આ ગામે સમજી લીધી દરેક ટીંપાની ‘કિંમત’, મીટરના કાંટે અપાય છે પાણી, જાણો

|

Apr 27, 2024 | 6:10 PM

ઉનાળામાં પાણીની કિંમત સૌ કોને સમજાઈ જતી હોય છે. સહેજ ચોમાસુ નબળું રહે તો પણ પાણીની કિંમત સમજાઈ જતી હોય છે. એટલે જ જળ બચાવવા માટે વિકલ્પો અપનાવવા જરુરી છે. આવી જ રીતે ગુજરાતના એક ગામના લોકોએ જળ દરેક ટીંપાનો સમજણ પૂર્વક ઉપયોગ કરવા માટે પ્રયાસ કર્યો છે.

આ ગામે સમજી લીધી દરેક ટીંપાની કિંમત, મીટરના કાંટે અપાય છે પાણી, જાણો
પાણીની બચત માટે પ્રયાસ

Follow us on

ઉનાળાની શરુઆત થવા સાથે જ અનેક વિસ્તારોમાં પાણીને લઈ સમસ્યા અનુભવાઈ રહી છે. ગુજરાતમાં જોકે હવે પીવાના પાણીની સમસ્યા ધીરે ધીરે ખૂબ જ ઘટતી જઈ રહી છે. જેમાં સરકાર સાથે પ્રજાનો સહયોગ પણ મોટો ફાળો નિભાવી રહ્યો છે. ઉનાળા દિવસો દરમિયાન પાણીની સમજાતી કિંમતને લઈ બારે માસ હવે લોકો પાણીની બચત કરવા માટે જાગૃતિ કેળવી રહ્યા છે.

આવી જ રીતે સાબરકાંઠા જિલ્લાના તખતગઢ ગામના લોકોએ પાણીની બચત કરવા માટે આધુનિક પ્રથાને અપનાવી છે. જેનાથી ગામમાં સ્વચ્છતા પણ જળવાઈ રહેવા લાગી છે અને સાથે જ પાણીની બચત પણ થવા લાગી છે. તખતગઢ ગામમાં સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા પાણીના મીટરની પ્રથા અપનાવવામાં આવી છે. જેને લઈ હવે ગામના લોકોને પાણી હવે ટીંપે ટીંપાના હિસાબ સાથે મળે છે.

ગામના લોકોની સમજણને સલામ

વાત છે, તખતગઢ ગામની. આ ગામના લોકોએ જે વાતને અપનાવી લીધી છે એ બિરાદાવવા માટે શબ્દો ઓછા પડે. સામાન્ય રીતે કોઈ પણ પ્રાથમિક સુવિધા કે પાયાની સગવડો પર કર કે બિલ શબ્દ લાગે એટલે સામાન્ય રીતે લોકોને તે પસંદ આવતુ નથી. પરંતુ તખતગઢ ગામના લોકોના ચહેરા પર તો ઉલટાનો હરખ છે, ગામના લોકોને માટે પાણી હવે મીટરના કાંટે માપીને મળે છે. આમ છતાં ગામના લોકો ખુશી ખુશી વર્તાવતા જોવા મળે છે. ગામના વિકાસ માટે સ્થાનિક લોકો ગોખલામાં મુકેલી ભગવાન જેમ આશીર્વાદ આપે એમ એની સાથે પાણીના મીટરની સરખામણી કરે છે.

બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
આજનું રાશિફળ તારીખ : 20-05-2024
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
ઘરના માટલામાં જ મળશે Fridge જેવું ઠંડુ પાણી, કરી લો બસ આ કામ, જુઓ-VIDEO
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ

લોકોએ ગ્રામ પંચાયતના નિર્ણયને એક જ સૂરથી વધાવી લીધો હતો અને વર્ષ 2021-22 માં મીટર પ્રથાને લાગુ કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. પંચાયતે પાણી હવે મીટરના કાંટે આપવાનું જાહેર કર્યુ તો ગામના લોકોએ વિરોધને બદલે આવકારદાયક નિર્ણય ગણાવીને વધાવ્યો હતો. આ નિર્ણય પાછળ આવનારા ભવિષ્યને ગામના લોકો જોઈ રહ્યાની દૂરંદેશી સમજણની પ્રતીતિ કરાવી છે.

ગામમાં લાગ્યા છે, પાણીના મીટર

ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો કે ગામમાં પીવા અને ઉપયોગમાં લેવા માટેના પાણીને હવેથી મીટર આધારીત વ્યવસ્થા વડે વિતરણ કરવામાં આવશે. શરુઆતમાં તો લોકોને આ નિર્ણય અંગે સવાલો થવા લાગ્યા હતા. પરંતુ તેના ફાયદા કેટલા થવાના છે, એ જાણીને લોકોએ હરખભેર પોતાના ઘરે ઝડપથી મીટર લગાડવા માટે પંચાયત સમક્ષ કરી મુકી હતી.

તખતગામમાં દરેક ઘરે પાણીના મીટર લાગી ચૂક્યા છે. આ મીટર આધારે લોકોના ઘરે પાણીનું વિતરણ કરવામાં આવે છે. જેટલું પાણી વાપરો કે, ઘરમાં સ્ટોરેજ કરો એટલા પાણી માટેનો મીટરનો આંકડો ફરે. મહિનો થાય એટલે બિલ પણ ઘરે પહોંચી જાય છે. આમ સંપૂર્ણ વ્યવસ્થા મહિનાઓની મહેનત કરીને ગોઠવી દેવામાં આવી છે. હવે દરેક ઘરે મીટર લાગી ચૂક્યા છે અને દરેક ઘરને પાણી મીટરના કાંટાના આંકડે મપાઈને મળે છે. ગ્રામજન અરુણાબેન પટેલે TV9ની ટીમને કહ્યુ હતુ કે, અમને હાલમાં પ્રતિ 1000 લીટર 1 રુપિયાના દરે પાણી મળે છે. એટલે અમે હવે પાણીના પૈસા થતા હોવાની માનસીકતા સાથે પાણીનો ઉપયોગ કરીએ છીએ. જેથી હવે પાણીને ઉપયોગ કરવાની રીત પણ હવે બદલાઈ ગઈ છે.

અઢળક થયા ફાયદા

શું થયા ફાયદા

હવે મીટર દ્વારા માપીને પાણી મળવાને લઈ લોકોને પાણીની કિંમત સમજાઈ છે. જેટલો વપરાશ એટલું બિલ ચૂકવવું પડે છે. એટલે લોકોની માનસીકતા પણ બદલાઈ ગઈ છે. મફતના પાણીને વાપરવાને લઈ પહેલા લોકો છૂટથી પાણીનો ઉપયોગ કરતા હતા. કપડાં ધોવા કે, વાહનો અને ઘર આંગણા ધોવા સહિત ખૂબ પાણીનો વેડફાટ થતો હતો. જે પાણી શેરીઓ અને રસ્તાઓ પર ઉભરાતું હતુ અને શેરીમાં ખુલ્લી ગટરો રચાઈ હોય એવો માહોલ જોવા મળતો હતો.

હવે મીટર લાગી જવાને લઈ શેરીઓના દ્રશ્યો કંઇક અલગ જ જોવા મળી રહ્યા છે. શેરીઓ ચોખ્ખી બની છે અને ઘરના આંગણાઓ પણ ચોખ્ખા જોવા મળી રહ્યા છે. પાણીનો વેડફાટ અટક્યો છે અને જેને લઈ ગંદકી ભર્યા દ્રશ્યો હવે ભૂતકાળ બન્યા છે. મચ્છર અને માખીઓનો ત્રાસ પણ હવે ઘટી ગયો છે. જેને લઈ હવે ગામમાં લોકોને સ્વચ્છતા મળવા સાથે આરોગ્યને લઈ પણ મોટી રાહત અનુભવાઈ રહી છે.

આટલો થયો ખર્ચ

ગામના દરેક ઘરે પાણી માટેના મીટર લાગી ચૂક્યા છે. આ માટેનો કુલ ખર્ચ 46 લાખ રુપિયા આસપાસ થવા પામ્યો છે. તખતગઢ ગામના આ સુંદર વિચારમાં સરકારે પણ મોટો આર્થિક સહયોગ ઉઠાવ્યો છે. 10 લાખ રુપિયા ગ્રામ પંચાયત દ્વારા ખર્ચ કરવામાં આવ્યો છે, જ્યારે બાકીની રકમ સરકારે ખર્ચ સહયોગ કર્યો છે. આમ તખતગઢ ગામે સરકારની આર્થિક મદદ વડે આ મીટરપ્રથાને લાગુ કરી છે.

જેની સામે હવે ગામને સમયે પાણી વેરાને બદલે પાણીનું મીટર બિલ ગામના લોકો પાસેથી મળી જાય છે. જે ગામને સૌથી મોટી રાહત સર્જાઈ છે. સમયસર આવક થવા સાથે હવે ગામના પાણીની વ્યવસ્થાને માટે વીજળી બિલમાં પણ મોટો ઘટાડો થયો છે. જેની સામે હવે પહેલા કલાક કે બે કલાક પાણી આપવાને બદલે હવે ચોવીસે કલાક ગામમાં પાણી વિતરણ કરવામાં આવે છે. આમ લોકો પોતાની જરુરિયાત મુજબ પાણીનો ઉપયોગ ચોવીસ કલાક કરી શકે છે. જેથી ગ્રામજનોને પણ મોટી રાહત સર્જાઈ ગઈ છે.

સરકારે આપી સહાય

ચોવીસ કલાક પાણી

પાણી આવ્યુ અને ગયુની પણ વાત હવે ગામમાં ભૂલાઈ ગઈ છે. અહીં હવે નળ ખોલો એટલે પાણી મળી રહે છે. ગામના લોકોને પીવાનું અને ઉપયોગમાં લેવા માટેનું પાણી હવે નળમાં જ ચોવીસ કલાક મળી રહેતા, સ્ટોરેજ કરવાની ઝંઝટમાંથી ગામના લોકોને મુક્તિ મળી ગઈ છે. તો વળી પહેલા ગામના લોકોએ પાણી સ્ટોરેજ કરવા માટે ઘરે ઘરે ટાંકામાં મોટર ફીટ કરવી પડતી હતી. જેનું વીજળી બિલ પાછુ અલગથી વધુ ચુકવવું પડતુ હતુ. તો સ્ટોરેજ મોટા રાખવા પાછળ પણ ખૂબ ખર્ચ કરવો પડતો હતો. સંગ્રહ કરેલા પાણીને ઉપયોગમાં લેવાના બદલે હવે સીધું જ પાણી મળવાનો મોટો લાભ મળી રહ્યો છે.

વીજ મોટરો વડે શેરીઓમાં ઘરે ઘરે પાણી ખેંચી લઈ સંગ્રહ કરવાનો કકળાટ હોવાને લઈ અનેક લોકોને પૂરતું પાણી સ્ટોરેજ કરી શકાતું નહીં. જેને લઈ શેરીઓમાં ઝઘડા પણ જોવા મળતા હતા. હવે પૂરા પ્રેશરથી વગર મોટરે પાણી દરેકના ઘરે પહોંચે છે. કારણ સરળ સમજી શકાય છે, લોકોનો પાણીનો ઉપયોગ હવે મીટરનો કાંટો જોઈને થાય છે. એટલે બીનજરુરી નળ ખુલ્લા નહીં રહેતા પુરા પ્રેશરથી દરેક ઘરે પાણી પહોંચે છે. જેથી હવે ગામમાં શેરીઓમાં જોવા મળતો કકળાટ પણ દૂર થઈ ગયો છે. ગ્રામજન ચંદ્રકાન્ત પટેલે કહ્યુ હતુ કે, હવે પાણીની વાતે ગામને સુખ થઈ ગયું છે સુખ.. ગંદકી દૂર, પ્રેશરથી પાણી મળે, ચોવીસ કલાક નળમાં પાણી આવે અને બિલ માત્ર નજીવું આવે છે પરંતુ સુખ મોટું કરી દીધુ છે.

શ્રેષ્ઠ ગ્રામ પંચાયત જળ પુરસ્કાર મળ્યો

જળ બચાવવા માટે જે રીતે ગામના લોકોએ પ્રયાસ કર્યો છે એ સરકારની નજરમાંથી કેવી રીતે દૂર રહી શકે. તખતગઢ ગામના પ્રયાસની સુવાસ દિલ્હીમાં કેન્દ્ર સરકાર સુધી પહોંચી હતી. જેને લઈ ગ્રામ પંચાયતને વર્ષ 2022 માં રાષ્ટ્રીય સ્તરે પશ્ચિમ ઝોનની શ્રેષ્ઠ ગ્રામ પંચાયત જળ પુરસ્કાર એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી.

ગ્રામ પંચાયતના સરપંચ નિશાંત પટેલે TV9 સાથે વાત કરતા કહ્યુ હતુ કે, અમે જળ બચાવવાના હેતુથી આ મીટર પ્રથા ગામમાં લાગુ કરી હતી. ગામના લોકોએ તેને હર્ષભેર સ્વિકાર કરી લીધો હતો. ગામમાં આ યોજના શરુ કરવાના પ્રયાસ સાથે જ ફાયદા જોવા મળવા લાગ્યા હતા. એટલે લોકોને અમારે વધારે સમજ આપવી પડી નહોતી. દરેક સમાજ અને દરેક ઘર પરિવારના લોકોએ આ વાતને અપનાવી લીધી અને મીટર લગાડવાની શરુઆત કરી હતી.

શરુઆત તબક્કાવાર કરવામાં આવી હતી. તબક્કા પ્રમાણે તેના ફાયદા લોકોને આપોઆપ સમજાતા ગયા હતાં એમ અમને લોકોનો ઉત્સાહ જોઈને આ યોજના લાગુ કરવા માટે પ્રોત્સાહન કરવા મળ્યુ હતુ. પ્રથમ તબક્કામાં જ પાણીના પ્રેશર અને ગંદકી સહિતના મુદ્દાઓનું નિરાકરણ આવતું જતા તેના આશ્ચર્યજનક પરિણામ મળતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો:  રજાઓ ગાળવા લક્ષદ્વીપ તરફ વધી રહ્યું છે ગુજ્જુઓનું આકર્ષણ, સુંદર સ્થળના ‘બોસ’ ગુજરાતી, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:09 pm, Sat, 27 April 24

Next Article