્ચે થતી વાતચીત હતી.

આ પણ વાંચો : Surat : આમ આદમી પાર્ટીમાં વધુ એક વિકેટ પડી, મહિલા કોર્પોરેટર તાત્કાલિક અસરથી સસ્પેન્ડ

આ પણ વાંચો : Gandhinagar : રશિયા-યુક્રેન વિવાદમાં ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા, પરિજનોની સરકારને રજુઆત

Follow Us