સુરતની વીર નર્મદ યુનિવર્સિટીની બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં ગુણવત્તાયુક્ત ભોજન નહીં આપવામાં આવતું હોવાની ફરિયાદ વારંવાર વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે. જેના સંદર્ભમાં સિન્ડિકેટ દ્વારા ભોજન વ્યવસ્થા માટે રિ-ટેન્ડરિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે માટે ચાર સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે. આમ તો સૌથી ઓછા ભાવ હોય તે એજન્સીનું ટેન્ડર પાસ કરવામાં આવે છે. પરંતુ તે એજન્સી દ્વારા ગુણવત્તા યુક્ત ભોજન આપવામાં આવતું નથી. આ પરિસ્થિતિને જોતા સિન્ડિકેટ સભા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે મેનુ સાથે ગુણવત્તાયુક્ત ભોજન અને યુનિવર્સિટીની શરતોને આધિન ટેન્ડર પાસ કરવામાં આવશે.
આ પણ વાંચો- Video: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં પાર્સલ વિવાદનો અંત, 55ના બદલે 65 કિલો વજનનું પાર્સલ કરાયું નક્કી
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટ સભા 18મી જાન્યુઆરી, 2023ના રોજ યોજાઇ હતી. જેમાં યુનિવર્સિટીની બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં ગુણવત્તા યુક્ત ભોજન નહીં આપવામાં આવતું હોવાની વિદ્યાર્થીઓ દ્વારા થતી ફરિયાદનો મુદ્દો ચર્ચામાં લેવામાં આવ્યો હતો. 18 જાન્યુઆરીની નાણા સમિતિની કાર્યવાહીની ભલામણના અનુસંધાનમાં યુનિવર્સિટીની બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તા જળવાય તે રીતે રિ-ટેન્ડરિંગ કરવું તથા ટેન્ડરિંગની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી હાલની વ્યવસ્થા ચાલુ રાખવાની રહેશે. તેમજ લઘુત્તમ ભાવો નક્કી કરવા માટે ચાર સભ્યોની સમિતિની રચવામાં આવી છે. જેમાં ડો. પારુલ વડગામા, વિમલ શાહ, ડો. ભરત ઠાકોરમો સમાવેશ કરવામાં આવ્યો છે.