વિજયનગરના બાલેટા નજીકથી રાજસ્થાનના યુવકની લાશ મળવાનો મામલો, ફોરેન્સિક પીએમ કરાવતા હત્યા હોવાનુ ખુલ્યુ

સાબરકાંઠા જિલ્લાના બાલેટા વિસ્તારમાં એક યુવકની લાશ મળી આવવાના મામલે હત્યાનો ગુનો દાખલ કરવામા આવ્યો છે. પોલીસને અજાણ્યા પુરુષની લાશ મળી આવી હોવાની જાણકારી મળતા તપાસ હાથ ધરાઈ હતી. આ દરમિયાન અમદાવાદ ફોરેન્સીક પીએમ હાથ ધરવામાં આવતા યુવતનુ મોત શ્વાસ રુંધાવીને કર્યાનુ સામે આવ્યુ હતુ. જેને લઈ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

વિજયનગરના બાલેટા નજીકથી રાજસ્થાનના યુવકની લાશ મળવાનો મામલો, ફોરેન્સિક પીએમ કરાવતા હત્યા હોવાનુ ખુલ્યુ
હત્યા હોવાનુ ખૂલ્યુ
| Updated on: Nov 08, 2023 | 11:14 PM

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના બાલેટા વિસ્તારમાંથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. ગામના સરપંચે ચિઠોડા પોલીસ સ્ટેશનના પીએસઆઈની ફોન કરીને જાણ કરતા પોલીસે તપાસ શરુ કરી હતી. પોલીસને વિગતો મળતા જ રુબરુ પહોંચીને લાશને જોતા પ્રાથમિક રીતે શંકાસ્પદ સ્થિતિ જણાઈ હતી. જેને લઈ લાશને ફોરેન્સિક પીએમ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ જામતારા જેવો ખેલ હિંમતનગરમાંથી ઝડપાયો! શેરબજારની ટીપ્સના બહાને ફસાવી પૈસા પડાવવાનુ રેકેટ ઝડપાયુ

ચિઠોડા પોલીસે અજાણ્યા પુરુષની લાશને અમદાવાદ બીજે મેડીકલ કોલેજમાં ફોરેન્સિક મેડિસીન વિભાગમાં પીએમ માટે મોકલી આપી હતી. જ્યાં પેનલ ડોક્ટરોએ લાશનુ પીએમ કર્યુ હતુ. જેમાં મોતનુ કારણ કુદરતી નહીં પરંતુ હત્યા હોવાનુ સામે આવ્યુ હતુ. જેને લઈ પોલીસે પીએમ રિપોર્ટ આધારે હવે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

પોલીસની પ્રથમ નજર મહત્વની

અંતરીયાળ વિસ્તારમાં મોતના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. પરંતુ આવી સ્થિતિમાં પોલીસની પ્રથમ નજર હત્યારાઓને માટે જેલના દરવાજાનો માર્ગ નક્કી કરતો હોય છે. આવી જ રીતે અહીં બાલેટાથી સરપંચ અળખાજી ગામેતીનો ફોન આવતા જ પોલીસની ટીમ પહોંચી હતી. જ્યાં પ્રથમ નજરે જ મામલો કુદરતી મોત કે આત્મહત્યાનો હોવાને લઈ શંકાઓ પ્રેરતો હતો. લાશ હત્યા કર્યાની શંકા પ્રથમ નજરે જ જણાતા પોલીસે સ્થાનિક હોસ્પિટલમાં પીએમ કરવાને બદલે અજાણી લાશને અમદાવાદ મોકલી આપી હતી.

જ્યાં શંકા સાચી ઠરતો પીએમ રિપોર્ટ સામે આવ્યો હતો. જેમાં દર્શાવ્યુ હતુ કે, મૃત્યુ હાથ વડે ગળુ દબાવીને એટલે કે શ્વાસ રુંધાવીને હત્યા કરી છે. આ મામલે હજુ પણ આગળ વધુ તપાસ કરવા માટે નમૂના લેવામાં આવ્યા હતા. ચિઠોડા પોલીસે અજાણ્યા શખ્શો સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

મૃતક રાજસ્થાનના હોવાનુ ખૂલ્યુ

બીજી તરફ પોલીસને મૃતકના પરિવાર સુધી પહોંચવામાં સફળતા મળતા હત્યામાં મોતને ભેટનારની ઓળખ થઈ શકી હતી. મૃતક દિનેશભાઈ કલાલ હોવાનુ ખૂલ્યુ હતુ. જે સલુમ્બરના ભબરાણા ગામના હોવાનુ સામે આવ્યુ હતુ. મૃતક અમદાવાદમાં દવા લેવા માટે આવ્યા હતા. જ્યાંથી પરત ફરતા તેઓ હિંમતનગર પહોંચવાનુ પુત્રને કહીને નિકળ્યા હતા. પરંતુ આ દરમિયાન તેઓના મોતના સમાચાર સામે આવ્યા છે.

વિજયનગર પોલીસના પીએસઆઈ યોગેશ પટેલે આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસ શરુ કરી છે. મૃતક અહીં કેવી રીતે પહોંચ્યો અને છેલ્લે કોને મળ્યા હતા એ તમામ વિગતો મેળવવાની તજવીજ હાથ ધરી છે. હત્યારાઓને ઝડપી લેવા માટે હવે કડીઓ મેળવવાની દિશામાં તપાસ શરુ કરી છે.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:31 pm, Wed, 8 November 23