સુરતના પૂણા વિસ્તારમાં પત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિની પોલીસે ધરપકડ કરી છે. પૂણા વિસ્તારમાં સીતારામ નગર સોસાયટીમાં વિભાગ-3માં રહેતા ચંદ્રશેખર સદાનંદ શર્માએ 5-11-2021ના રોજ પત્ની સંગીતાને કાતર વડે ગળા, છાતી તેમજ શરીર પર ઉપરાછાપરી 25 જેટલા ઘા ઝીંકી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ આરોપી પતિ ફરાર થઈ ગયો હતો. આ મામલે પૂણા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપી હત્યા કર્યા બાદ છેલ્લા 28 દિવસથી નાસતો ફરતો હતો.
પૂણા પોલીસે આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. આરોપીને પોલીસે ડી.આર. વર્લ્ડ પાસેથી ફુટપાથ પર બેઠો હતો તે દરમિયાન ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા જણાવ્યુ હતુ કે ગત 5.10.2022ના રોજ તે કારખાનેથી કામ પુરુ કરીને ઘરે આવ્યો હતો અને સવારે ઘરે સૂતો હતો. સવારમાં તેની પત્ની ઘરનો દરવાજો બહારથી બંધ કરી કોઈની સાથે વાત કરતી હતી. આ બાબતે આરોપીએ પૂછપરછ કરતી પત્ની ઉગ્ર બની ગઈ હતી અને હું કોઈની પણ સાથે વાત કરુ તમારે શું તેમ કહ્યુ હતુ અને એ બાબતને લઈને ઝઘડો કર્યો હતો.
સાંજના સમયે આરોપીની તબિયત સારી ન હોવાથી દવાખાને ગયો હતો અને દવા તેમજ સફરજન લઈને ઘરે આવ્યો હતો અને પત્નીને સફરજન કાપીને આપવાનુ કહ્યુ હતુ. ત્યારે પત્નીએ સફરજન તથા ચપ્પુ આરોપી પર ફેંકી જાતે કાપીને ખાઈ લો તેમ કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેમા રોષે ભરાઈ આરોપી પતિએ કાતરના ઉપરાછાપરી 25 ઘા જીંકી પત્નીની હત્યા કરી નાખી હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપી હત્યા કર્યા બાદ સુરતથી અમદાવાદ, અમદાવાદથી મુંબઈ, મુંબઈથી લખનઉ, અયોધ્યા અને બનારસ ભાગી ગયો હતો. અને આખરે પૈસા પુરા થઇ જતા તે પરત સુરત આવ્યો હતો અને સુરતમાં તે ડીઆર વર્લ્ડ પાસે ફૂટપાથ પર બેઠો હતો આ દરમ્યાન પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે આરોપીની મેડિકલ તપાસ કરી તેની સઘન પૂછપરછ શરૂ કરી છે.