Crime : સુરતમાં કરોડો રૂપિયાનું ઉઠમણું કરી દુબઇમાં ફ્રૂટ માર્કેટમાં નોકરી કરતા ઇસમને ઇકો સેલે ઝડપી પાડ્યો

આ કેસનો વધુ એક આરોપી રવિરાજસિંહ ગોહિલ જે પણ અનસ મોટીયાણી સાથે દુબઈ ભાગી ગયો હતો તે ભારત પરત આવતા તેની બાતમીના આધારે સુરતની ઇકો સેલે ધરપકડ કરી છે.

Crime : સુરતમાં કરોડો રૂપિયાનું ઉઠમણું કરી દુબઇમાં ફ્રૂટ માર્કેટમાં નોકરી કરતા ઇસમને ઇકો સેલે ઝડપી પાડ્યો
Eco sale caught a person working in a fruit market in Dubai after extorting crores of rupees in Surat.(File Image )
| Edited By: | Updated on: Sep 12, 2022 | 2:02 PM

કાપડ ઉદ્યોગના હબ ગણાતા સુરત (Surat ) શહેરમાં કાપડ માર્કેટમાં ઉઠમણાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. આ જ પ્રકારનો એક કિસ્સો મે મહિનામાં સુરતની ગ્લોબલ (Global) ટેક્સ્ટાઇલ માર્કેટમાં બન્યો હતો. ઉધારમાં માલ ખરીદીને કુલ રૂપિયા 21 કરોડની છેતરપિંડીના આ કેસમાં વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ તેની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચની ઇકો સેલને સોંપવામાં આવી હતી. જેમાં અગાઉ છ આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યા છે અને વધુ એક આરોપીની ઇકો સેલે ભાવનગરથી ધરપકડ કરી છે.

સુરતના સહારા દરવાજા ખાતે આવેલી ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં ADS કલ્ચર અને RNC એન્ટરપ્રાઈઝ ના નામથી ભાગીદારી પેઢી બનાવીને અલગ અલગ વેપારીઓ પાસેથી ગ્રે કાપડનો કરોડો રૂપિયાનો માલ ઉધારમાં ખરીદીને કુલ 10 જેટલા ભાગીદારોએ 21 કરોડ રૂપિયા નું ઉઠમણું કર્યું હતું અને ઉઘરાણીના સમયે દુકાન બંધ કરીને નાસી ગયા હતા. આ તમામ લોકો વિવર્સ પાસેથી ઉધારમાં મોટી માત્રામાં ગ્રે કાપડનો માલ મંગાવીને પોતાના નામે બતાવી કાપડ માર્કેટમાં ઓછા ભાવે વેચી દેતા હતા અને વિવર્સ ને રૂપિયા ચૂકવતા ન હતા.

આ સમગ્ર કૌભાંડનો મુખ્ય આરોપી અનસ મોટીયાણી છે. જે હાલ દુબઈમાં છે. જ્યારે અન્ય ભાગીદારો પૈકી અજીમ પેન વાલા, દીક્ષિત મિયાણી, જનક છાંટબાર, જીતેન્દ્ર માંગુકિયા, મહાવીર તાપડીયા અને જીતેન્દ્ર પુરોહિત ની આ કેસમાં સુરત પોલીસ અગાઉ ધરપકડ કરી ચૂકી છે. જ્યારે આ કેસનો વધુ એક આરોપી રવિરાજસિંહ ગોહિલ જે પણ અનસ મોટીયાણી સાથે દુબઈ ભાગી ગયો હતો તે ભારત પરત આવતા તેની બાતમીના આધારે સુરતની ઇકો સેલે ધરપકડ કરી છે.

પોલીસના હાથે પકડાયેલ આરોપી રવિરાજસિંહ ગોહિલ મુખ્ય આરોપી અનસ સાથે દુબઈ ભાગી ગયો હતો અને દુબઈ ખાતે આવેલ અલઅવિર શાક માર્કેટમાં શાકભાજીનો ધંધો શરૂ કર્યો હતો. જો કે બંને પૈકી રવિરાજસિંહના વિઝા પુરા થવાના હોવાથી તે ભારત પરત આવી ગયો હતો. ભારત આવ્યા બાદ તે રાજ્યના અલગ અલગ મંદિરોમાં રોકાયો હતો. ત્યારબાદ પોતાના ગામ વાવ ખાતે ખેતરોમાં તેમજ ઘરે સંતાઈને રહેતો હતો. જે અંગેની બાતમી સુરત ઇકો સેલ ની ટીમને મળતા તેને તેના મૂળ ગામ ભાવનગરના વાવ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

આ કેસમાં અગાઉ ઝડપાયેલા આરોપી પાસેથી સુરત પોલીસે 4 કરોડ 73 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો હતો અને હવે જ્યારે રવિરાજસિંહ ગોહિલ પકડાયો છે ત્યારે તેની પૂછપરછ કરીને તેની પાસેથી પણ મુદ્દા માલિક કવર કરવાની તજવીજ હાથ કરવામાં આવી છે. સુરત શહેરના કુલ 100 થી વધુ વિવર્સ સાથે છેતરપિંડી કરવાના ગુનામાં રવિરાજસિંહ સહિત પોલીસે કુલ સાત આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે હજુ ત્રણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે જેમાંનો મુખ્ય આરોપી અનસ મોતીયાણી દુબઈમાં બેઠો હોવાથી પોલીસ દ્વારા તેને પકડવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.