
બારડોલી (Bardoli )તાલુકાના તેન ગામે ચાણક્યપુરી સોસાયટીમાં બંધ ઘરને (House )તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી હતી. એક અઠવાડિયામાં બીજી વખત બંધ ઘરને નિશાન (Target )બનાવી ચોરી કરાઈ હતી. 5 દિવસ પહેલા બંધ ઘરનું તાળું તોડી ચોર ઈસમો ઘરમાં પ્રવેશ્યા હતા પરંતુ ઘરમાંથી કોઈ કિંમતી માલ સમાનની ચોરી થવા પામી ન હતી. ઘટના મામલે પોલીસને જાણ કરવા છતાં પોલીસ સ્થળ પર ગઈ ન હતી. બાદમાં ફરી તે જ ઘરને તસ્કરોએ ગતરોજ મોડી રાત્રે નિશાન બનાવી ચાંદીનો સેટ, સોનાની બુટ્ટી તેમજ ચેઇન ચોરી કરી ગયા હતા.
તેન ગામે ચાણક્યપુરી સોસાયટીમાં બી.145 નંબરનાં મકાનમાં રહેતા મીનાક્ષીબેન મોહનભાઈ ગરાસિયા છેલ્લા 5 મહિનાથી મહુવા તાલુકાના પુના ગામે રહેવા જતા રહ્યા હતા. ચાણક્યપુરી સોસાયટી ખાતે આવેલ તેઓનું મકાન બંધ હોઈ જે ઘરમાં ગત 23 તારીખે મોડી રાત્રે તસ્કરો ત્રાટકયા હતા. ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી ચોર ઈસમો ઘરમાં પ્રવેશી માલ સામાન વેર વિખેર કરી નાખ્યો હતો. જોકે ઘરમાંથી કશું ચોરી થયું ન હતું. જે બાબતની જાણ મીનાક્ષીબેનને થતા તેઓએ થતા તેઓએ બીજા દિવસે સવારે આવી બારડોલી પોલીસને જાણ કરી હતી.
જોકે બારડોલી પોલીસ તેઓના ઘરે સ્થળ તપાસ કરવા સુધ્ધા ગઈ ન હતી. આખરે ફરી 5 દિવસ બાદ તે જ બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી હતી. ગતરોજ મોડી રાત્રે તસ્કરોએ બંધ ઘરનો મુખ્ય દરવાજા નો નકુચો તોડી ઘરમાં પ્રવેશી માલ સામાન વેર વિખેર કરી નાખ્યો હતો. બાદમાં કબાટમાં મુકેલ ચાંદીનો સેટ, ચાંદીની ચેઇન અને સોનાની બુટ્ટીની ચોરી ચોર ઈસમો કરી ગયા હતા. જે મામલે મીનાક્ષીબેન દ્વારા બારડોલી પોલીસ મથકે લેખિતમાં જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. અને વધુ તપાસ હાથ ધરી છે.
આમ, એક જ ઘરમાં બે વાર ચોરી થવાની આ પહેલી ઘટના હશે, જેમાં બારડોલી પોલીસની લાપરવાહીને સ્થાનિકો જવાબદાર માની રહ્યા છે. કારણ કે થોડા સમય પહેલા પણ બારડોલીની સોસાયટીઓમાં તસ્કરોએ જે રીતે તરખાટ મચાવ્યો હતો, તે બાદ પોલીસ કામગીરી સામે ઘણા સવાલો ઉભા થયા હતા. અને હવે તો પોલીસને જાણ કરવા છતાં પોલીસ ગુના સ્થળે ન પહોંચીને જે લાપરવાહી બતાવી રહી છે, તેની સામે સ્થાનિકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.
Input Credit Jignesh Mehta (Bardoli )