
Surat : તેલંગાણા, કેરેલા જેવા રાજ્યોમાં થયેલી સાયબર ક્રાઇમની (Cyber crime) ફરીયાદને આધાર બનાવીને ત્યાંની સ્થાનિક પોલીસે સુરતની 27 જેટલી મોટી હીરા પેઢીઓના બેંક એકાઉન્ટ્સ ફ્રીઝ કરી દીધા હોવાનું બહાર આવ્યું છે. હીરા પેઢીઓના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેતા સુરતના હીરા ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાના વ્યવહારો સ્થગિત થઇ ચૂક્યા છે.
આ પણ વાંચો Accident Breaking : સુરતના મહુવા નજીક લકઝરી બસને નડ્યો અકસ્માત, ચારથી પાંચ લોકો ઇજાગ્રસ્ત, જૂઓ Video
હીરા ઉદ્યોગના અગ્રણી અને GJEPCના ડિરેક્ટર દિનેશ નાવડીયાએ કહ્યું કે આ અંગે સુરતના અનેક હીરા ઉદ્યોગપતિઓની મૌખિક અને લેખિત ફરીયાદ મળી છે. અન્ય રાજ્યોની પોલીસે સુરતની હીરા પેઢીઓના કરન્ટ એકાઉન્ટ કે જેમાંથી પગાર, ખર્ચા, ખરીદીના બિલો ચૂકવવામાં આવે છે એવા તમામ એકાઉન્ટને રાતોરાત સ્થગિત કરી દેવામાં આવ્યા છે.
આ મામલો ખૂબ ગંભીર છે એટલે દિનેશ નાવડીયાએ સુરતના એડિશનલ પોલિસ કમિશનર શરદ સિંઘલને જાણ કરી હતી. 17 ઓગસ્ટે સવારે જે વેપારીઓના એકાઉન્ટ બિનજરૂરી રીતે ફ્રિઝ કરાયા છે તેઓ એડિશનલ કમિશનર શરદ સિંઘલને રૂબરૂ રજૂઆત કરવા જશે.
દિનેશ નાવડીયાએ વધુમાં જણાવ્યું કે પ્રથમ નજરે જોતા એવું લાગે છે કે વેપારીઓને બેંકોએ કોઇપણ કારણ આપ્યું નથી કે કયા કારણથી બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે. બીજુ એવું જણાય છે કે ત્રાહિત વ્યક્તિની ફરીયાદ છે, જે વ્યક્તિનું એકાઉન્ટમાં સાઇબર ક્રાઇમ થયો છે તેની એકેય એન્ટ્રી નથી, આમ છતાં પોલીસે ત્રાહિત પેઢી કે જેને સાઇબર ક્રાઇમની સાઇકલમાં ક્યાંય સંબંધ નથી તેવા વેપારીઓના એકાઉન્ટ ફ્રીઝ કરીને વેપારીઓ માટે તહેવારોના સમયમાં મોટી આફત ઉભી કરી છે.
વેપારીઓની એવી પણ ફરીયાદો હતી કે અન્ય રાજ્યોની પોલીસ સ્થાનિક વેપારીઓના બેંક એકાઉન્ટ આડેધડ રીતે ફ્રીઝ કરી રહી છે અને બેંક એકાઉન્ટ પુનઃ સ્થાપિત કરી આપવાના બદલામાં મોટી રકમના વ્યવહારો કરવાની ફરજ પડતી હોવાની ફરીયાદો પણ મળી છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો