માંડવી (Mandvi )પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.આઈ (Police ) હેમંત પટેલ અને મામલતદાર મનિષ પટેલ દ્વારા એપીએમસી માર્કેટ યાર્ડના હોલ ખાતે ગણેશ (Ganesh ) ઉત્સવ નિમિત્તે શાંતિ સમિતિની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પી.આઈ. હેમંત પટેલ દ્વારા ગણેશ મંડળોના આયોજકો ને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, માંડવી ટાઉન માં ગણેશ ભક્તો દ્વારા ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે. આ વખતે પણ ટાઉન માં નાની મોટી ગણેશજીની મૂર્તિઓનું સ્થાપન કરવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે માંડવી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.આઈ. હેમંત પટેલ, મામલતદાર મનિષ પટેલ, નગર પાલિકાના પ્રમુખ રેખાબેન વશી, નગર ભાજપ પ્રમુખ નટુભાઇ રબારી દ્વારા એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે હોલમાં દરેક ગણેશ મંડળના આયોજકો ને બોલાવી મિટિંગ રાખવામાં આવી હતી.
જેમાં માંડવીના પી.આઈ. હેમંત પટેલે જણાવ્યું હતું કે ધાર્મિક લાગણી ને ધ્યાનમાં રાખી ગણપતિ બાપ્પાની પ્રતિમાની સ્થાપના કરવી જોઈએ તેમજ વિસર્જન સુપ્રીમ કોર્ટ અને સરકાર ની ગાઈડ લાઈન મુજબ કુત્રિમ તળાવમાં ગણેશજી ની પ્રતિમાને વિસર્જન કરવામાં આવશે. તેમજ દરેક ગણેશ પંડોળમાં રાત્રે સમયે બે આયોજકોએ ફરજિયાત હાજર રહેવું, ભગવાન સાથે ચોવીસ કલાક આયોજકો એ રહેવું જોઈએ.
પોલીસ તંત્ર દ્વારા આયોજકોના વોટ્સએપ ગૃપ પણ બનાવવામાં આવશે. વિસર્જન ના દિવસે રિવરફ્રન્ટ થી મૂર્તિ સાથે ફક્ત પાંચ વ્યક્તિઓ ને વાહનો સાથે કૃત્રિમ તળાવ સુધી જવા દેવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે દર વર્ષે ની જેમ શાંતિ પૂર્ણ રીતે ગણેશ વિસર્જન કરવું, જોકે દર વર્ષે કૃત્રિમ તળાવમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે, પરંતુ વિસર્જન થયા પછી એની જાળવણી કરવામાં આવતી નથી.
આ બાબતે પ્રમુખે જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવનું આયોજન કરવામાં આવ્યું છે. અને ગણેશ ભક્તોની રજૂઆતોનું ધ્યાન રાખીને દરેક મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ તળાવમાં જ કરવામાં આવશે.