Surat : પ્રદુષણ ઘટાડવા સુરત કોર્પોરેશન રોડમેપ બનાવશે, ફરિયાદ માટે વેબસાઈટ પણ લોન્ચ કરશે

લોકડાઉનમાં શહેરના રસ્તાઓ વિરાન બન્યા હતા. વાહનોની અવર જવર નહિવત થતા પ્રદુષણમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો અને એર ક્વોલિટી ઈન્ડેકસ ઘટીને 50 જેટલો થઇ ગયો હતો.

Surat : પ્રદુષણ ઘટાડવા સુરત કોર્પોરેશન રોડમેપ બનાવશે, ફરિયાદ માટે વેબસાઈટ પણ લોન્ચ કરશે
Surat - Air Pollution
| Edited By: | Updated on: Oct 22, 2021 | 5:28 PM

દેશના 100 પ્રદુષિત શહેરોની (Polluted Cities) યાદીમાંથી સુરત શહેરની બાદબાકી કરવાની દિશામાં સુરત મહાનગર પાલિકા (Surat Municipal Corporation) આગળ વધી રહી છે. સુરત શહેરમાં સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સનો આંક 90 થી 120 જેટલું નોંધાતું હોય છે. જેમાં દર વર્ષે ઇન્ડેક્સના 15 ટકાનો ઘટાડો કરવાનો લક્ષ્યાંક મહાનગર પાલિકા દ્વારા આંકવામાં આવ્યો છે. 

આ સાથે જ શહેરમાં ગ્રીનરી વધારવાની સાથે એર મોનીટરીંગ સ્ટેશનોની સંખ્યામાં પણ વધારો કરવાનું આયોજન મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. મેટ્રો શહેર બનવા તરફ આગળ વધી રહેલા સુરત શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થતા પ્રદૂષણનું પ્રમાણ ખુબ વધી ગયું છે. શહેરમાં ગ્રીનરી લાવવા માટે દર વર્ષે મહાનગર પાલિકા દ્વારા પર્યાવરણ દિન અંતર્ગત લાખોની સંખ્યામાં વૃક્ષોની વાવણી કરવામાં આવતી હોય છે. આ સાથે જ ઈ-વાહનો પર પણ મહાનગર પાલિકા ભાર મૂકી રહી છે.

સુરત મહાનગર પાલિકાની માસ ટ્રાન્સપોર્ટેશન બસ સેવામાં પણ વધુમાં વધુ ઇલેક્ટ્રિક બસ દોડાવવાનું આયોજન મનપા દ્વારા કરવામાં આવ્યું છે. સુરત શહેરમાં 100 થી વધુ ઈ-બસો દોડાવવાનો નિર્ણય મનપા દ્વારા કરાયો છે. દેશના જે શહેરોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સનો આંક 100 થી વધુ નોંધાય તો એ શહેરને દેશના પ્રદુષિત શહેરોની યાદીમાં સ્થાન મળતું હોય છે.

સુરત શહેરમાં સરેરાશ 90 થી 120 જેટલો ઇન્ડેક્સ આંક નોંધાતો હોય છે. સુરત શહેરને દેશના 100 પ્રદુષિત શહેરોની યાદીમાં સ્થાન મળ્યું છે. આમ, શહેરમાંથી પ્રદુષણ ઓછું કરવાના હેતુસર નેશનલ એર ક્લીન પ્રોગ્રામ અંતર્ગત સુરત મનપા દ્વારા એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. જેમાં જીપીસીબી, ફ્યુઅલ, પુરવઠા વિભાગ, આરટીઓ અને સુરત મનપાનો સમાવેશ થાય છે.

લોકડાઉન દરમ્યાન એર ક્વોલિટી ઇન્ડેક્સ ઘટીને 50 થઇ ગયો હતો
લોકડાઉનમાં શહેરના રસ્તાઓ વિરાન બન્યા હતા. વાહનોની અવર જવર નહિવત થતા પ્રદુષણમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો અને એર ક્વોલિટી ઈન્ડેકસ ઘટીને 50 જેટલો થઇ ગયો હતો.

પ્રદુષણની ફરિયાદો માટે વેબસાઈટ બનાવવા આયોજન
સુરતમાં પ્રદુષણને લઈને વિવિધ ફરિયાદો મળતી હોય છે. પણ તેનો સમયસર નિકાલ થતો ન હોય શહેરની હવાને શુદ્ધ બનાવવા મનપાને સફળતા મળતી નથી. નેશનલ એર ક્લીન પ્રોગ્રામ અંતર્ગત બનાવવામાં આવેલી કમિટીમાં પ્રદુષણને લગતી ફરિયાદોના નિકાલ માટે વેબસાઈટ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં આ વેબસાઈટ લોન્ચ કરવામાં આવશે.

 

આ પણ વાંચો : સુરતમાં રફ હીરાની હરાજી થશે, રશિયાની વિશ્વની ટોચની કંપની અલરોઝાએ દર્શાવી તૈયારી

આ પણ વાંચો : Karwa Chauth : સુરતમાં કરવાચોથ માટે મોર્ડન વહુઓ માટે રેડીમેડ સરગીની થાળીઓ ઉપલબ્ધ