Surat: ઘેડ દરવાજા વિસ્તારમાં રખડતા શ્વાને બાળકી પર કર્યો હુમલો, 12 જ કલાકમાં 3 બાળકોને શ્વાને બચકા ભર્યા

Surat News : આ પહેલી ઘટના નથી કે બાળકો પર શ્વાને હુમલા કર્યા હોય. અગાઉ સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં પણ આવા જ હચમચાવી દેનારા શ્વાન હુમલાના CCTV સામે આવ્યા હતા. જેમાં પણ એક બાળકી પર શ્વાને હુમલો કર્યો હતો.

Surat: ઘેડ દરવાજા વિસ્તારમાં રખડતા શ્વાને બાળકી પર કર્યો હુમલો, 12 જ કલાકમાં 3 બાળકોને શ્વાને બચકા ભર્યા
સુરતમાં રખડતા શ્વાને બાળકીને બચકા ભર્યા
| Edited By: | Updated on: Feb 04, 2023 | 5:07 PM

સુરત શહેરને રખડતાં શ્વાને બાનમાં લીધું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બાળકો પર રખડતાં શ્વાન સતત હુમલા કરી રહ્યા છે અને ફરી આવી જ ઘટના સામે આવી છે. વેડ દરવાજા વિસ્તારમાં એક ઘટના બની છે. જ્યાં શાળાએ જઈ રહેલી બાળકી પર શ્વાને હુમલો કર્યો હતો અને તેને બચકા ભર્યા હતા. જો કે, સદનસીબે સ્થાનિકો પાસે જ હતા. જેમણે તાત્કાલિક બાળકીને બચાવી લીધી. છતાં બાળકીને ઘણી ઈજા પહોંચી છે. ઈટવાલા ચાલમાં આ પહેલી ઘટના નથી, 12 જ કલાકમાં 3 બાળકોને શ્વાને બચકાં ભરી લીધા છે. ઘરની પાસે પણ બાળકો રમી શકતા નથી. જેને લઈને વાલીઓ ચિંતામાં છે.

આ વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક સતત વધી રહ્યો છે. નાના બાળકોને ઘરની બહાર મોકલતા પણ હવે વાલીઓ ડરી રહ્યા છે. વિસ્તારમાં અનેક બાળકો છે, તેમના શરીર પર શ્વાનના બચકાના નિશાન છે. વાલીઓ પરેશાન છે, બાળકોને લઈને ચિંતામાં છે અને હંમેશાની જેમ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કહી રહ્યા છે કે કામગીરી થાય છે. શ્વાનનું રસીકરણ અને ખસીકરણ થાય છે.

જો તંત્ર ચિંતિત છે તો કેમ શ્વાન બેફામ ફરે છે..? આ પહેલી ઘટના નથી કે બાળકો પર શ્વાને હુમલા કર્યા હોય. અગાઉ સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં પણ આવા જ હચમચાવી દેનારા શ્વાન હુમલાના CCTV સામે આવ્યા હતા. જેમાં પણ એક બાળકી પર શ્વાને હુમલો કર્યો હતો. મોઢાના ભાગે ગંભીર ઈજાઓ શ્વાને પહોંચાડી હતી. બાળકીને બચાવવા જતાં એક મહિલાને પણ શ્વાને બચકાં ભર્યા હતા. આ ઘટનાને એક મહિનાની અંદર જ ફરી આવી જ ઘટના હવે વેડ દરવાજામાં બની છે.

ઘટનાને પગલે લોકોએ તો સાવચેતી રાખવાની જરૂર છે, પરંતુ સાથે-સાથે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું કરી રહી છે સુરત કોર્પોરેશનની શ્વાન પકડવાની ટીમ? અનેક ઘટનાઓ છતાં તેમ જાગતા નથી કોર્પોરેશનના સત્તાધીશો? ક્યાં સુધી બાળકો રખડતાં શ્વાનનો ભોગ બનતા રહેશે? અત્યાર સુધી કેટલા શ્વાન પકડવામાં આવ્યા? શા માટે આ વિષયને ગંભીરતાથી નથી લેતું તંત્ર? લોકોની ફરિયાદો પર કેમ ધ્યાન નથી આપતું સ્થાનિક તંત્ર?