Surat : તક્ષશીલા દુર્ઘટનામાં 15 બાળકોના જીવ બચાવનાર ‘રિયલ હિરો’ની હાલત દયનીય, સી.આર.પાટીલ દ્વારા પાંચ લાખની જાહેરાત

આ રિયલ હિરોની સ્થિતિ વિશે જાણ થતા લોકોની લાગણી જાગી ઉઠી છે. સોશિયલ મીડિયામાં(Social Media)  અભિયાન ચાલ્યા બાદ જોતજોતામાં 22 લાખથી વધુની રકમ એક્ત્ર કરવામાં આવી છે.

Surat : તક્ષશીલા દુર્ઘટનામાં 15 બાળકોના જીવ બચાવનાર રિયલ હિરોની હાલત દયનીય, સી.આર.પાટીલ દ્વારા પાંચ લાખની જાહેરાત
File Photo
| Edited By: | Updated on: May 29, 2022 | 1:17 PM

સુરતમાં (Surat) આજથી ત્રણ વર્ષ પહેલાં અતિ કરુણ તક્ષશિલા અગ્નિકાંડ (takshshila tragedy) થયો હતો. જેમાં જીવના જોખમે 15 જેટલાં બાળકોનો જીવ બચાવનાર યુવકની હાલત ખુબ દયનિય બની ગઈ છે. ઘરમાં કમાનાર અને પરિવારના એકમાત્ર આધાર એવા જતીન નાકરાણી (Jatin Nakrani) ત્રણ વર્ષ પછી પણ આ દુર્ઘટનાના આઘાતમાં શારીરિક અને માનસિક તકલીફથી પીડાઈ રહ્યો છે.જતીનના વૃદ્ધ માતાપિતાથી દીકરાનું દુઃખ જોવાતું નથી. અધુરામાં પુરું તેઓએ ઘર પર પણ લોન લીધી છે. પણ આ લોન ભરી નહીં શકતા બેંક દ્વારા નોટિસ ફટકરવામાં આવી છે.

જો કે રિયલ હિરોની સ્થિતિ વિશે જાણ થતા લોકોની લાગણી જાગી ઉઠી છે. સોશિયલ મીડિયામાં (Social Media)  અભિયાન ચાલ્યા બાદ જોતજોતામાં 22 લાખથી વધુની રકમ એક્ત્ર કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત સિવાય વિદેશના પણ અનેક દાતાઓએ ઉદાર હાથે દાન કર્યું છે.ત્યારે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે (C R Patil) પણ જતીનના પરિવારની મુલાકાત લઈને આ પરિવારને ભાજપ તરફથી પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. એટલું જ નહીં ભવિષ્ય માં ઓપરેશન માટે સીએમ અને પીએમ ફંડ માંથી સહાય કરવાની પણ જાહેરાત કરી છે. તેઓએ ઉમેર્યું હતું કે આવનાર દિવસમાં પણ વધુ સહાયની જરૂર હશે તો લોકોને હાકલ કરવામાં આવશે.

શું હતી ઘટના ?

જતીન નાકરાણીએ તક્ષશીલા અગ્નિકાંડના દિવસે જીવની પરવાહ કર્યા વિના 15 જેટલાં બાળકોના જીવ બચાવ્યા હતા અને બાદમાં તેઓ પણ ચોથા માળે થી નીચે પટકાયા હતા. તેઓ મોતને તો હાથતાળી આપી આવ્યા હતા પણ તે પછીની તેમની જિંદગી દર્દભરી બનીને રહી છે. મૂળ અમરેલીના સાવરકુંડલાના વતની જતીન નાકરાણીએ BSC(IT) સુધીનો અભ્યાસ કર્યો છે. તક્ષશિલા અગ્નિકાંડ વખતે તેઓએ 15 બાળકોના જીવ બચાવ્યા હતા. શ્વાસ રૂંધાતો હોવા છતાં જતીને જીવની પરવાહ કરી નહોતી અને સૌથી છેલ્લે તેણે જીવના જોખમે કૂદકો માર્યો હતો.

જો કે નીચે પટકાયા બાદ પડી તેમના માથા, હાથ અને પાંસળીમાં ગંભીર ઈજા થઈ હતી. ત્રણ વર્ષની લાંબી સારવાર બાદ સાજા થયા છે પરંતુ હજી પણ તેમની આંખનું વિઝન ક્લિયર નથી. તેણે દરેક વસ્તુ ડબલ દેખાય છે. તેની યાદદાસ્ત પણ જતી રહી છે. જતીનના પિતા છૂટક કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન તેઓ અન્ય લોકો પાસેથી ઉધારી લઈને ઘર ચલાવે છે. તમને જણાવી દઈએ કે, જતીને લોન લઈને તક્ષશિલા કોમ્પ્લેક્સમાં બીજા માળે પોતાનું ફેશન ઈન્સ્ટિટ્યુટ (Fashion Institute)  શરૂ કર્યું હતું. તેના માટે તેમણે પોતાના ઘર પર 35 લાખની લોન લીધી હતી. જેના હપ્તા સમયસર નહીં ચુકવી શકતા બેંકે ઘરને નોટિસ આપી છે. જતીનના પિતાએ કહ્યું કે સારવાર બાદ જતીન તેમની સાથે તો છે પરંતુ તે કોઈ કામકાજ કરી શકે તેવી હાલતમાં નથી.જો કે આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ હવે જતીન અને તેના પરિવારને આર્થિક સહાય માટે દાનની સરવાણી વહી છે.

Published On - 1:12 pm, Sun, 29 May 22